પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરદાર વલ્લભભાઈ


“મહારાજ ઉપર વળી વારંટ કેવું ? એ તો પુરુષોત્તમ ભગવાનનો અવતાર કહેવાય. આપણને સૌને આ ભવમાંથી છોડાવનારા. એમને પકડનારા કોણ હોય ?”

“અત્યારે તારું આ ટીખળ જવા દે. મેં પાકે પાયે સાંભળ્યું છે કે વડતાલ અને બોચાસણનાં મંદિરોના કબજા સંબંધી તકરાર થઈ છે અને તેમાં આપણા મહારાજ ઉપર પણ વારંટ નીકળ્યું છે. તારે એ વારંટ રદ્દ કરાવવું જ પડશે. મહારાજને પકડે તો તો મારી સાથે તારી પણ આબરૂ જાય.”

“આબરૂ શું કામ આપણી જાય ? એવાં કરમ કરે તેની જાય. પણ હું તપાસ કરીશ. એમ વારંટ શેનાં નીકળે છે ? મારાથી થઈ શકે તે બધું કરીશ.”

પછી જરા ગંભીર થઈને પણ નમ્રતાથી પિતાશ્રીને જણાવ્યું : “તમે હવે છોડો આ સાધુઓને. જેઓ આવા પ્રપંચ કરે છે, કજિયા કરી કોર્ટે ચડે છે, પોતાનું જેઓ આ ભવમાં રક્ષણ કરી શકતા નથી તે આપણને આવતા ભવમાં શું તારવાના હતા અને આપણો શો ઉદ્ધાર કરવાના હતા ?”

“એ બધી પંચાત આપણે શું કામ કરીએ ? પણ જો, તારે એટલું ધ્યાનમાં રાખવાનું કે મહારાજ ઉપર વારંટ નીકળ્યું હોય તો એ રદ્દ થવું જ જોઈએ.” એમ કહી પિતાશ્રી ઑફિસમાંથી ચાલ્યા ગયા.

પિતાશ્રી સ્વામીનારાયણના મહા ભક્ત હતા. પાછલી અવસ્થામાં તો સૂવા બેસવાનું પણ ગામના સ્વામીનારાયણના મંદિરમાં જ રાખ્યું હતું. એક વેળા જમતા અને જમવા માટે જ ઘેર આવતા. તેઓ ૧૯૧૪ના માર્ચ માસમાં લગભગ પંચાશી વર્ષની વયે ગુજરી ગયા ત્યાં સુધી દર પૂનમે વડતાલ જવાનું એક્કે વાર ચૂક્યા નથી. સરદાર પણ અનેક વાર વડતાલ ગયેલા. સત્તર વર્ષના થયા ત્યાં સુધી પિતાશ્રી પાસે કરમસદમાં જ રહેલા અને ત્યાં સુધી નિરાહારી અને કોઈ કોઈ વાર નિર્જળા એકાદશી વિનાની ભાગ્યે જ કોઈ એકાદશી ગઈ હશે. આમ સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઊછરેલા હોવા છતાં એ સંપ્રદાય તરફ એમણે ખાસ શ્રદ્ધા સેવી નથી. આગળ ભણવા માટે કરમસદ છોડ્યું તેની જ સાથે એનાં વ્રતયાત્રાદિ પણ છોડ્યાં. સહજાનંદ સ્વામી અને એમના સંપ્રદાય વિષે વાત કરતાં અગાઉના સાધુઓના પવિત્ર જીવનની સરદાર બહુ તારીફ કરે છે અને ઘણાં સામાન્ય માણસોનાં — પછાત કોમનાં બિનકેળવાયેલા માણસોનાં — જીવન સુધારવામાં સંપ્રદાયે સારો ફાળો આપ્યો એમ પણ તેઓ સ્વીકારે છે. પણ પાછળથી એ સંપ્રદાયમાં સ્વાર્થ અને લોભે પ્રવેશ કર્યો અને સંપ્રદાયનો સુધારક જુસ્સો જતો રહ્યો એમ તેઓ જણાવે છે.

ઉપર વર્ણવેલા પ્રસંગની હકીકત એવી છે કે એક યજ્ઞપુરુષોત્તમદાસજી નામના સાધુ, જે વિદ્વાન બ્રાહ્મણ હોઈ શાસ્ત્રીજી કહેવાતા તેમણે વડતાલની