પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
સરદાર વલ્લભભાઈ


સરદારે આ વિષેના પોતાના વિચારો પોતાની જ ઢબે પ્રગટ કર્યા. તા. ૮મી ડિસેમ્બરથી સુરતમાં પરદેશી કાપડ ઉપર ચોકી શરૂ થવાની હતી. તે માટે તા. ૭મીએ ત્યાં જાહેર સભા રાખી હતી. તેમાં એક ભાઈ એ દુશ્મનના કિલ્લામાં પ્રવેશ કરી તેને સર કરવાની શ્રી વિઠ્ઠલભાઈની દલીલ વિષે સવાલ પૂછ્યો. સરદારે સમજાવ્યું કે :

“ધારાસભા પ્રવેશના હિમાયતી પટેલ સાહેબ જુબાની આપવા વિલાયત ગયા હતા એટલે ધારાસભાનું બંધારણ ઘડનારાઓ એમને એાળખે છે. પટેલ સાહેબ જેવા ગૃહસ્થો ધારાસભામાં આવશે જ તેનો ખ્યાલ રાખીને એમને પહોંચી વળવાના તેમણે રસ્તા રાખેલા છે. દુશ્મનનો કિલ્લો ધારાસભામાં છે જ નહીં. કિલ્લો તો બહાર સર કરવાનો પડેલો છે. બહાર સર નહીં કરો તો સેંકડો વર્ષ પણ ધારાસભા વિના આ તંત્ર ચાલી શકે એમ છે.”

ગયાની કૉંગ્રેસમાં ધારાસભાની વિરુદ્ધ અને તરફેણમાં મોટી ઝુંબેશ ચાલી. દેશબંધુ દાસે પોતાના પ્રમુખ તરીકેના ભાષણમાં કહ્યું :

“આ ધારાસભાઓ કાં તો સુધારવી કાં તો મિટાવવી જ રહી. અત્યાર સુધી આપણે ધારાસભાઓનો બહારથી બહિષ્કાર કર્યો છે. આપણે એ દિશામાં ઘણું કરી શક્યા છીએ. ધારાસભાઓની પ્રતિષ્ઠા ખૂબ ઘટી ગઈ છે. દેશ જાણી ગયો છે કે ત્યાંની ખુરસીઓ શોભાવનારા કાંઈ પ્રજાના પ્રતિનિધિઓ નથી. છતાં ધારાસભાઓ હસ્તીમાં તો છે જ, એટલે કૉંગ્રેસની ફરજ છે કે તેનો અંદરથી વધારે અસરકારક બહિષ્કાર તે કરે. ધારાસભાઓ એ નોકરશાહીએ પોતાનું સ્વરૂપ ઢાંકવા ખાતર ધારણ કરેલો વેષ છે. તેના ઉપરથી આ ઢાંકણ કાઢી નાખી તેને ઉઘાડી પાડવી એ આપણું કર્તવ્ય છે. બહિષ્કારના વિચારમાં જ માત્ર એનાથી દૂર રહેવા કરતાં કંઈક વિશેષ રહેલું છે. પરદેશી કાપડના બહિષ્કારનો અર્થ એ થાય છે કે આપણા બજારમાં પરદેશી કાપડ ન રહેવા પામે એવા ઉપાય યોજવા. તે જ પ્રમાણે ધારાસભાના બહિષ્કારનો અર્થ એ થાય છે કે આપણા સ્વરાજ્યમાં આડે આવવા આ ધારાસભાઓ રહી શકે નહીં. ધારાસભાનો બહિષ્કાર ફતેહમંદ થયો ત્યારે જ કહેવાય કે જ્યારે તેમાં એવા સુધારા આપણે કરાવી શકીએ કે જેથી સ્વરાજ્યપ્રાપ્તિમાં આપણને તે અનુકૂળ થઈ પડે અથવા તો તેનો આપણે પૂરેપૂરો નાશ કરી નાખીએ. ધારાસભાઓનો એ રીતે બહિષ્કાર કરવાની હું દેશને સલાહ આપું છું. . . .”
“લશ્કર દુશ્મનની ભૂમિમાં દાખલ થાય છે ત્યારે કાંઈ દુશ્મનનો તેણે સહકાર કર્યો ગણાતો નથી. તેમ આપણે નોકરશાહીના કિલ્લામાં દાખલ થવામાં તેની સાથે સહકાર નથી કરતા. કયા ઉદ્દેશથી આપણે દાખલ થઈએ છીએ તે ઉપર આ સવાલનો આધાર રહે છે.”