પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૯
બારડોલી સત્યાગ્રહ


“દેશનું કેન્દ્ર ખેડૂત છે એ મહા સત્ય વલ્લભભાઈમાં ૧૯૧૭-૧૮માં ગાંધીજીએ જાગ્રત કર્યું, પ્રગટ કર્યું એમ કહું, કારણ ઊંડે ઊંડે એ છુપાયેલું તો હતું જ, પણ એ પ્રગટ થતાંની સાથે જ વલ્લભભાઈમાં જેવું એ ભભૂકી ઊઠ્યું તેવું ભાગ્યે જ કોઈનામાં ભભૂકી ઊઠ્યું હશે. ખેડૂત નહીં એવા તત્ત્વદર્શીએ ખેડૂતનું સ્થાન ક્યાં છે, ખેડૂતની સ્થિતિ કેવી છે, તેને ઊભા કરવાનું સાધન કયું છે એ કહી દીધું. જેનું હાડે હાડ ખેડૂતનું છે એવા તેના શિષ્ય સાનમાં એ ત્રણે વાત સમજી ગયા અને દ્રષ્ટાના કરતાં પણ વિશેષરૂપે એનું રહસ્ય લોકો આગળ ખોલી બતાવ્યું. ખેડૂતની પહેલી સેવા કરવાની તક તેમણે ખેડાની મહેસૂલી લડતમાં સાધી, પછી બોરસદમાં સાધી, પણ બારડોલીમાં જે અવસર આવ્યો તે અપૂર્વ હતો.
“ખેડૂત વિષેના ઉદ્ગારો તેમનાં બારડોલીના ભાષણમાં જેટલા જોવા મળે છે તેટલા અગાઉના કોઈ ભાષણમાં જોવાના નથી મળતા. ખેડામાં તો તેઓ ગાંધીજીની સરદારી નીચે સિપાહી હતા, એટલે ઝાઝું બોલતા જ નહોતા. બોરસદની લડત હતી તો ખેડૂતોની જ લડત, પણ તે ખેડૂતમાત્રના સામાન્ય દુ:ખમાંથી ઊઠેલી લડત નહોતી. બોરસદનો પ્રશ્ન વિશિષ્ટ હતો, અને એ વિશિષ્ટ પ્રશ્નને અંગેનાં જ ભાષણો ત્યાં થતાં. પણ જમીનમહેસુલનો પ્રશ્ન એ જ ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન છે, એટલે ગુજરાતના ખેડૂતોની સેવા કરવી હોય તો તે જમીન મહેસૂલના ફૂટ પ્રશ્નનો નિકાલ કરેલે જ થઈ શકે એવો એમનો જૂનો નિશ્ચય હતો. એ સેવાની તક એમને બારડોલીએ આપી. બારડોલીવાળા જ્યારે એમને બોલાવવા આવ્યા ત્યારે ભાઈ નરહરિના લેખો એમણે વાંચેલા હતા. ગાંધીજીએ જ્યારે એમને પૂછ્યું કે, બારડોલીના ખેડૂતની ફરિયાદ સાચી છે એવી તમને ખાતરી છે ? ત્યારે તેમણે કહેલું કે, નરહરિના લેખો ન વાંચ્યા હોત તોયે મને તો ખાતરી જ હતી. કારણ, હિંદુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં જમીન મહેસૂલની વિટંબણા વિષે ખેડૂતની ફરિયાદ સાચી જ હોવી જોઈ એ એવી મારી ગળા સુધી ખાતરી છે.”

ખેડૂત ઉપરના નિરવધિ પ્રેમની પાછળ સરદારના દિલમાં રહેલી ભાવના તેઓ વારંવાર કહી સંભળાવે છે : 'કણબી કેડે ક્રોડ કણબી કોઈ કેડે નહીં?' અને 'ઓ ખેડૂત તું ખરો જગતનો તાત ગણાયો.’ તેઓ વારંવાર કહે છે કે દુનિયામાં ખરા પેદા કરનાર વર્ગ ખેડૂત અને મજૂર છે. બાકીના બધા ખેડૂતો અને મજૂર ઉપર જીવનારા છે. એ પેદા કરનારાઓની સ્થિતિ સૌથી ઉત્તમ હોવી જોઈ એ તેને બદલે આપણે સૌથી અધમ કરી છે. પોતાની અંતર્વેદના વ્યક્ત કરતાં એક ભાષણમાં તેમણે કહ્યું :

"આખું જગત ખેડૂત ઉપર નભે છે. દુનિયાનો નિર્વાહ એક ખેડૂત અને બીજો મજૂર એ બે ઉપર છે. છતાં સૌથી વધારે જુલમ કોઈ સહન કરતા હોય તો આ બે છે. કારણ તેઓ બંને મૂંગે મોઢે જુલમ સહન