પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


પણ સરકારી શાળાઓમાં કોઈ ચકલુંયે ફરક્યું નહીં. પણ આટલેથી અધિકારીઓ અટક્યા નહીં. પોતાના આસિસ્ટન્ટો મારફત લાલચ, ભય, વગેરેનો પ્રચાર કરી શિક્ષકોને ફોડવાના પ્રયત્નો આદર્યા. છતાં માંડ બીજા સાત શિક્ષકો તેમને મળ્યા. સ્કૂલ્સ કમિટીના ચૅરમૅન તરીકે શ્રી બલુભાઈએ ડિરેક્ટરનું ધ્યાન ખેંચ્યું કે, “તમે મારે ત્યાંથી દસ-બાર શિક્ષકો લઈ જાઓ તેનું મને દુઃખ નથી, પણ તમે બાંધેલી મુદતને તમે જ વળગી રહેતા નથી અને તમારા આસિસ્ટન્ટ ખટપટ કરે છે તેથી કેળવણીના ક્ષેત્રમાં શિસ્તનું જે ઊંચા પ્રકારનું ધોરણ હોવું જોઈએ તેને હલકું પાડવામાં આવે છે તે તરફ તમારું ધ્યાન ખેંચું છું.” આનો જવાબ ડિરેક્ટરે મ્યુનિસિપલ પ્રમુખ મારફત આપ્યો કે, “અમારા જે શિક્ષકો અવમાન્ય કરેલી શાળાઓમાં નોકરી કરે છે તેમાંના કોઈને પણ કોઈ પણ વખતે પાછા લેવાનો હક અમે અનામત રાખીએ છીએ.”

મ્યુનિસિપાલિટીને વળગી રહેલા શિક્ષકોને ડરાવવા માટે ખાતાએ સાથે સાથે એક બીજો દાવ પણ ફેંક્યો. ટ્રેનિંગ કૉલેજમાં તાલીમ માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી તરફથી મોકલાયેલા શિક્ષકોને ટ્રેનિંગ કૉલેજમાંથી તા. ૩-૯-’૨૧ના રોજ કાઢી મૂકવામાં આવ્યા. તેની પણ એ શિક્ષકો ઉપર કે બીજા શિક્ષકો ઉપર કશી અસર થઈ નહીં. ઊલટું મ્યુનિસિપાલિટીને પોતાની શિક્ષક સંખ્યામાં એટલો ઉમેરો થયો. ખાતાના ભારે પ્રયત્નો પછી કુલ અઢાર જ શિક્ષકોએ મ્યુનિસિપલ નોકરી છોડી હતી. તેને બદલે મ્યુનિસિપાલિટીને ટ્રેનિંગ કૉલેજમાંથી પાછા ફરેલા ઓગણીસ શિક્ષકો મળ્યા.

મ્યુનિસિપાલિટીને અગવડમાં મૂકવા વળી એક ત્રીજો દાવ કેળવણી ખાતાએ ખેલ્યો. મ્યુનિસિપલ શાળાઓના સુપરિન્ટેન્ડેન્ટ શ્રી પ્રાણલાલ કિરપારામ દેસાઈની નોકરી સરકારે ઉછીની આપેલી હતી. સરકારે તેમને પાછા સરકારી નોકરીમાં આવી જવાનું લખ્યું. સરદાર તથા શ્રી બલુભાઈની સલાહથી શ્રી પ્રાણલાલ દેસાઈએ પોતાની સરકારી નોકરીનું રાજીનામું આપી દીધું અને મ્યુનિસિપલ નોકરીમાં જ રહ્યા. મ્યુનિસિપાલિટીએ રૂ. ૨૦૦થી ૪૦૦ના ગ્રેડમાં તેમની કાયમી નિમણુક કરી. આ નિમણૂકને ઉત્તર વિભાગના કમિશનરની મંજૂરી જોઈએ, તે એણે ન આપી. આમ પોતાના પ્રમોશનનું તદ્દન અનિશ્ચિત થઈ ગયું. છતાં એ જોખમ ખેડીને શ્રી પ્રાણલાલ મ્યુનિસિપાલિટીને વળગી રહ્યા તેની અસર કેળવણી ખાતા ઉપર ઘણી પડી અને તે ગભરાટમાં પડ્યું. આ ઉપરાંત કેળવણી સિવાયની બીજી બાબતમાં પણ મ્યુનિસિપાલિટીને તંગ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા.

શહેરમાં રસ્તા પહોળા કરવા માટે તથા બીજાં કેટલાંક કામ માટે મકાનો તથા જમીન ‘એક્વાયર’ કરવાની (સરકાર મારફત ઠરાવેલી કિંમતે વેચવાની માલિકને ફરજ પાડવાની ) જરૂર હતી. સરકારે એ એક્વાયર કરી આપવાની