પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
વિદ્યાભ્યાસ


કરીને જાતે જ પીરસે અને આગ્રહ કરી કરીને ખવડાવે. રસોડા ઉપર જાતે જ દેખરેખ રાખે, એ બધી વાતો હવે ઘણા જાણે છે.

આપણા હિંદુ સમાજમાં અને તે જમાનામાં વિદ્યાભ્યાસના કાળ દરમ્યાન જ છોકરાનાં લગ્ન થઈ જાય એમાં કશી નવાઈ નહોતી. સરદારનાં લગ્ન એમની અઢાર વર્ષની ઉંમરે થયેલાં. એ તો કાંઈક મોટી ઉંમરે થયાં ગણાય. એમનાં પત્ની ઝવેરબાની ઉંમર તે વખતે બાર તેર વર્ષની હશે. એ નજીકના જ ગાના ગામનાં હતાં. તે વખતે પરણ્યા પછી પાંચ સાત વર્ષે સ્ત્રીઓ સાસરે આવે એવો રિવાજ હતો. એટલે સરદારનો ગૃહસ્થાશ્રમ વકીલ થયા પછી અથવા થોડા વખત પહેલાં શરૂ થયો.

સમજણા થયા ત્યારથી જ પાટીદાર ન્યાતના પહેરામણી વગેરે રિવાજો પ્રત્યે એમને તિરસ્કાર હતો. પણ પોતાનો તિરસ્કાર સુધારાનો ઉપદેશ આપીને કે સુધારાનાં ભાષણ કરીને તેઓ વ્યક્ત કરતા નહીં. ભાષણ કે ઉપદેશ કરતાં હાડોહાડ લાગી જાય એવાં તીખાં કટાક્ષ અને માર્મિક ટીખળથી અસર પાડવાની તેમની પદ્ધતિ આજે પણ છે. કોઈની પહેરામણી લીધાની વાત સાંભળે ત્યારે પૂછે કે, “આખલાના પાંચ હજાર ઊપજ્યા કે સાત હજાર ?” પોતાના સગામાં જ એક છોકરાની સગાઈ કરતી વખતે પહેરામણીની રકમ ઠરાવવાની વાટાઘાટો ચાલતી હતી ત્યારે કહે કે, “આ બધી ભાંજગડ છોડીને એ છોકરાને શુક્કરવારીમાં જ મૂકો ને !”

ભાષાના આવા પ્રયોગો કોઈ શિક્ષક પાસેથી કે ચોપડીમાંથી ક્યાંથી શિખાય ? મેં આ પ્રકરણનું મથાળું વિદ્યાભ્યાસ એવું કર્યું છે પણ પ્રકરણ વાંચ્યા પછી સહેજે જણાશે કે શાળાના ભણતરે અથવા તો શાળાના કોઈ શિક્ષકે એમના ઘડતરમાં ખાસ કશો ફાળો આપ્યો નથી; આપ્યો હોય તો પણ જૂજ, નજીવો. એમણે તો જે કોઈ મેળવ્યું તે અગાઉ કહ્યું તેમ ‘માંય માંય ભણીને’, જાતે જ નિરીક્ષણ અને પરીક્ષણ કરીને મેળવ્યું છે. તેઓ પોતે એને ‘કોઠા વિદ્યા’ કહે છે. અનુભવથી મેળવેલી અને કોઠે જરેલી એટલે કે બરાબર પચાવેલી હોય તે જ ખરી વિદ્યા. એવી વિદ્યા તેઓ બાળપણથી જ ભણતા આવ્યા છે અને હજી પણ ભણતા જ રહે છે. એ વિદ્યાનો અભ્યાસ કરતાં જેને આવડે છે, તેનો વિદ્યાભ્યાસ કદી પૂરો થતો જ નથી.