પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૩
બારડોલી સત્યાગ્રહ


જે રીતે ભેંસોની નામની કિંમતે કહેવાતી હરાજી થતી હતી, તે રીતે રાચરચીલાં અને બીજી મિલકત પણ સરકારી પટાવાળા, પોલીસ તથા પાણીને નામની કિંમતે આપી દેવામાં આવતી. લિલામ કરનારા અમલદારોએ જાતે આવી વસ્તુ ખરીદેલી એવા દાખલા પણ બનેલા. દોઢસો અને બસો રૂપિયાના પગાર ખાનારા મામલતદારના દરજજાના અમલદારોને મવાલી પઠાણોની સાથે ભેંસની શોધમાં ઊકળતા તાપમાં ભટકતા જોઈને સ્વેચ્છાએ કારાગૃહવાસ ભોગવતા લોકોને પણ રમૂજ આવતી હતી. ભેંસો પકડવા માટે વધારે પડતી દોડાદોડી કરનારા એક અમલદારનું નામ સરદારે ‘ભેંસડિયો વાઘ’ પાડેલું.

વાલોડના દારૂના પીઠાવાળા દોરાબજી શેઠના રૂ. ૩૧૪-૧૪-પના ખાતા બદલ બે હજારની કિંમતનો માલ જપ્ત કર્યો અને દુકાને તાળાં લગાવ્યાં. પછી વળી જપ્તીવાળાને ભાન આવ્યું એટલે તાળાં ખોલી નાખ્યાં. છતાં દોરાબજી શેઠે દુકાન ચલાવવાની બંધ રાખી એટલે એમને દબડાવવા માંડ્યા કે, ‘દુકાન કેમ ચલાવતા નથી ? દુકાન નહીં ચલાવો તો સજા થશે.’ દોરાબજી શેઠે કહ્યું કે જપ્ત થયેલાં પીપો દુકાનમાંથી ન ખસેડવામાં આવે ત્યાં સુધી હું દુકાન ચલાવવા માગતો નથી, અને દુકાન બંધ રહેવાથી મને જે ખોટ જશે તે માટે સરકાર જવાબદાર ગણાશે. દુકાનની અંદરનાં પીપ બહુ મોટાં અને ખસેડાય એવાં નહોતાં. એટલે દુકાનની બહાર પડેલાં ખાલી પીપ જપ્ત કર્યા અને તેમાં પેલાં મોટાં પીપમાંનો દારૂ ભરવા માંડ્યો. પણ બહાર પડેલાં પીપ કાણાં નીકળ્યાં અને કેટલોય દારૂ જમીન ઉપર ઢળ્યો. પછી બીજે ક્યાંકથી પીપ લાવ્યા અને તેમાં દારૂ ભરી એ પાણીને મૂલે હરાજ કર્યો. લોકો વિનોદ કરવા લાગ્યા: ‘સાલાં પીપો પણ સવરાજમાં ભળ્યાં !’ આટલું બધું નુકસાન કર્યા છતાં જપ્ત માલની હરાજીમાંથી ઊપજેલાં નાણાં બાદ કરતાં સરકારે રૂ. ૧૪૪-૬-૮ની રકમ દોરાબજી શેઠના જમીનમહેસૂલ ખાતે બાકી કાઢી અને તેને માટે એમની રૂપિયા ત્રીસથી પાંત્રીસ હજારની જમીન ખાલસા કરવામાં આવી ! આ કિસ્સામાં એક બીજી નોંધવા જેવી વસ્તુ એ હતી કે જે દારૂની દુકાનમાં જપ્તી થઈ તેના માલિક એકલા દોરાબજી જ નહીં પણ તેમનાં સાસુ બાઈ નવાજબાઈ પણ હતાં. તેમણે પણ ભારે હિંમત બતાવી અને આખી લડતમાં ઠેઠ સુધી અડગ રહ્યાં. ઘણા દારૂવાળાઓને તો લડવાનો મોકો જ ન મળ્યો. કારણ તેમને રાજ વકરો થાય તેના પૈસા સરકારી તિજોરીમાં મોકલવા પડે. સરકાર એ પૈસા દારૂ ખાતે જમા કરવાને બદલે મહેસૂલ ખાતે જમા કરી દે. અફીણના ઈજારાવાળાઓનું પણ આવું બનતું. પણ સરકાર આવી રીતે નાણાં ઉચાપત કરે તેને કોણ ગુનો કહે ?

આબકારી ખાતાના અમલદારો આમ સતામણી કરવા લાગ્યા એટલે ખેતીવાડી ખાતું પણ શું કામ પાછળ પડે ? એ ખાતું કહેવાય તે ખેડૂતોના