પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૬
સરદાર વલ્લભભાઈ


આવી. મુંબઈના પ્રેસિડેન્સી ઍસોસિયેશન જેવા વિનીત પક્ષના મંડળનું પણ બારડોલી પ્રત્યે ધ્યાન ખેંચાયું અને મંડળની ખાસ બેઠકમાં નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“બારડોલી, શાસ્તી, અલીબાગ વગેરે તાલુકાઓમાં સરકારી હુકમો દ્વારા મહેસૂલ વધારવાની નીતિ મુંબઈ સરકાર આદરી રહી છે તેને માટે આ મંડળની કાર્યવાહક સમિતિ સખત નાપસંદગી બતાવે છે, અને જણાવે છે કે જમીનમહેસૂલ કમિટીએ ભલામણ કર્યા મુજબ આખરી અવાજ ધારાસભાનો હોવો જોઈએ. એટલે આ સભા આગ્રહ કરે છે કે મુંબઈ ઇલાકામાં લૅન્ડ રેવન્યુ કોડનો સુધારો કરી જમીન મહેસૂલનો આખો પ્રશ્ન ધારાસભાની હકૂમતમાં ન મુકાય ત્યાં સુધી મહેસૂલ વધારવાનું બંધ કરવું.”

પણ સરકારે આથી ચેતવા ના પાડી. એણે તો પોતાનો જ કક્કો ખરો કરવાના પ્રયત્નો કરવા માંડ્યા. લોકોને ફોસલાવવા તથા ફોડવાના પ્રયત્નો કરવા, ધમકીઓ આપવી, ખોટી સમજ પાડવી એ તેમનાં માન્ય થઈ પડેલાં સાધનો હતાં. ‘ફલાણા ભાઈ એ પૈસા ભરી દીધા, તમે કેમ હજી બેઠા છો, હવે તો ભરવા જ પડશે,’ એમ કહીને ભોળા ખેડૂતોને ભોળવવા અમલદારોએ પ્રયત્ન કરવા માંડ્યા. મહાલકરી પટેલને કહે, ‘વેઠિયા ન લાવી આપે તો તારે વેઠ કરવી પડશે.’ કોઈ તલાટી બિચારો ધોબીના હપ્તાના થોડા આના પોતાના ખિસ્સામાંથી ભરી દે — એ આશાએ કે પેલાની પાસે કપડાં ધોવરાવી વસૂલ કરી લઈશું. બીજી બાજુ સરદાર પોતાની વીર વાણી વડે ખેડૂતોને મર્દાનગીના રંગ ચઢાવી રહ્યા હતા. મહાદેવભાઈ લખે છે :

“મેં તો ચાર વરસ પર બોરસદમાં એ રણે ચઢેલા સરદારની સાથે ચોવીસે કલાક ગાળ્યા હતા. ત્યાર પછી પણ ઘણી વાર તેમને બોલતા સાંભળ્યા હતા. પણ આ વેળા એમની વાણીમાં જે તેજ ભાળ્યું, આંખમાંથી કેટલીક વાર જે વહ્‌નિ વરસતો જોયો તે કદી નહોતો જોયો. લોકોની જમીન ખાલસા થાય તેમાં જાણે પોતાના શરીરના કટકેકટકા થતા હોય અને જે તીવ્ર વેદના થતી હોય તે વેદનાથી ભરેલા તેમના ઉદ્‌ગારો નીકળતા હતા. એ ભાષણની તળપદી ભાષા, તેમાં ક્ષણેક્ષણે ઝબકી ઊઠતા, ભૂમિમાંથી પાકેલા, ભૂમિની સુગંધ ઝરતા પ્રયોગોએ ગામડિયાઓને હલાવવા માંડ્યા. અંગ્રેજીના સ્પર્શ વિનાનું, સ્વતંત્ર જોમવાળુ, એમનું ભાષા ઉપ૨નું પ્રભુત્વ આ સભાઓમાં પ્રગટ થતું મેં પહેલું ભાળ્યું.”

ભાષાની મગદૂર અને ભાષાની લહેજત સાહિત્યના રસિયાઓને સરદારનાં બારડોલીનાં ભાષણમાં જોવા મળે છે. ખેડૂતો ભૂલી ન શકે એવી થોડી ગામઠી ઉપમાઓ જુઓ :