પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
ગાંધીજીની ગિરફતારી પછી


“આપણે આ લડતમાં સાતમીના વિદ્યાર્થી છીએ. આપણે બારડોલીના સવિનય ભંગની લડત ઉપાડવા તૈયાર થયા હતા. આપણે માટે આખા ગુજરાતમાંથી દસ લાખ એકઠા કરવા એ ત્રીજીની પરીક્ષા જેવું જ છે. પરીક્ષા હળવી છે, પણ હળવી છે માટે જ આપણે તેમાં પાસ થવું જોઈએ, અને તે પણ ઊંચે નંબરે.”

ગુજરાતીઓએ આ અપીલનો સારો જવાબ આપ્યો. બરાબર બીજી ઑક્ટોબરે ફાળામાં દસ લાખ રૂપિયા પૂરા થઈ ગયા. આ ફાળો ઉઘરાવવામાં શ્રી મણિલાલ કોઠારીએ બહુ ભારે મદદ કરીને રાષ્ટ્રભિક્ષુની ઉપાધિ મેળવી. મુંબઈનાં કેટલાંક ધિરાણો બાકી હતાં ત્યાં સુધી રકમ અધૂરી હતી, પણ છેલ્લે દિવસે અમદાવાદમાંથી એક પોણા લાખનું મોટું દાન મળ્યું એટલે સરદારની અથવા ગુજરાતની ટેક જળવાઈ. આ દસ લાખમાં ચોથા હિસ્સાની, એટલે રૂપિયા અઢી લાખની સખાવત ગાંધીજીના પરમ મિત્ર રંગૂનવાળા ડો. પ્રાણજીવનદાસ મહેતાની હતી. એ રકમમાંથી ગૂજરાત વિદ્યાપીઠનું હાલનું મકાન બંધાયું છે.

વિદ્યાપીઠ ફાળાનું કામ પૂરું કરીને સરદારે તરત જ ગુજરાતને માટે બીજું કામ કાઢ્યું. પરદેશી કાપડ ઉપર આખા ગુજરાતમાં ચોકી કરવાનું કામ ઉપાડવા માટે ગુજરાત પ્રાંતિક સમિતિ પાસે તા. ૧૬-૧૦-’રરની બેઠકમાં નીચે પ્રમાણે ઠરાવ કરાવ્યો :

“૧. ગુજરાતમાં પરદેશી કાપડ ઉપર ચોકી કરવાની જરૂર છે.
“૨. ચોકી કરવા ઇચ્છનાર સ્વયંસેવકે નીચે મુજબના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવી જોઈએ
“‘સ્વયંસેવક સેનામાં જોડાઉં તે પહેલાં આ કામને માટે નિમાયેલી સમિતિને હું પુરવાર કરી આપીશ કે મારા કુટુંબની અંદર જેમના ઉપર હું કંઈ પણ અસર પાડી શકું તેવી સ્થિતિમાં હોઉં તેમની પાસેથી પરદેશી કાપડનો મેં સંપૂર્ણ ત્યાગ કરાવ્યો છે.”
“૩. સ્વયંસેવકની ઉંમર અઢારથી ઓછી હોવી જોઈએ નહીં.”

સ્વયંસેવકો માટે અપીલ કરતાં સરદારે કહ્યું કે :

“ગુજરાત પાસે પૈસો છે, વ્યવસ્થાશક્તિ છે, વિવેક છે, પણ ગુજરાતને કામદારોની એટલે સ્વયંસેવકોની ખોટ છે. જેને દેશદાઝ હોય તે તમામ ગુજરાતીઓએ પોતાનો એક એક છોકરી દેશસેવાના કામમાં આપી દેવો જોઈએ. ગુજરાત કાઠિયાવાડના સાચી દેશદાઝવાળા નવજવાનોએ ગાંધીજી જેલમાંથી છૂટે ત્યાં સુધી ફક્ત દેશસેવા કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ગુજરાતની લાજ રાખવી હોય તે આળસ છોડો. નહી તો કાળ જશે ને કહેવત રહી જશે કે જેને જગતે ઓળખ્યા એવા મહાત્મા ગાંધીજીને એક ગુજરાતે ન ઓળખ્યા.”