પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


વિદ્યાર્થિઓ સરકારી અથવા બીજી સરકારમાન્ય શાળામાં દાખલ થવાને યોગ્ય નહીં ગણાય.

આમ ખેંચાખેંચી ચાલતી હતી. દરમ્યાન તા. ૩-૩-’૨૧ના રોજ કલેક્ટરે પોતાની સત્તાની રૂએ હુકમ કાઢ્યો કે, સ્કૂલ્સ કમિટીનો તા. ૧૧-૨-’૨૧નો ઠરાવ ગેરકાયદે છે. માટે એ ઠરાવનો અમલ પોતે મોકૂફ રખાવે છે અને એ ઠરાવને અનુસરીને કાંઈ પણ કામ કરવાની મ્યુનિસિપાલિટીને મના કરે છે. આ હુકમને પોતાના તા. ૧૮-૩-’૨૧ના હુકમથી કમિશનરે બહાલી આપી.

તા. ૩-૩-’૨૧ના કલેક્ટરના હુકમ ઉપર વિચાર કરવા પ્રમુખે તા. ૧૭-૩-’૨૧ના રોજ જનરલ બોર્ડની ખાસ સભા બોલાવી. તેમાં શ્રી ચાહેવાળા એવો ઠરાવ લાવ્યા કે, કલેક્ટરના હુકમની નોંધ લેવી અને એ હુકમ જાણ માટે અને દોરવણી માટે સ્કૂલ્સ કમિટીને મોકલી આપવો.

આના ઉપર સરદાર સુધારો લાવ્યા કે, કાગળો દફતરે કરવા અને કલેક્ટરને જણાવવું કે:

૧. મ્યુનિસિપલ શાળાઓની પરીક્ષા ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર અથવા તેના મદદનીશના અંકુશ વિના સ્વતંત્ર રીતે લેવાઈ ચૂકી છે.

૨. કલેક્ટરના હુકમમાં સ્કૂલ્સ કમિટીના જે ઠરાવનો ઉલ્લેખ છે તે ઠરાવ જનરલ બોર્ડે ગંભીર વિચારણા પછી નક્કી કરેલી નીતિનું આવશ્યક પરિણામ છે.

૩. ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટની કલમ ૫૪માં જે કામો મ્યુનિસિપાલિટીએ ફરજિયાત કરવાં જ જોઈએ એમ જણાવેલું છે એ કામો કર ભરનારા શહેરીઓની ઈચ્છાને અનુસરીને જ મ્યુનિસિપાલિટી કરી શકે.

૪. શહેરીઓની ઈચ્છાને અનુસરીને મ્યુનિસિપાલિટીએ પોતાની નીતિ નક્કી કરેલી હોવાથી, જો મ્યુનિસિપાલિટીને શહેરીઓની ઈચ્છા વિરુદ્ધ જવાનો જબરદસ્તીથી પ્રયત્ન કરવામાં આવશે તો મ્યુનિસિપાલિટી પાસે શાળાઓ બંધ કરવા સિવાય બીજે કશો વિકલ્પ રહેશે નહીં. જરૂર પડ્યે તેમ કરવાની સ્કૂલ્સ કમિટીને સૂચના આપી દેવામાં આવી છે.

આ સુધારો બહુમતીથી પસાર થયો અને મૂળ ઠરાવ ઊડી ગયો.

પછી તા. ૨૬-૪-’૨૧ના રોજ આસિસ્ટન્ટ ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેક્ટરે સ્કૂલ્સ કમિટીને કાગળ લખીને જણાવ્યું કે, અમે તમારા હિસાબ તપાસવા આવીશું. એનો તે જ દિવસે સ્કૂલ્સ કમિટીના ચૅરમૅને જવાબ આપ્યો કે, અમે સરકારી ગ્રાન્ટ નહીં લેવાનો ઠરાવ કર્યો છે અને તે મુજબ ગ્રાન્ટ લેવાનું બંધ પણ કર્યું છે. એટલે તમારા ખાતાએ હિસાબ તપાસવા આવવાનું કશું કારણ નથી અને મ્યુનિસિપાલિટી સરકારના નિરીક્ષકોને હિસાબ તપાસવા દેવા રાજી નથી.