પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
ચૌરીચારાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફતારી


“૧. વ્યક્તિગત સત્યાગ્રહ કરનાર દરેક જણને સારુ જરૂરી શરત એ છે કે તેને કાંતતાં આવડવું જોઈએ અને અસહકારના કાર્યક્રમનો જે ભાગ તેને લાગુ પડતો હોય તેનું તેણે સંપૂર્ણ પાલન કરેલું હોવું જોઈએ. દાખલા તરીકે, તેણે પરદેશી કાપડનો પૂરેપૂરો ત્યાગ કરીને હાથે કાંતેલાં અને હાથે વણેલાં કપડાંનો અંગીકાર કર્યો હોવો જોઈએ; હિંદુ-મુસલમાનની એકતા ઉપર તેમ જ હિંદમાંની જુદા જુદા ધર્મ પાળતી કોમોની એકદિલી વિષે તેને શ્રદ્ધા હોવી જોઈએ; ખિલાફત અને પંજાબનો અન્યાય દૂર કરવા માટે અને સ્વરાજ સ્થાપવા માટે અહિંસાનું પાલન અનિવાર્ય છે એવી તેની દૃઢ માન્યતા હોવી જોઈએ; અને જો તે હિંદુ હોય તો પોતે અસ્પૃશ્યતાને હિંદી રાષ્ટ્રભાવના પરના એક કલંક રૂપ ગણે છે એમ તેણે પોતાના વર્તનથી સાબિત કરી આપવું જોઈએ.
“૨. સામુદાયિક સત્યાગ્રહને માટે એક એક જિલ્લો અથવા તાલુકો એક એકમ ગણાશે. જે જિલ્લો અથવા તાલુકો આવા એકમ તરીકે બહાર પડે તેની વસ્તીના ઘણા મોટા ભાગે પૂર્ણ સ્વદેશીનો સ્વીકાર કર્યો હોવો જોઈએ અને એ જિલ્લાની કે તાલુકાની કાપડને લગતી બધી જરૂરિયાત ત્યાંના જ લોકોને હાથે કંતાયેલા અને હાથે વણાયેલા કાપડમાંથી પૂરી પડતી હોવી જોઈએ. વળી સદરહુ જિલ્લા કે તાલુકાની વસ્તીના મોટા ભાગને અસહકારનાં બીજા અંગો ઉપર શ્રદ્ધા હોવી જોઈએ અને તેઓ તેનું પાલન કરતા હોવા જોઈએ.
“કોઈ પણ સત્યાગ્રહી રાષ્ટ્રીય ફાળાઓનાં નાણાંમાંથી પોતાનો નિભાવ થશે એવી આશા ન રાખે. કેદ ભોગવતા સત્યાગ્રહીઓનાં કુટુંબનાં માણસોએ પણ કશી જાહેર મદદની આશા ન રાખતાં પીંજીને, કાંતીને કે વણીને અગર બીજી હરકોઈ રીતે પોતાનું ગુજરાન કરવાની તૈયારી રાખવી.
“કોઈ પણ પ્રાંતિક સમિતિની અરજી પરથી આ શરતોમાંની કોઈ પણ શરત ઢીલી કરવી મુનાસિબ છે એવી ખાતરી કારોબારી સમિતિને થાય તો સત્યાગ્રહ માટેની શરતોમાં એવી છૂછાટ મૂકવાની સત્તા આ મહાસમિતિ કારોબારી સમિતિને આપે છે.”

આ ઠરાવ પસાર કરતી વખતે ગાંધીજીએ મહાસમિતિના સભ્યોને જણાવ્યું કે, કોઈ પણ પ્રાંતિક સમિતિ સત્યાગ્રહ કરવાની ઉતાવળ ન કરે પણ પોતે ગુજરાતના એક પસંદ કરેલા તાલુકામાં સામુદાયિક સત્યાગ્રહનો પ્રયોગ કરવાના છે તે નિહાળે અને એ પ્રયોગ ચાલે તે દરમિયાન પોતપોતાના પ્રાંતમાં પૂરેપૂરી શાંતિ જળવાય તેની તકેદારી રાખે. તે વખતના ૧૩મી નવેમ્બરના ‘નવજીવન’ માં ‘બેઠો બળવો’ એ નામના લેખમાં આ ઠરાવ ઉપર ભાષ્ય રૂપે તેમણે લખ્યું છે :

“જોકે અખિલ ભારતીય મહાસમિતિએ પ્રાંતિક સમિતિઓને પેાતપોતાના પ્રાંતમાં પોતાની જોખમદારી ઉપર સત્યાગ્રહ આદરવાની સત્તા આપી છે છતાં મને ઉમેદ છે કે દરેક પ્રાંત તેમાંના ‘જોખમદારી’ શબ્દ ઉપર