પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
સરદાર વલ્લભભાઈ


“હવે ઇન્ડિયા સરકાર શું કરે છે તે જોવાનું છે. જો ન છોડે તો સ્થાનિક સરકારની આબરૂ અને ઈમાન જવાનાં, અને છોડે તો સિવિલિયનો છેડાવાના. આ બધી ખૂબ ખાનગી બાબતો તમારી જાણ માટે લખું છું. કોઈ જગ્યાએ જાહેર ન થવી જોઈએ.
“લડતમાં કેમ અને કેવી રીતે જીત મળી છે તે ત્યાં આવીને કહીશ. કેદી છૂટવા ઉપર થોડો જ જીતનો આધાર છે ? વાવટો લઈ સરઘસ સિવિલ લાઈન્સમાં પેસી ગયું તેમાં આપણી જીત તો થઈ છે. હવે કેદી ન છૂટે તોપણ મને કાંઈ ચિંતા નથી. માત્ર સરકારની ઇજ્જત જવાની અને એ માટે મારી પાસે પૂરો મસાલો ભરેલો પડ્યો છે. સરકારના છેવટનો નિર્ણય થાય તે ઉપર રાહ જોઈ બેઠો છું.
“ધારાસભાથી કેદીઓ છૂટે એવું માનનારા ગુજરાતમાં પડેલ છે એથી મને ખૂબ અચંબો થાય છે. ધારાસભા ન હોત તો મામલો ક્યારનો પતી ગયો હોત. જોજો કોઈને કહેતાં વિચાર કરજો. હમણાં મારા ત્યાં આવતા સુધી કશું છાપાંમાં ન જવું જોઈએ. નહી તો વળી મામલો બગડશે. મને લાગે છે કે વિઠ્ઠલભાઈએ મુંબઈમાં ન બાફ્યું હોત તો તા. ૨૨મીએ કેદીઓને લઈ અહીંથી વિદાય થયો હોત.
“પેલા કમિશનરે ‘ટાઈમ્સ’ વગેરેને ખબર મોકલી આપેલી કે આપણા તરફથી પરવાનગી મેળવવા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને અરજી અપાયેલ, એને મેં પકડી પાડ્યો છે. એની છૂપી લડત ઉઘાડી પાડીને એનું મોં બંધ કર્યું છે. ‘પાયોનિયર’ ને સરકાર સામે ઉશ્કેરનાર એ જ છે. આમ અહીં થોડા દિવસ કેદી વધારે રહે છે પણ સરકારની મૂંઝવણનો પાર નથી એવો રંગ જમાવ્યો છે. જોઈએ હવે શું થાય છે. બે ત્રણ દિવસમાં પાર આવવો જોઈએ. પણ જ્યાં બે સરકાર વચ્ચે રસાકસી ચાલી છે ત્યાં વખત કેટલો થાય એ શું કહેવાય ? માટે બધા જરા ધીરજ રાખજો.’

પણ આખા દેશમાં લોકોની અકળામણ વધતી જતી હતી. ઘણાને લાગતું હતું કે સરદારે ભારે થાપ ખાધી છે. છેવટે એમણે મધ્ય પ્રાંતની સરકારને નોટિસ આપી કે હવે ચોવીસ કલાકમાં કેદીઓ નહીં છૂટે તો સરકાર સામે વિશ્વાસઘાતનો આરોપ મૂકી તેમની સાથે થયેલો તમામ પત્રવ્યવહાર પોતે પ્રસિદ્ધ કરશે અને સત્યાગ્રહનું આંદોલન ફરીથી શરૂ કરવામાં આવશે, તેની જવાબદારી સરકારની રહેશે. આ ઉપરથી ગવર્નર અને ગૃહમંત્રીએ સેક્રેટરી ઑફ સ્ટેટને તાર કર્યો કે, જો કેદીઓને તાબડતોબ નહીંં છોડવામાં આવે તો અમને બન્નેને રાજીનામું આપવાની ફરજ પડશે. સરદારની નોટિસના ચોવીસ કલાક તો સવારે પૂરા થતા હતા, તે પહેલાં રાત્રે બે વાગ્યે સરદારને ખબર આપવામાં આવી કે સરકારે કેદીઓને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. પેલો કમિશનર લાંબી રજા ઉપર ચાલ્યો ગયો અને ત્યાંથી પાછો જ ન આવ્યો.