પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૨૭

બારડોલી સત્યાગ્રહ

સને ૧૯૨૧ની અમદાવાદની કૉંગ્રેસ પછી સ્વરાજને માટે બારડોલી તાલુકામાંથી સામુદાયિક સવિનય ભંગની લડત ઉપાડવા ધારેલી તે બંધ રહ્યા પછી અને ગાંધીજીના પકડાયા પછી સરદારે પોતાના સાથીઓ દ્વારા રચનાત્મક કાર્ય જોસથી ચાલુ રાખી કોક દિવસ બારડોલીને જ સત્યાગ્રહ માટે તૈયાર કરવાનાં સ્વપ્નાં સેવ્યાં હતાં. જોકે વાતાવરણ ધીમે ધીમે ઠંડું પડતું જતું હતું અને કાંઈક નિરાશા પણ વ્યાપવા માંડી હતી. છતાં એ વાતાવરણની પરવા કર્યા વિના કસાયેલા સેવકો તાલુકાના જુદા જુદા ભાગમાં થાણાં સ્થાપી, અડંગા નાખીને પડ્યા હતા અને આ ભૂમિને ગાંધીજીએ સત્યાગ્રહને માટે પસંદ કરી હતી એ વાતનું સ્મરણ લોકોમાં જાગ્રત રાખતા હતા. છેવટે ૧૯૨૮માં જમીનમહેસૂલવધારાના પ્રશ્ન ઉપર સરકારને પડકાર આપવાની તક પ્રાપ્ત થઈ તે સરદારે વધાવી લીધી અને લોકો પાસે એ સફળ સત્યાગ્રહ કરાવ્યો જેની વીજળીક અસર આખા દેશ ઉપર પડી અને જેમાં નવી આશા અને નવા ઉત્સાહનો સંચાર થયો.

મુંબઈ ઇલાકામાં દર ત્રીસ વર્ષે ખેડૂતોની આર્થિક સ્થિતિની તપાસ કરી જમીન મહેસૂલના આકારમાં સુધારો કરવાની રીત પ્રચલિત હતી. બારડોલી તાલુકાની છેલ્લી જમાબંધી સને ૧૮૯૬માં થઈ હતી. એટલે ચાલતી પ્રથા પ્રમાણે સને ૧૯ર૬ માં એમાં સુધારો કરવાનો સમય આવી પહોંચ્યો હતો. એ વેળાના સુરતના એક ડેપ્યુટી કલેક્ટર શ્રી જયકરને આકારણી અમલદાર નીમવામાં આવ્યા. તેમણે જમીન મહેસૂલના ચાલુ દરમાં પચીસ ટકાનો વધારો સૂચવ્યો. વળી ૨૩ ગામને નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં ચઢાવવામાં આવ્યાં. એટલે એ ગામ ઉપર ઉપલા વર્ગના વધારે મહેસૂલનો તથા મહેસૂલના વધારેલા દરનો એમ બેવડો માર પડ્યો. આમ આખા તાલુકાનું મહેસૂલ ૩૦ ટકા વધી ગયું. ચાલુ મહેસૂલ રૂા. ૫,૧૪,૭૬૨ હતું તેને બદલે રૂા. ૬,૭૨,૨૭૩ કરવાની ભલામણ થઈ. આ ભલામણનાં કારણો તેમણે નીચે પ્રમાણે જણાવ્યાં હતાં :

૧. ગઈ જમાબંધી પછી ટાપ્ટી વેલી રેલવે નવી ખોલવામાં આવી છે અને તાલુકામાં અનેક પાકા નવા રસ્તાઓ થયા છે.
૩૮૭