પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
સરદાર વલ્લભભાઈ


મુંબઈના ગવર્નર ૧૯૨૩ના નવેમ્બરમાં એક અંગ્રેજ સાથેની મુલાકાતમાં બોલેલા :

“છે તો આટલોકશો સૂકલકડી; પણ તેત્રીસ કરોડ હિંદી પ્રજા ઉપર એણે અધિકાર જમાવ્યો હતો. આખી પ્રજા એનો પડ્યો બોલ ઝીલી લેતી. દુન્યવી વાતોની એને પરવા જ ન મળે. હિંદુસ્તાનના આદર્શો અને ધર્મનો જ ઉપદેશ કર્યાં કરે. આદર્શોથી કોઈએ રાજ્ય કર્યાં છે ? છતાં લોકોનાં દિલમાં એણે બરાબર સ્થાન મેળવ્યું. એ લોકોના પરમેશ્વર થઈ પડ્યા. હિંદુસ્તાનને કોઈક ને કોઈક તો પરમેશ્વર જોઈએ જ. પહેલાં તિલક હતા. પછી ગાંધી થયા. આવતી કાલે કોઈ ત્રીજો થશે. તેણે અમને ગભરાવી નાખ્યા. તેના કાર્યક્રમે અમારી બધી જેલો ભરી દીધી. પણ એમ લોકોને માણસ કેદમાં ક્યાં સુધી પૂર્યાં કરે, ખાસ કરીને જ્યાં વસ્તી તેત્રીસ કરોડની હોય ત્યાં ? અને આગળનું પગલું જો લોકોએ ભર્યું હોત, જો કર આપવાની ના પાડી હોત, તો ખુદાને માલૂમ આજે અમે ક્યાં હોત ! ગાંધીનો અખતરો આખી દુનિયામાં અપૂર્વ હતો અને મહા જબરદસ્ત હતો. એને અને ફતેહને એક તસુનું જ છેટું હતું. પણ લોકોના આવેશને એ અંકુશમાં ન રાખી શક્યા. લોકોએ હિંસામાર્ગ ગ્રહણ કર્યો અને ગાંધીએ પોતાની લડત મોકૂફ રાખી.”[૧]

લડત એટલા કારણસર બંધ કરવામાં આવે કે દેશના એક ખૂણામાં ઉશ્કેરાયેલા ટોળાએ કેટલોક અત્યાચાર કર્યો, તે રાજદ્વારી દૃષ્ટિએ દેશને પાછો પાડનારું હતું, એમ ગાંધીજી સિવાયના સૌ નેતાઓને લાગતું હતું. શ્રી વિઠ્ઠલભાઈ જેઓ બારડોલીની લડતમાં શરૂથી રસ લેતા હતા તેમને લડત બંધ રાખવાની ગાંધીજીની વાત જરાયે રુચી નહોતી. એક માત્ર સરદારે અને રાજેન્દ્રબાબુએ વિરોધનો કે નિરાશાનો એક હરફ પણ ઉચ્ચાર્યા વિના જ્ઞાનયુક્ત શ્રદ્ધાપૂર્વક ગાંધીજીનો નિર્ણય માથે ચડાવ્યો હતો. જવાહરલાલે પોતાની જીવનકથામાં આ વસ્તુનું પૃથક્કરણ બહુ સુંદર રીતે કર્યું છે :

“સાચી હકીકત તો એ છે કે ૧૯૨૨ના ફેબ્રુઆરીમાં સવિનય ભંગની લડત બંધ રહી તે કેવળ ચૌરીચોરાને કારણે તો નહીં જ, જોકે ઘણા લોકો એમ જ માનતા હતા. ચૌરીચારા તો એક છેવટનું નિમિત્ત થઈ પડ્યું. ગાંધીજી ઘણી વાર પોતાની અંતઃપ્રેરણાથી જ કામ લે છે. પ્રજાની સાથેના લાંબા અને નિકટ સંસર્ગને પરિણામે મોટા લોકનેતાઓને જે એક નવી દૃષ્ટિ ખૂલી જાય છે તેવી નવી દૃષ્ટિ એમને ખૂલી છે. આથી લોકોને શું લાગે છે, લોકો શું કહે છે, અને લોકો શું કરી શકશે તે તેઓ સહજ જોઈ શકે છે. આ સહજ દૃષ્ટિનો તેઓ ઉપયોગ કરે છે, તે પ્રમાણે જ પોતાનું કાર્ય ગોઠવે છે અને પાછળથી પોતાના આશ્ચર્યચકિત અને રોષે ભરાયેલા સાથીઓને
  1. *‘નવજીવન’ પુ ૫, તા. ૨૫–૧૧–’૨૩.