લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
મ્યુનિસિપાલિટીની બરતરફી પછી


પહેલા પ્રકરણના ચોથા નિયમ પ્રમાણે શિક્ષકોની એ જોવાની ફરજ છે કે શાળામાં વિદ્યાથીઓ ચોખ્ખાં કપડાં પહેરીને અને ચોખ્ખાં બદન રાખીને આવે. પાંચમા નિયમમાં જણાવ્યું છે કે શાળાનું મકાન અને કંપાઉન્ડ સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માટે હેડમાસ્તર જવાબદાર છે. પાંચમા પ્રકરણના આઠમા નિયમમાં લખેલું છે કે વર્ગના ઓરડામાં હેડમાસ્તરની સહી સાથેનું ટાઈમટેબલ ટિંગાડેલું હોવું જોઈએ. એવી દલીલ કરી શકાય ખરી કે ગુજરાતી માસ્તર માટેનો ધારો, જેનો સ્પષ્ટ ઉલ્લેખ અંકુશો માટેના નિયમોમાંના બીજા નંબરના નિયમમાં કરવામાં આવ્યો છે, તેના કોઈ નિયમનો ભંગ કરવાથી પ્રાથમિક શાળાઓ સ્થાપવામાં અને નિભાવવામાં કરેલું ખર્ચ એ ફંડનો ગેરઉપયોગ ગણાય ? આમ જોતાં, વિદ્વાન સરકારી વકીલે જોસપૂર્વક જે દલીલો કરી છે તેનો મથિતાર્થ આપણને બેહૂદી સ્થિતિએ લઈ જાય છે.

“પણ સરકારી વકીલે એવી દલીલ કરી છે કે કેળવણી ખાતાનો અંકુશ કાયમ રાખવા એ કાયદા પ્રમાણે જે પ્રાથમિક શિક્ષણ આપવાનું છે તેને માટે અનિવાર્ય છે, નહીં તો યોગ્ય પ્રકારનું શિક્ષણ અપાય તેની ખાતરી શી રહે ? એનો ટૂંકો જવાબ એટલો જ છે કે કહેવાતું અયોગ્ય શિક્ષણ અપાઈ ચૂક્યું તેમાં કહેવાતું ગેરકાયદે થયેલું ખર્ચ કાઉન્સિલરો પાસેથી વસૂલ કરવાનો આ દાવો માંડ્યો છે, એ ગેરકાયદે ખર્ચ થતું અટકાવવાનો આ દાવો નથી. . . . ટ્રસ્ટફંડને નુકસાન પહોંચે એવી રીતે કાયદાનો ભંગ થતા અટકાવવા માટેના ઉપાયો લેવા, અને જે નાણાં ખર્ચાઈ ચૂક્યાં છે — ભલે તે ખોટી રીતે ખર્ચાયેલાં કહેવાતાં હોય — તે વસૂલ કરવાના ઉપાયો લેવા, એ બેમાં બહુ તફાવત છે. મ્યુનિસિપલ કાઉન્સિલરોએ કાયદાની વિરુદ્ધ જઈ સરકારી અંકુશો ફગાવી દીધા તેથી તેમણે ટ્રસ્ટના નિયમોનો ભંગ કર્યો એમ કદાચ કહેવાય. પણ એ ભંગ થતા અટકાવવાનો ઉપાય તો મનાઈહુકમ મેળવવા માટે અરજી કરવી એ છે. જ્યારે ટ્રસ્ટના નિયમના ભંગથી ટ્રસ્ટફંડને નુકસાન પહોંચે ત્યારે જ ટ્રસ્ટીઓ અંગત રીતે જવાબદાર ગણાય છે. પ્રસ્તુત કેસમાં ટ્રસ્ટફંડને કશું નુકસાન પહોંચ્યું જ નથી. કારણ ફંડ કાયદેસર કામ માટે જ વપરાયું છે. એટલે કાઉન્સિલરોને અંગત રીતે જવાબદાર શી રીતે ગણવા એ મને સમજાતું જ નથી. . . . મને તો એમ લાગે છે કે મ્યુનિસિપલ ઍક્ટની ૫૮મી કલમની રૂએ અંકુશ રાખવાના જે નિચમો ઘડવામાં આવેલા છે તે માર્ગદર્શક છે, હુકમરૂપ નથી. મ્યુનિસિપાલિટી એ નિયમોનો ભંગ કરે એ જરૂર તેના અધિકાર બહારનું અને ગેરકાયદે ગણાય. તેમ છતાં મ્યુનિસિપાલિટીએ કરેલું ખર્ચ તેના અધિકાર અંદરનું છે અને ગેરકાયદે નથી.
“એટલે આ કેસને કોઈ પણ દૃષ્ટિએ જોઈએ, કલમની ભાષાની દૃષ્ટિએ જોઈએ અથવા તો મ્યુનિસિપલ ઍક્ટની સમગ્ર યોજનાની દૃષ્ટિએ જોઈએ, અથવા તો અમુક કૃત્ય અધિકાર બહારનાં ગણાય છે તેને લગતા સિદ્ધાંતની