પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
૨૧૫
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત


કેળવણીવિષયક નીતિની બાબતમાં આ બોર્ડે જેટલાં પગલાં ભર્યા છે તે કર ભરનારાઓની ઇચ્છા રોક્કસ જાણી લઈને જ ભર્યા છે.

સુરત મ્યુનિસિપાલિટીની છેલ્લી ચૂંટણી વખતે મતદારો સામે મોટામાં મોટો પ્રશ્ન તમામ મ્યુનિસિપલ શાળાઓ રાષ્ટ્રીય બનાવવાનો હતો. હિંદુસ્તાનની વધારેમાં વધારે પ્રતિનિધિત્વ ધરાવતી અને વધારેમાં વધારે અધિકારવાળી સાર્વજનિક સંસ્થા હિદી રાષ્ટ્રીય કૉંગ્રેસે ભલામણ કરી હતી કે, શાળાઓને રાષ્ટ્રીય બનાવવી, એ અત્યારે દેશની મોટામાં મોટી જરૂરિયાત છે. સુરતના શહેરીઓ એ એ ભલામણ સ્વીકારી અને મ્યુનિસિપાલિટીમાં એ ભલામણનો અમલ કરવાનું વચન આપનારા મોટા ભાગના સભ્યોને ચૂંટ્યા. મતદારો પ્રત્યે વિશ્વાસઘાત કર્યાના આરોપમાં અમારે ન આવવું હોય તો ગમે તેટલાં જોખમ ખેડીને પણ આ ઠરાવ અમારે બને તેટલો વહેલો પસાર કરવો જોઈએ.

શાળાઓને રાષ્ટ્રીય બનાવવામાં મ્યુનિસિપાલિટીની એકમાત્ર ઈચ્છા, વિદ્યાર્થીઓમાં સ્વમાનની, સેવા કરવાની અને દેશને માટે સહન કરવાની ભાવના ઉત્પન્ન કરવાની તથા દેશના અત્યારના સંજોગોમાં વધારેમાં વધારે ઉપયોગી હોય એવી કેળવણી આપવાની છે.

મ્યુનિસિપાલિટી સુરતના શહેરીઓનો વિશ્વાસ ધરાવે છે એ તો સ્વીકાર્યા સિવાય તમારો છુટકો જ નથી. કેટલાક વખતથી સુરત શહેરમાં સોળ સરકારી નિશાળો ખોલવામાં આવી છે. આ શાળાઓ મ્યુનિસિપલ શાળાઓની લગભગ લગોલગ એક જ લત્તામાં રાખવામાં આવી છે, ત્યાંના શિક્ષકો મ્યુનિસિપલ શાળામાંથી વિદ્યાર્થીઓને ફોસલાવી પટાવી ભગાડવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. અમારી શાળાઓની તેડાગર બાઈઓને મ્યુનિસિપાલિટી કરતાં વધારે પગારની લાલચો આપી ફોસલાવી લઈ જવામાં આવે છે. સરકારી શાળાઓમાં જોડાયેલા શિક્ષકો મ્યુનિસિપલ શાળાઓમાં છેલ્લા થોડા દિવસ રહ્યા તે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને ખોટાં સર્ટિફિકેટો કાઢી આપ્યાં જેથી તેઓ સરકારી શાળામાં દાખલ થઈ શકે. આમ મ્યુનિસિપલ શાળામાંથી વિદ્યાર્થીઓને ભગાડવાના ન શોભે એવા અનેકાનેક પ્રયત્નો કરવા છતાં આજ સુધીમાં મ્યુનિસિપલ શાળાઓના ૮,૦૦૦ વિધાર્થીઓમાંથી સરકારી શાળાઓ કેવળ ૮૦૨ વિદ્યાથીંઓ મેળવવા પામી છે. તેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ તો સરકારી નોકરોનાં અથવા તેમના કોઈ ને કોઈ રીતે આશ્રિત હોય એવાનાં બાળકો છે. આ ઉપરથી એનો ભાગ્યે જ ઇન્કાર થઈ શકશે કે લોકોને સરકારી શાળાઓ ઉપર વિશ્વાસ નથી.

મ્યુનિસિપાલિટીએ જે કાંઈ કર્યું છે તે મતદારોના આદેશને વફાદારીથી અમલમાં મૂકવા માટે જ કર્યું છે. તે હજી પણ મતદારોનો વિશ્વાસ ધરાવે છે, અને તેણે કાયદાનો કશો ભંગ કર્યો નથી. તેઓ અંત:કરણથી માને છે કે પોતાની ફરજ બજાવવામાં તેમણે કશી કસૂર કરી નથી અને આશા રાખે છે કે તેમના કૃત્યના ન્યાયીપણાની સરકાર કદર કરશે.