પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
સરદાર વલ્લભભાઈ


આટલી સમજૂતી અને ચેતવણી મળ્યા પછી પરિષદે નીચેનો ઠરાવ સર્વાનુમતે અને ખૂબ ઉત્સાહપૂર્વક પસાર કર્યો :

“સામુદાયિક સવિનય ભંગને સારુ કૉંગ્રેસે મુકરર કરેલી શરતો પૂરી રીતે સમજ્યા પછી બારડોલી તાલુકાની આ પરિષદ ઠરાવ કરે છે કે :
૧. આ તાલુકો સામુદાયિક સવિનય ભંગને સારુ તૈયાર છે.
૨. આ પરિષદ માને છે કે :
(૧) હિંદુસ્તાનનાં દુઃખોને દૂર કરવા સારુ હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે કોમો વચ્ચે મિત્રતાની આવશ્યકતા છે.
(૨) મજકૂર દુઃખનું ઔષધ શાંતિ, સબુરી અને સહનશીલતા જ છે.
(૩) હિંદુસ્તાનની સ્વતંત્રતાને સારુ પ્રત્યેક ઘરમાં રેંટિયો ચલાવવાની અને બધાએ હાથે કાંતેલા સૂતરનાં હાથે વણેલાં કપડાંનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે.
(૪) હિંદુઓ જ્યાં સુધી અસ્પૃશ્યતાનો સર્વથા ત્યાગ ન કરે ત્યાં સુધી સ્વરાજ્ય અશક્ય છે.
(૫) લોકોની ઉન્નતિને સારુ ને બંધનમાંથી છૂટવાને સારુ ગુસ્સો કર્યા વિના, માલમિલકત ખોવા, કેદમાં જવા કે જરૂર પડે તો જીવ આપવા લોકોએ તૈયાર થવાની આવશ્યકતા છે.
૩. આ પરિષદ ઉમેદ રાખે છે કે બારડોલી તાલુકાને પોતાનો ભોગ આપવાની પ્રથમ તક મળશે.
૪. આ પરિષદ કૉંગ્રેસ કારોબારી સમિતિને સૂચવે છે કે જો કારોબારી સમિતિ બીજો કંઈ પણ બંધનકારક ઠરાવ પસાર ન કરે તો, અગર રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ ન ભરાય તો બારડોલી તુરત સામુદાયિક સવિનય ભંગ મહાત્મા ગાંધીજી અને પરિષદના પ્રમુખની સલાહ મુજબ શરૂ કરશે.
૫. આ પરિષદ ભલામણ કરે છે કે જેમાં કૉંગ્રેસે ઠરાવેલી શરતોનું પાલન કરવા તૈયાર હોય તેવા બારડોલી તાલુકાના રહેવાસીઓ બીજો ઠરાવ થતાં સુધી સરકારમહેસૂલ ન ભરે.”

આણંદ તાલુકો સત્યાગ્રહની લડત ઉપાડવા માટે બારડોલી તાલુકાનો હરીફ હતો. પણ એ હરીફાઈ સુંદર અને બંનેને ઉન્નતિકર હતી. આણંદ તાલુકાના બુઝુર્ગ નાયક શ્રી અબ્બાસ સાહેબ તૈયબજી પોતાના તાલુકાને આવો અમૂલો લહાવો ન મળે તે માટે મનમાં દિલગીર થયા હોય તો નવાઈ નહીં. પણ ખુશમિજાજી અને ખેલદિલીથી તેમણે પરિષદમાં બારડોલીને મુબારકબાદી અને દુવા આપી.

ટીકાકારો કહેવા લાગ્યા કે બારડોલીના લોકો તો ભોળા અને મોળા છે અને તેમનો વિશ્વાસ કરવામાં ગાંધીજી મોટી ભૂલ કરે છે. આનો