પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
ખેડા સત્યાગ્રહ - ૨


સરકાર દરકાર રાખતી નથી અને લોકોની વાત માનતી નથી. તેમને તો એક જ લક્ષ હોય છે કે ગમે તેમ કરી મહેસૂલ વસૂલ કરવું.
“ખેડા જિલ્લાના ખેડૂતોએ દાદ માગી. પણ મિ. પ્રૅટ કહે છે કે પાક સંબંધી નિર્ણય કરવાનો હક માત્ર તેમને એકલાને જ છે. આ મુશ્કેલ પ્રશ્નનો નિકાલ લાવવા સ્વતંત્ર કમિશન નિમાવું જોઈએ.
“સંકટમાં આવી પડેલા ખેડા જિલ્લાના આપણા દેશબંધુઓને ઉત્તેજન આપવા આપણે આ ઠરાવને સંમતિ આપવી જ જોઈએ.”

મુંબઈમાં સભા કરીને ત્યાંથી ગાંધીજી દિલ્હી ગયા. યુરોપનું મહાયુદ્ધ કટોકટીની સ્થિતિએ પહોંચ્યું હતું. અને હિંદુસ્તાનમાંથી બની શકે તેટલી વધારે મદદ મેળવવા માટે વાઈસરૉયે યુદ્ધપરિષદ બોલાવી હતી અને તેમાં ગાંધીજીને આગ્રહભર્યું આમંત્રણ કર્યું હતું. આ પરિષદમાં લોકમાન્ય તિલક મહારાજને તથા મિસિસ બેસન્ટને નહોતાં બોલાવ્યાં અને અલીભાઈઓ તો અટકાયતમાં હતા એટલે દેશના આ મહાન નેતાઓ વિના પોતે પરિષદમાં ભાગ ન લઈ શકે એ વસ્તુ વાઈસરૉયને રૂબરૂ કહી પાછા આવવું એવો ગાંધીજીને પ્રથમ તો વિચાર હતો. પણ વાઈસરોયે જે ભાવથી વાત કરી અને પોતાની મુશ્કેલીઓ જણાવી તે ઉપરથી તેમણે ભાગ લેવાનું નક્કી કર્યું, એટલું જ નહીં પણ સૈન્યભરતીમાં મદદ કરવાના ઠરાવને ટેકો આપ્યો. ખેડાના સ્વયંસેવકોને સૂચના આપતાં પોતે કહેલું કે, જમીન-મહેસૂલના પ્રશ્ન ઉપર અમલદારો ખોટી હઠ પકડી બેઠા છે તેની સામે આપણી લડત છે, પણ સરકારનાં બીજાં કામોમાં તો આપણે મદદ કરવી જ જોઈએ એ પોતાના દાખલાથી એમણે બતાવી આપ્યું, એટલું જ નહીં પણ દિલ્હીથી આવીને ગુજરાત સભા પાસે સૈન્યભરતીમાં મદદ કરવાનો ઠરાવ પણ કરાવ્યો.

દરમ્યાન વીસમી એપ્રિલના રોજ સરકારે એક લાંબી યાદી બહાર પાડીને ગાંધીજીની તપાસને ‘અધ્ધર તપાસ’ કહી અને કલેક્ટરે બહુ બારીકાઈથી તપાસ કરી છે એમ જણાવ્યું. વળી એમ પણ જણાવ્યું કે, “ઘણાખરા તાલુકાઓમાં ચાલુ વર્ષની મહેસૂલનો મોટો ભાગ અત્યાર પહેલાં ઉઘરાવી લેવામાં આવ્યો છે અને હવે તપાસ માટે કમિટીની જરૂર નથી. મિ. ગાંધી અને બીજાઓ હજી એક સ્વતંત્ર તપાસ ચલાવવાનો સરકારને આગ્રહ કરે છે પણ સરકાર તેમ કરવા બિલકુલ તૈયાર નથી. . . . મહેસૂલ મુલતવી રાખવા કે માફ કરવા ખેડાના ખેડૂતો જેવો દાવો કરે છે તેવો દાવો હક તરીકે ખેડૂતોથી કરી શકાય નહીં, માત્ર મહેરબાની ખાતર રાહત મેળવવા તેઓ માગણી કરી શકે. . . . . છતાં ઘડીભર માની લઈએ કે તપાસ માટે કમિટી નીમવા સરકાર પોતાની ખુશી બતાવે, પણ દેખીતું છે કે વહીવટીખાતામાં એવી તપાસ સહેજ પણ ઉપયોગી નીવડે નહીં કેમ કે વહીવટ કરવાનો છેવટનો અધિકાર તો એ ખાતાના હાથમાં જ રહેવાનો.”