પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧


કરી લે છે, પણ એક વાર કામ સોંપ્યા પછી તેના ઉપર પૂરો ભરોસો મૂકે છે, તેના કામમાં કશી દખલ કરતા નથી અને તેને જેટલી જોઈ એ તેટલી મદદ મોકળે મને અને છૂટે હાથે આપે છે, એ હું સ્વાનુભવ ઉપરથી કહું છું. આને લીધે આખા દેશમાં એક ગાંધીજીને બાદ કરીએ તો બીજા કોઈ પણ નેતા કરતાં તેમની પાસે વફાદાર કાર્યકર્તાઓ અને સાથીઓનું મોટામાં મોટું જૂથ છે. ગાંધીજી સેનાપતિ હોવા ઉપરાંત સ્વભાવે આદર્શ શિક્ષક હોઈ તેઓ જ્યાં ગયા ત્યાં તેમણે સાથીઓને ઘડીને તૈયાર કર્યા છે. જ્યારે સરદાર શિક્ષક નથી, કેવળ સેનાપતિ છે. પોતાના લશ્કર માટે તેમણે નવા માણસોને ઘડીને તૈયાર કર્યા નથી અથવા જે મળ્યા તેમને વિશેષ ઘડવાનો પ્રયત્ન કર્યો નથી, પણ માણસમાં જેટલી શક્તિ હોય તેનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. હા, માણસને પોતાની મેળે આગળ વધવું હોય અને તેનામાં શક્તિ હોય તો સરદારની પાસે બધી છૂટો, તકો અને મદદ તેને મળે છે. પોતાની આસપાસ ખડા સૈનિકોનું જૂથ જમાવવાની અને દરેકની યોગ્યતા પ્રમાણે તેની પાસેથી કામ લેવાની અજબ કુનેહને લીધે નાગપુર, બોરસદ તથા બારડોલીની સત્યાગ્રહની લડતમાં તથા ૧૯ર૭ના રેલસંકટના કાર્યમાં સરદારને કાર્યકર્તાઓની ખોટ ન પડી અને સારો યશ મળ્યો. એમના સાફલ્યની મુખ્ય ચાવી જ એ છે કે અણીને વખતે તત્કાલ તેઓ ખરો નિર્ણય લે છે અને તેના અમલ માટે પોતાની મદદમાં ખરા માણસોને પસંદ કરે છે.

આ પુસ્તકમાં હકીકતની કોઈ ભૂલ ન રહી જાય એ દૃષ્ટિએ શ્રી દાદા સાહેબ માવળંકર આખું હસ્તલિખિત વાંચી ગયા છે અને તેમણે કેટલાક બહુ ઉપયોગી સુધારા કરાવ્યા છે. મારી પાસે પૂરતી માહિતી ન હોય અથવા વિગતો વિષે શંકા હોય એવાં કેટલાંક પ્રકરણો સરદાર પાસે પણ મેં વંચાવ્યાં છે. કેટલાંકમાં તેમણે બહુ મહત્ત્વના વધારા કરાવ્યા છે. એટલે આ પુસ્તકમાંની બધી હકીકતો સાધાર અને ચોક્કસ છે એમ કહેવાની સ્થિતિમાં હું છું.

સરદારના પૂર્વજીવનની કેટલીક ઉપયોગી હકીકતો નડિયાદના સરદારના ગાઢ મિત્ર સ્વ. કાશીભાઈ શામળભાઈનાં પત્ની પાસેથી મને મળી છે. તેઓ બોરસદમાં રહ્યા તે વખતની કેટલીક હકીકત બોરસદના બહુ જૂના વકીલ શ્રી ફૂલાભાઈ નરસીભાઈ પાસેથી મળી છે. સરદારના નાના ભાઈ શ્રી કાશીભાઈએ કુટુંબની જૂની હકીકત મેળવવામાં સારી મદદ કરી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની હકીકત તેના માજી પ્રમુખ શ્રી મણિભાઈ ચતુરભાઈ શાહે પૂરી પાડી છે. તે જ પ્રમાણે સુરત મ્યુનિસિપાલિટીના પ્રમુખ ડૉ. ધિયાએ તથા નડિયાદ મ્યુનિસિપાલિટીના માજી પ્રમુખ શ્રી વિઠ્ઠલદાસ