પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૩
બારડોલી સત્યાગ્રહ

તમે તૈયાર છો ? આ એક તાલુકાનો પ્રશ્ન નથી; અનેક તાલુકાઓ અને અનેક જિલ્લાઓનો છે. તમે હારશો તો બધાનું ભાવી બગડશે.”

આવી આવી વાતો સંભળાવી, શાંતિથી બધાં જોખમોનો વિચાર કરી નિશ્ચય કરવા માટે લોકોને સાત દિવસની મુદ્દત આપી સરદાર પાછા અમદાવાદ આવ્યા, અને તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ ગવર્નરને વિગતવાર કાગળ લખ્યો. તેમાં જણાવ્યું :

“મારી વિનંતી એટલી જ છે કે લોકોને ન્યાય આપવા ખાતર સરકાર ઓછામાં ઓછું એટલું કરે કે નવી આકારણી પ્રમાણે મહેસૂલ વસૂલ કરવાનું હમણાં મુલતવી રાખે અને આખો કેસ નવેસરથી તપાસી જાય. એ તપાસમાં લોકોને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવામાં આવે અને સરકાર ખાતરી આપે કે લોકોની રજૂઆતને પૂરતું વજન આપવામાં આવશે.. . . .આ લડત તીવ્ર સ્વરૂપ પકડે તેવો સંભવ છે. પણ તે અટકાવવી આપના હાથમાં છે. રૂબરૂ મળવા જેવું લાગે તો બોલાવો ત્યારે આપને મળવા આવવા હું તૈયાર છું.”

ગામોનું નવું વગીકરણ કરી કેટલાંક ગામોને ઉપલા વર્ગમાં ચઢાવી તેનું જમીનમહેસૂલ પ૦ થી ૬૦ ટકા વધાર્યં હતું તેમાં સરકારે કેટલીક કાયદાની ભૂલો કરી હતી. એ તરફ પણ એ જ કાગળમાં તેનું ધ્યાન ખેંચ્યું. આ કાગળનો એક ટૂંકો ને ટચ જવાબ ગર્વનરના પ્રાઇવેટ સેક્રેટરીએ લખ્યો કે તમારો કાગળ નિકાલ માટે મહેસૂલ ખાતા તરફ રવાના કરવામાં આવ્યો છે. તા. ૧૧મી સુધી મહેસૂલ ખાતાનો જવાબ ન આવ્યો એટલે ખેડૂતોને વિચાર કરવા આપેલી મુદત પૂરી થતાં તા. ૧રમીએ સરદાર બારડોલી પહોંચ્યા. લોકો સાથે પેટ ભરીને ચર્ચા કરી. એકેએક ગામના માણસોને ફેરવી ફેરવીને સવાલો પૂછ્યા. તેમના જવાબોમાં સાચનો રણકાર, પાકી દૃઢતા અને મક્કમ નિશ્ચય દેખાયો. છતાં સરદારે વધુ ચેતવણી આપી :

“આ લડતમાં ભારે જોખમો રહેલાં છે. જોખમભરેલું કામ ન કરવું એ સારું, પણ કરવું તો હરકોઈ ભોગે પાર ઉતારવું. હારશો તો દેશની લાજ જશે. મજબૂત રહેશો તો આખા દેશને લાભ પહોંચાડશો. વલ્લભભાઈ જેવો લડનારો મળ્યો છે તેના જોરે લડશું એવું મનમાં હોય તો લડશો જ મા. કારણ તમે જો તૂટી પડ્યા તો સો વરસ સુધી નથી ઊઠવાના એ ખચીત માનજો. આપણે જે ઠરાવ કરવો છે તે ઠરાવ તમારે જ કરવાનો છે. માટે પૂરો વિચાર કરીને, બરાબર સમજીને જે કરવા ધારો તે કરશો.”

તા. ૪થી તથા તા. ૧રમીની સભાઓમાં ચોર્યાસી તાલુકાના પણ ઘણા ખેડૂતો આવ્યા હતા. કારણ, એ તાલુકામાં પણ નવી આકારણી થઈ હતી અને જમીનમહેસૂલના દરમાં વધારો થયો હતો. સરદારે તેમની સાથે પણ ખૂબ વાતો કરી અને તેમને સમજાવ્યા :