પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
સરદાર વલ્લભભાઈ


જૂન મહિનામાં લખનૌમાં મહાસમિતિની બેઠક થઈ. તેમાં ચર્ચા થઈ તે ઉપરથી દેખાઈ આવ્યું કે મહાસમિતિના મોટા ભાગના સભ્યો સત્યાગ્રહની લડતનું ખરું રહસ્ય સમજ્યા નહોતા. રચનાત્મક કામ થાય કે ન થાય, સવિનય ભંગ શરૂ કરવાની અધીરાઈ તેઓ બતાવી રહ્યા હતા. પોતાને શાંત રચનાત્મક કામમાં રસ નહોતો એ વસ્તુ ઢાંકવાને માટે પ્રજા રચનાત્મક કામ માટે ઉત્સાહ નથી ધરાવતી એવી દલીલ તેઓ કરતા હતા અને સવિનય ભંગ ઉપાડવામાં આવે તો લોકોમાં ઉત્તેજના આવે એમ કહેતા હતા. છેવટે શ્રી વિઠ્ઠલભાઇની સૂચનાથી એક સમિતિ નીમવામાં આવી, જેણે દેશમાં ફરીને દેશની પરિસ્થિતિ જોઈને કોઈ પણ પ્રકારના સવિનય ભંગ માટે દેશની તૈયારી કેટલી છે એ વિષે રિપોર્ટ કરવાનો હતો. આ સમિતિ ઓળખાઈ ‘સવિનય ભંગ સમિતિ’ને નામે, પણ દેશમાં તે જ્યાં ફરી ત્યાં તેને નિમિત્તે ધારાસભા પ્રવેશની ચર્ચા જ વધારે થઈ. આ બધા વિચારવંટોળમાંથી ગુજરાતને બચાવવા અને તેને ચોક્કસ દોરવણી આપવા જુલાઈ માસમાં સરદારે ‘સિપાઈની ફરજ' એ નામનો લેખ લખીને સવિનય ભંગ સમિતિનો રિપોર્ટ બહાર પડે ત્યાં સુધી બીજી કોઈ પણ ચર્ચા કર્યા વિના રચનાત્મક કામમાં જ મચ્યા રહેવાની ગુજરાતને સલાહ આપી.

આ વખતે ગુજરાતમાં રાષ્ટ્રીય કેળવણીનું કામ બીજા પ્રાંતના પ્રમાણમાં વિશેષ સંગીન થતું હતું. ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ૨૫૦ વિદ્યાર્થીઓ તાલીમ લેતા હતા. ગુજરાતનાં સઘળાં વિનય મંદિર તથા કુમાર મંદિરમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુલ ૩૭,૦૦૦ જેટલી હતી. વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરના તથા મહાવિદ્યાલયના પુસ્તકાલયમાં ૭૫,૦૦૦ ઉપરાંત પુસ્તકો હતાં. આ બધું છતાં વિદ્યાપીઠનું પોતાનું મકાન ન હતું, તેથી ભારે અડચણ પડતી હતી. એટલે ત્યાર પછીની ગાંધીજીની જયંતી એટલે બીજી ઓક્ટોબર પહેલાં વિદ્યાપીઠના ફાળામાં રૂપિયા દસ લાખ કરી દેવાની ગુજરાતમાં તથા ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ આગળ સરદારે ટહેલ નાખી. આખા દેશને સ્વરાજ્ય અપાવવા સામુદાયિક સવિનય ભંગનું બીડું ઝડપનાર ગુજરાત માટે આટલું કામ તો સહજ હોવું જોઇએ, એમ કહેતાં તેઓએ કહ્યું :

“આપણી પાસે આપણી ભક્તિની બહુ જ હળવી કસોટી મુકાયેલી છે. આકરી કસોટીમાં માણસ નિષ્ફળ નીવડે તો પણ તેને તે એટલું લાંછન જેવું નથી હોતું. તેવી આકરી કસોટીમાં તે ઊતર્યો એ જ એને માટે પૂરતું ગૌરવ આપનારું છે. પણ કસોટી જેમ હળવી તેમ તેમાં નિષ્ફળતા આવે તો વધારે નીચું જોવાપણું રહે છે. સાતમા ધોરણવાળા વિદ્યાર્થીઓ ત્રીજા ધોરણની પરીક્ષામાં બેસીને તો પહેલે નંબરે જ પાસ થવું જોઈએ. તે નાપાસ થાય તો તે તેણે ડૂબી જ મરવું પડે. નીચે નંબરે પાસ થાય તો નિશાળમાંથી શરમના માર્યા રજા જ લઈ લેવામાં તેની ઇજ્જત છે.