પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
સરદાર વલ્લભભાઈ


તા. ૧૭મી નવેમ્બરે મુંબઈમાં યુવરાજની પધરામણી થવાની હતી. તેના સ્વાગતનો કડક બહિષ્કાર કરવાનું કૉંગ્રેસે ઠરાવ્યું હતું. તે દિવસે મુંબઈમાં હાજર રહેવા મુંબઈ પ્રાંતિક કૉંગ્રેસ કમિટીના મંત્રીનો ગાંધીજી ઉપર આગ્રહભર્યો તાર આવ્યો. એટલે ગાંધીજીએ તા. ૧૭મીએ મુંબઈ જઈ તે જ દિવસે રાત્રે ત્યાંથી નીકળી તા. ૧૮મીએ સવારે બારડોલી પહોંચવાનું નક્કી કર્યું. પણ મુંબઈમાં તો તા. ૧૭મીએ રમખાણો ફાટી નીકળ્યાં. તે બંધ થાય અને બધી કોમ વચ્ચે એકદિલી સ્થપાય ત્યાં સુધી ગાંધીજીએ ઉપવાસ કર્યા. પોતાના ઉપવાસ છૂટ્યા પછી ગાંધીજીએ સામુદાયિક સત્યાગ્રહ મુલતવી રખાવ્યો અને તે ક્યારે શરૂ કરવો એ નક્કી કરવાનું અમદાવાદની કૉંગ્રેસ ઉપર રાખ્યું. થનગની રહેલા બારડોલી તથા આણંદને આશ્વાસન આપતાં ગાંધીજીએ લખ્યું :

“હું જાણું છું કે તમારા દુઃખનો પાર રહ્યો નથી. તમે મોટી આશા રાખી હતી. તમે આ વર્ષમાં જ તમારા યજ્ઞથી, તમારી કુરબાનીથી સ્વરાજ મેળવવાની, મુસલમાન ભાઈઓનો અને પંજાબનો જખમ રૂઝવવાની અને અલીભાઈઓ ઇત્યાદિ કેદીઓને છોડાવવાની હામ ભીડી હતી. પણ ઈશ્વરે ધાર્યું હતું બીજું.
‘નીપજે નરથી તો કોઈ ન રહે દુ:ખી.’
એવું સત્ય નરસિંહે ગાયું છે. આપણામાં નિપજાવવાની શક્તિ નથી. આપણે તો ઇચ્છીએ ને મહેનત કરીએ.
“મારા પરમ મિત્ર, પંજાબના સાથી, (અબ્બાસ સાહેબ તૈયબજી) જેમને મેં પંજાબના દુઃખે રોતા જોયા છે ને જેમણે આજે ઘડપણમાં જુવાન જેટલું કામ આદર્યું છે, જિંદગી આખી એશઆરામમાં રહેલા એવા જેમણે તમારે ને મારે સારુ એશઆરામ છોડ્યા છે ને તેમાં સુખ માની લીધેલ છે, તેમનું દુ:ખ હું વિચારી રહ્યો છું. તેઓ પોતાના ખેડા જિલ્લાને ને તેમાંયે આણંદને જેલમાં તુરત નહીં મોકલી શકે છે એ તેમને ભારે દુઃખ લાગે છે.
“તેઓને અને તમને હું ખાતરી આપું છું કે ધીરજનાં ફળ મીઠાં જ આવશે. કશું ઢોળાઈ નથી ગયું. આપણે બાજી હારી નથી ગયા. આપણે તો દુ:ખમાંથી સુખ નિપજાવી શક્યા છીએ. અશાંતિ થઈ ગઈ પણ તેમાંથી શાંતિ મેળવી લીધી છે એમ લાગે છે. ઈશ્વરે નાનું દુ:ખ આપી મોટામાંથી આપણને ઉગારી લીધા છે.
“તમારી પાસેથી હું તો શુદ્ધમાં શુદ્ધ યજ્ઞ ઇચ્છું છું. ઇશ્વરના દરબારમાં શુદ્ધ બલિદાનનો જ સ્વીકાર છે. વણમાગ્યો જે વખત મળ્યો છે તેમાં આપણામાં હજી રહેલી બધી ખોડ કાઢી નાખો.”

સ્વરાજ પોતાના પુરુષાર્થથી જ મળી શકે એ સમજાવતાં ગાંધીજીએ લખ્યું:

“જેઓ એમ માની બેઠા છે અથવા જેઓએ એમ મનાવ્યું છે કે સ્વરાજ તો ગાંધી ગમે તેમ કરીને ડિસેમ્બર પહેલાં અપાવશે, તેઓ બંને