પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
ગાંધીજીની ગિરફતારી પછી


સરદારે ધારાસભા પ્રવેશનો વિરોધ કરતાં પોતાના ભાષણમાં જણાવ્યું :

“હું કાંઈ આગેવાન નથી. હું તો એક સિપાહી છું. હું ખેડૂતનો દીકરો છું અને જીભાજોરીથી સ્વરાજ મળે એમ માનતો નથી. લુચ્ચાઈમાં સરકારને આપણાથી પહોંચી શકાય એમ નથી. . . . આપણે જો ધારાસભાની ચળવળમાં પડીશું તો લોકો વધારે ઠંડા પડી જશે અને કૉંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેસશે. ધારાસભાની ચળવળ કૉંગ્રેસને વિનાશકારી થઈ પડશે. કૉંગ્રેસે અસહકાર પુકાર્યો ત્યાર પછી તેમાં ખેડૂતો ભળ્યા છે, મજૂરો દાખલ થયા છે અને સ્ત્રીઓ ભાગ લેવા લાગી છે. કારણ તેમને કામ કરવાનું અને ભાગ આપવાનું તેમાં ક્ષેત્ર છે. સુધારા થયા તે પહેલાં કેવા માણસો સાથે પોતાને કામ કરવાનું છે તે સરકાર જાણતી હતી. તેમની શક્તિને સરકાર ઓળખતી હતી એટલે તે પ્રમાણે જ સુધારા ઘડ્યા છે. ધારાસભાની આવી ચળવળ સો વર્ષ ચલાવો તોયે સ્વરાજ્ય મળનારું નથી.”

કેટલાક વક્તાઓએ પોતાના ભાષણમાં એવી દલીલ કરી હતી કે કાં તો સવિનય ભંગ આદરો, નહીં તો ધારાસભાઓમાં જઈ સરકારને હંફાવો; રચનાત્મક કામનો જાપ જપવાથી કશું વળવાનું નથી. તેનો જવાબ આપતાં રાજાજીએ જણાવ્યું :

“સરકારની હિંસા સામે બહાદુરીપૂર્વક કષ્ટો વેઠીને જ આપણે લડત જીતી શકીએ એમ છીએ. ધારાસભાના ઓરડા એ આપણું સમરાંગણ નથી. હિંદુસ્તાનનો વિશાળ પ્રદેશ આપણું સમરાંગણ છે. કષ્ટ ઉઠાવવાની આપણી તત્પરતા અને આપણી તાકાત એ આપણાં શસ્ત્રો છે. . . .
“ધારાસભામાં જવું એ કેવળ નકામું જ હોત તો પણ હું તેનો વિરોધ ન કરત, પણ ધારાસભાની ચળવળ તો આપણા કામમાં સીધું નુકસાન કરનારી છે. સવિનય ભંગ અથવા તો ધારાસભા પ્રવેશ એ વિકલ્પનો વિચાર આપણી નિર્બળતા સૂચવનાર છે. ધારાસભાથી રચનાત્મક કામમાં કશી મદદ નથી થવાની અને સવિનય ભંગમાં પણ કશી મદદ નથી થવાની. અત્યાર સુધી આ ચર્ચાઓ કર્યા કરવાને બદલે આપણે રચનાત્મક કામ વધારે જોસથી કર્યું હોત તો દેશ ક્યારનોચે સવિનય ભંગને માટે તૈયાર થઈ ગયો હોત. હજી પણ આપણે જોસથી કામ ચલાવીએ, આપણી પૂરી કસોટી થવા દઈએ અને સર્વસ્વનો ત્યાગ કરી ઝૂઝીએ. . . .
“અત્યાર સુધી મહા મહેનત કરીને આપણે ધારાસભાની પ્રતિષ્ઠા તોડી શક્યા છીએ અને જે વાતાવરણ પેદા કરી શક્યા છીએ તેને જો આપણે બગાડી મારીશું અને નવો જ અખતરો લઈ બેસીશુ તો કરી કમાણી બધી આપણે હાથે જ ધૂળ મેળવીને નવેસરથી બધી રચના કરવા બેસવું પડશે.”

છેવટે રાજાજીનો નીચેનો ઠરાવ બહુમતીથી પસાર થયો :

“આ સરકાર જે સંસ્થાઓ ઉપર પોતાની સત્તા જમાવીને બિનજવાબદાર રાજ્ય ચલાવી રહી છે તેનું નૈતિક બળ, ૧૯૨૦ની ચૂંટણીઓ વખતે કરવામાં