પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૯
કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ

સમિતિઓ એ આવાં મંડળો કહેવાય અને તેના કાર્યવાહકો એ જ હોય કે જેઓ કૉંગ્રેસની નીતિમાં પૂરા દિલથી માનનારા હોય અને તેનો તનમનથી અમલ કરવા તૈયાર હોય.”

આ ઉપરથી કોઈને એવી શંકા જાય કે ગાંધીજી સ્વરાજપક્ષીઓને નાફેરવાદીઓ કરતાં ઊતરતા ગણે છે તો તે બરાબર નથી એ સ્પષ્ટ કરવા ગાંધીજી એ લેખમાં આગળ જણાવે છે :

“હું ખાતરી આપવા ઇચ્છું છું કે આવો વિચાર મારા સ્વપ્નામાંયે કદી હોય જ નહીં. ચડિયાતાપણાનો કે ઊતરતાપણાનો સવાલ જ અહીં નથી. બે પક્ષો વચ્ચે સ્વભાવ કે પ્રકૃતિનો ભેદ છે. મેં તો માત્ર કૉંગ્રેસનાં કારોબારી મંડળો વધુ અસરકારક ઢબે કઈ રીતે કામ કરી શકે એટલી જ વાત ઉપર દૃષ્ટિ રાખીને લખ્યું છે. વધુ લોકપ્રિય હોય તો કૉંગ્રેસનાં બધાં મંડળો એમનાં જ બધાં માણસોને હાથે ચાલવાં જોઈએ. . . . નાફેરવાદીઓ ફેરવાદીઓને, તેઓ પોતાનાથી જુદા વિચાર ધરાવે છે એટલા જ કારણસર જો પોતાનાથી કોઈ પણ રીતે ઊતરતા ગણે તો તેઓ પોતાનો ધર્મ ચૂકે.”

બે પક્ષ વચ્ચેના આ મતભેદનો નિવેડો લાવવા મહાસમિતિની બેઠક તા. ર૭મી જૂને અમદાવાદમાં બોલાવવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપાલિટીનું નવું મકાન તાજું જ બંધાયેલું હતું. તેના ગાંધીહૉલનું વાસ્તુ મહાસમિતિની બેઠકથી થયું એમ કહી શકાય. ગાંધીજીનો વિચાર કૉંગ્રેસને ધારાસભાઓને માર્ગેથી વાળી પ્રજામાં સંગીન રચનાત્મક કામ કરી, પંચવિધ અસહકારને ઉગ્ર રૂપ આપી સામુદાયિક સવિનય ભંગ માટે તૈયાર કરવાનો હતો. તે માટે લોકમત કેળવવા સારુ પોતાના ઠરાવનો ખરડો અગાઉથી બહાર પાડ્યો તથા મહાસમિતિના સભ્યોને ઉદ્દેશીને એક જાહેર પત્ર પણ લખ્યો. તેમાં પોતાના અસહકારનો તાત્ત્વિક અર્થ બહુ સુંદર રીતે સમજાવ્યો :

“જો સરકારી નિશાળો, અદાલતો અને ધારાસભાઓ વિષે આપણને મોહ થાય એવું તેમાં કશું હોય તો આપણો વિરોધ એ તંત્રની સામે નથી પણ તંત્ર ચલાવનારાઓની સામે ન થયો. અસહકાર આથી વધુ ઉન્નત હેતુને માટે ચાલે છે. જો આપણો આશય એટલો જ હોય કે સરકારી ખાતાઓમાં અંગ્રેજોની જગ્યાએ આપણા લોકો ભરી મૂકે, તો હું કબુલ કરું છું કે આ બહિષ્કારો નિરર્થક જ નહી, પણ હાનિકર્તા છે. સરકારની નીતિનો અંતિમ હેતુ આપણને જાંગલા બનાવી મૂકવાનો દેખાય છે, અને આપણે જાંગલા બન્યા કે લાગલા જ આપણા અંગ્રેજ શેઠો રાજની લગામ આપણા હાથમાં સોંપી દેશે. તેઓ સુખે આપણને તેમના આડતિયા તરીકે સ્વીકારશે. આ પ્રાણઘાતક ક્રિયામાં મને કશો રસ ન જ હોઈ શકે, સિવાય કે તેની સામે મારું બધું બળ વાપરીને લડવું. મારું સ્વરાજ આપણી