પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૮
સરદાર વલ્લભભાઈ


૨. વસ્તીમાં ૩૮૦૦નો વધારો થયો છે.
૩. ખેતીવાડીનાં સાધનો, ગાડાં અને દૂઝણાં ઢોરની સંખ્યામાં વધારો થયો છે.
૪. અનેક પાકાં મકાનો વધ્યાં છે.
૫. રાનીપરજ લોકોની સ્થિતિમાં કેળવણી અને દારૂનિષેધની પ્રવૃત્તિથી સુધારો થયો છે.
૬. અનાજ અને કપાસના ભાવમાં અસાધારણ ઉછાળો આવ્યો છે.
૭. ખેતીની મજૂરી બમણી વધી ગઈ છે.
૮. જમીનની કિંમતમાં તેમ જ ગણોતના દરમાં વધારો જ થતો જાય છે.
૯. ત્રીસ વરસ ઉપર જમીનમાંથી ઉત્પન્ન થતા પાકની કિંમતમાં સને ૧૯૨૪ના ભાવ પ્રમાણે રૂપિયા પંદર લાખનો વધારો થયેલ છે.

બારડોલી તાલુકા સમિતિએ આ રિપોર્ટનો જવાબ તૈયાર કરવા એક કમિટી નીમી. હું તેનો પ્રમુખ હતો. રિપોર્ટનો અભ્યાસ કરી તથા તાલુકામાં ફરી, આકારણી અમલદારે જણાવેલી હકીકતોને ખોટી પાડનારો પુરાવો અમે ભેગો કર્યો ‘નવજીવન’માં એક લેખમાળા લખી મેં રિપોર્ટની વિસ્તીર્ણ સમાલોચના કરી અને વધારાની ભલામણો માટે આપેલાં સઘળાં કારણોના ચોક્કસ રદિયો આપી તે પાયા વિનાનાં પુરવાર કર્યા.

સરકારની જમીનમહેસૂલ કરાવવાની પદ્ધતિ કોઈ ચોક્કસ ધોરણ ઉપર રચાયેલી નથી એવી ટીકાઓ લોકનેતાઓ તેમ કેટલાક સરકારી અમલદાર તરફથી ઘણાં વર્ષોથી થયા કરતી હતી. તેથી સને ૧૯૦૨માં એક વિસ્તૃત યાદી બહાર પાડીને સરકારે જાહેર કર્યું હતું કે ખેતીના ચોખ્ખા નફાના પ૦ ટકા કરતાં જમીન મહેસૂલ વધારે હોવું જોઈએ નહીં. આ ધોરણ ઉપર પણ બહુ ટીકાઓ થઈ. એટલે ૧૯૨૪માં મુંબઈ સરકારે એક કમિટી નીમી. તેણે વધુમતે ભલામણ કરી કે ખેડૂતને જે ચોખ્ખો નફો થાય તેના ૨૫ ટકા જેટલો સરકારધારો હોવો જોઈએ. પણ સરકારે વધુમતીની ભલામણ માન્ય ન રાખી અને ઠરાવ્યું કે, ‘ચોખ્ખા નફાનો ૫૦ ટકા જેટલો સરકારધારો લેવાની ‘ચાલુ‘ પદ્ધતિને વળગી રહેવું જોઈએ.’ પણ ખેતીનો ચોખ્ખો નફો શી રીતે ઠરાવવો એ કૂટ પ્રશ્ન હતો. એકંદરે ખેતી એ નફાનો નહીં પણ ખોટનો ધંધો છે, પણ જેમાં કરોડો લોકોને કામ મળે એવા બીજા કોઈ ઉદ્યોગને અભાવે લોકો નાછૂટકે ખેતીને વળગી રહે છે અને અધભૂખ્યા રહી કંગાળ અને દેવાદાર દશામાં પોતાનું જીવન વિતાવે છે.

તે વખતે મિ. ઍન્ડર્સન નામના ગૃહસ્થ સેટલમેન્ટ કમિશનર હતા. તેમનું કહેવું એમ હતું કે હિંદુસ્તાન જેવા વિશાળ દેશમાં ખેતી કરવાની પદ્ધતિ,