પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
સરદાર વલ્લભભાઈ


3. જેલ માગી લેવાની પ્રવૃત્તિઓ બંધ કરી કૉંગ્રેસની સામાન્ય પ્રવૃત્તિઓ ચલાવવી. સારા ચારિત્ર્યવાળા અને કૉંગ્રેસ સમિતિઓએ ખાસ પસંદ કરેલા લોકો પાસે જ દારૂનાં પીઠાં પર ચોકી કરાવવી. બીજી બધી ચોકી બંધ કરવી.
૪. સભાબંધીના કાયદાના ભંગને ખાતર જ સ્વયંસેવકનાં સરઘસો કાઢવાનું અને જાહેરસભાઓ ભરવાનું બંધ રાખવું. કૉંગ્રેસની ખાનગી સભાઓ ને સામાન્ય જાહેરસભાઓ ભરવાની છૂટ રાખવી.
૫. જમીનદારોની સાંથ ન અટકાવવા ખેડૂતોને સમજાવવા. કૉંગ્રેસની હિલચાલનો હેતુ જમીનદારના કાયદેસર હક્કો પર તરાપ મારવાનો નથી. ઠરાવમાં ભવિષ્યનો કાર્યક્રમ પણ લોકોને આપ્યો :
૧. કૉંગ્રેસના ઓછામાં ઓછા એક કરોડ સભ્ય બનાવવા. સ્વરાજ્ય માટે સત્ય અને અહિંસાને અનિવાર્ય ગણનારને જ દાખલ કરવા.
૨. રેંટિયાની અને શુદ્ધ ખાદીની ઉત્પત્તિની પ્રવૃત્તિ વધારવી. દરેક કાર્ય કર્તા શુદ્ધ ખાદી જ પહેરે ને ઉત્તેજનને ખાતર કાંતતાં પણ શીખી લે.
3. રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવી અને ચલાવવી. સરકારી શાળાઓ પર ચોકી ન કરવી.
૪. અંત્યજોની સ્થિતિ સુધારવી. પોતાનાં બાળકને રાષ્ટ્રીય શાળાઓમાં મોકલવા તેમને સમજાવવા તથા બીજી સામાન્ય સગવડ કરી આપવી. તેમના પ્રત્યે અણગમો દૂર ન થયો હોય ત્યાં કૉંગ્રેસ તરફથી તેમને માટે અલાયદી શાળાઓ અને અલાયદા કૂવા કરી આપવા.
૫. દારૂ પીવાની ટેવવાળા લોકોમાં ઘેર ઘેર ફરી દારૂ નિષેધની હિલચાલ ચલાવવી.
૬. શહેરોમાં અને ગામોમાં લવાદી પંચો સ્થાપવાં. તેના ચુકાદા પળાવવા માટે સામાજિક બહિષ્કારનો ઉપયોગ હરગિજ ન કરવો.
૭. એક સેવાખાતું ખોલવું, જે કશા ભેદ રાખ્યા વિના સર્વ કોમને માંદગી કે અકસ્માત વખતે મદદ આપે.
૮. તિલક સ્વરાજ ફાળો ચાલુ કરવો અને કૉંગ્રેસના દરેક સભ્યને તથા કૉંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારને પોતાની ૧૯૨૧ની આવકનો સોમો ભાગ આપવા વિનંતી કરવી.

ગાંધીજીએ ચૌરીચોરાના દોષના પ્રાયશ્ચિત્ત તરીકે પાંચ દિવસના ઉપવાસ કર્યા. પ્રાયશ્ચિત્ત જાહેર કરવાની જરૂર ન હોય. પણ આ ઉપવાસ જાહેર કરવાનું ગાંધીજીએ એ કારણ આપ્યું કે જોકે એ ઉપવાસ એમને પોતાને સારુ પ્રાયશ્ચિત્ત હતા, પણ તેની સાથે ચૌરીચારાના દોષિત લોકોને સારુ એ સજારૂપ પણ હતા. ગાંધીજીએ લખ્યું છે :

“પ્રેમની સજા એવી જ હોય. પ્રેમી દુભાય ત્યારે પ્રિયાને દંડતો નથી, પણ પોતે પીડા ભોગવે છે, પોતે ભૂખે પીડાય છે, પોતે માથું કૂટે છે. પ્રિયજન સમજે કે ન સમજે એને વિશે એ નિશ્ચિંત રહે છે.”