પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૮
સરદાર વલ્લભભાઈ

ઇજ્જત તમારા હાથમાં છે. આપણે હાથેથી એક દમડી સરકારને નથી આપવી એ નિશ્ચયમાં કાયમ રહેજો. નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના બોજામાં પડશે.”

તા. ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ સરદારે સરકારને લખેલા કાગળનો જવાબ આખરે તા. ૧૭મી ફેબ્રુઆરીએ આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું :

“નવી આકારણીને મંજૂરી આપતા સરકારી ઠરાવમાં કહેલું છે કે બીજી આકારણી થતા સુધીનાં વર્ષોમાં આ તાલુકાનો ઇતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને નામદાર ગવર્નર ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વર્ષનો બારડોલી અને ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે. . . . હવે નવી આકારણી પ્રમાણે વસૂલાત કરવાનું મુલતવી રાખવા, અથવા આકારણીનો ફરી વિચાર કરવા, અથવા બીજી કોઈ જાતની રાહત આપવા સરકાર તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લોકો પોતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઓની શિખવણીને વશ થઈને મહેસુલ ભરવામાં કસૂર કરશે તો જમીનમહેસૂલના કાયદા અનુસાર જે પગલાં લેવા જોઈએ તે લેતાં ગવર્નર અને તેની કાઉન્સિલને જરા પણ સંકોચ નહીં થાય અને તેને પરિણામે નહીં ભરનારાઓ જાણીબૂજીને જે નુકસાનમાં ઊતરશે તે માટે સરકાર જવાબદાર નહીં ગણાય.”

સરદાર વગેરે કાર્યકર્તાઓને ‘બહારના’ કહ્યા એટલે ઉપરના કાગળનો જવાબ આપ્યા વિના તેઓ ન રહી શક્યા. જવાબમાં સરકારે લોકોને આપેલી ધમકી માટે આભાર માનીને તેમણે જણાવ્યું :

“તમે મને અને મારા સાથીઓને ‘બહારના’ ગણતા જણાઓ છો. હું મારા પોતીકા લોકોને મદદ કરી રહ્યો છું અને તમારાં પોગળો ઉઘાડાં પાડું છું એના રોષમાં તમે એ વાત ભૂલી જાઓ છો કે જે સરકારની વતી તમે બોલો છો તેના તંત્રમાં મુખ્યપદે બહારના જ લોકો ભરેલા છે. હું તમને કહી જ દઉં કે જોકે હું મને પોતાને હિંદુસ્તાનના કોઈ પણ ભાગ જેટલો જ બારડોલીનો પણ રહીશ સમજું છું. છતાં ત્યાંના દુ:ખી રહીશોને બોલાવ્યો જ હું ત્યાં ગયો છું અને કોઈ પણ ક્ષણે મને રજા આપવાનું એમના હાથમાં છે. એમના હીરને અહોરાત ચૂસનાર અને તોપબંદૂકના જોરે પરદેશીઓથી ચાલતા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈથી વિદાય દેવાનું એમના હાથમાં હોત તો કેવું સારું !”

સરકારના રેવન્યુ ખાતાના મંત્રી મિ. સ્માઈથ આ જવાબ વાંચીને બહુ ઉશ્કેરાયા. તેમણે આગલા પત્રને પણ ટપી જાય એવો બીજો નફટ કાગળ સરદારને લખ્યો :