પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯
નાગપુર ઝંડા સત્યાગ્રહ

વિષે મને શંકા નથી. છતાં એટલું કહેવાની તો મારી ફરજ મને લાગે જ છે કે અંતે તો સરકાર કમિશનરના કૃત્યની જવાબદારીમાંથી નથી જ છટકી શકતી.”

નાગપુર સરકારની કદર કરતાં તે કહે છે :

“સરઘસને પસાર થવા દીધા પછી તમામ કેદીઓને છોડી મૂકવાની સરકારની ધાર્મિક ફરજ હતી. અને એ ફરજ અદા કરવા માટે હું મધ્ય પ્રાંતની સરકારનો આભાર માનું છું. . . . લડતનો માનભર્યો અંત આણવાની સરકારની શુભ ઇચ્છા હતી એ હું એકદમ કબૂલ કરું છું.”

નિવેદનના અંતમાં તેઓ જણાવે છે :

“હું તમને સાચેસાચું કહું છું કે આપણી જીત થઈ છે તેનું માન મને બિલકુલ નથી. બધું માન તમે જેલમાં કષ્ટો અને યાતનાઓ સહન કરીને આવ્યા છો તેમને અને જેઓ આ લડતને અર્થે સહન કરવાને તૈયાર હતા તેમને છે, તેમ જ આખી લડત દરમિયાન અથાક શ્રમ લેનાર અને અદ્‌ભુત વ્યવસ્થા બતાવનાર નાગપુરની કૉંગ્રેસ સમિતિને છે. . . . નિર્મળતા અને નિર્ભયતાનાં સાધનોથી મંડાયેલા આ ધર્મયુદ્ધનું પ્રજા ભવિષ્યમાં ગૌરવ સાથે સ્મરણ કરશે અને આ ધર્મયુદ્ધ સત્ય, અહિંસા અને આપભોગનાં શસ્ત્રોની શ્રેષ્ઠતા વિષે પ્રજામાં વધારે શ્રદ્ધાનો સંચાર કરશે. ”

આમ વિરોધીઓ અથવા બહારના ટીકાકારોને સરદારે ગૌરવભરી રીતે બરાબર જવાબો આપ્યા અને તે જવાબ આપવા સહેલા હતા. પણ સ્વરાજ પક્ષના ૫ં○ મોતીલાલજી જેવા આગેવાનોએ પણ સરકારે માંડવાળ કરી એવા આક્ષેપો કર્યા હતા એ ઘરનો ઘા દુ:સહ હતો. છતાં તેમને પણ જવાબ તો આપવો જ જોઈએ. નાગપુરથી છૂટી આવેલા સૈનિકોને માન આપવા અમદાવાદમાં મોટી જાહેરસભા થઈ તેમાં આ વિષે બોલવાની તેમણે તક લીધી. તેમણે વિનમ્ર ભાવે કહ્યું :

“૫ં○ મોતીલાલજીએ મારા કામ ઉપર ટીકા કરી હોય તો હું તો તેમની આગળ બચ્ચું છું. તેમના ત્યાગની, તેમની દેશસેવાની કિંમત હું શી રીતે આંકી શકું ? મારા જેવા કાચા સિપાઈની ભૂલ જણાય ત્યાં ભૂલ બતાવવાનો તેમના જેવા અનુભવીને હક્ક છે. પણ આ કામમાં શરૂઆતથી તે આખર સુધી મારા મોટા ભાઈ વિઠ્ઠલભાઈ મારી સાથે હતા. એક વિરુદ્ધ વિચારના આગેવાન પણ મારી સાથે છે એ વિચારથી મને સંતોષ હતો. આ લડતમાં જીત થઈ હોય, મગરૂર થવાનું કારણ મળ્યું હોય તો તેનું માન જેમણે કષ્ટો સહન કર્યાં અને જેઓ સહેવા તૈયાર હતા તેમને છે. પણ જીત ન મેળવી હોય, લડત બંધ કરવામાં ભૂલ થઈ હોય અને શરમાવા જેવું થયું હોય તો તેની જવાબદારી મારી છે. મેં લડત બંધ કરી તે મારી