પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૬
સરદાર વલ્લભભાઈ


“જપ્તીનો માલ રાખનારા અને જમીન રાખનારા મળ્યા છે એવી જાહેરનામામાં બડાશ હાંકવામાં આવી છે. મળ્યા તો કોણ મળ્યા છે? માલ રાખનારા તમારા જ પટાવાળા અને પોલીસ, અને ભેંસો રાખનારા એક બે ખાટકી ખુશામત કરીને સુરતથી લાવ્યા તે. અને જમીન રાખનારા સરકારના ખુશામતિયા અને સરકારી નોકરના સગા, તેમની કેવી આબરૂ છે તે જગત જાણે છે.”

દેશમાં આ જાહેરનામા ઉપર સખત ટીકા થઈ અને દરેક પ્રાંતનાં વર્તમાનપત્રો બારડોલીની ખબરોથી ભરાવા લાગ્યાં. નામદાર વિઠ્ઠલભાઈ પટેલ આ સમયે વડી ધારાસભાના પ્રમુખ હતા અને ગુજરાત તરફથી ચૂંટાયેલા સભ્ય તરીકે તેઓ આખી લડતનો રસથી અભ્યાસ કરતા હતા. તેમણે આખી વસ્તુસ્થિતિ વાઈસરૉય આગળ રજૂ કરી અને આ સંબંધમાં પોતાના વિચારો જણાવ્યા. એટલામાં મુંબઈ સરકારનું ઉપર જણાવેલું જાહેરનામું બહાર પડ્યું. એટલે તરત જ તેમણે ગાંધીજીને એક પત્ર લખ્યો. તેની સાથે લડતના ફાળામાં રૂ. ૧૦૦૦નો ચેક મોકલ્યો તથા લડત ચાલે ત્યાં સુધી દર માસે એ રકમ મોકલતા રહેવાનું વચન આપ્યું. વડી ધારાસભાના પ્રમુખસ્થાને રહીને આ રાજકીય ગણાતી અને સરકાર સામે બંડ તરીકે વગેવાયેલી લડતને માટે સક્રિય સહાનુભૂતિ તેમણે દાખવી તેથી ઘણાને સાનંદાશ્ચર્ય થયું અને કેટલાકને એ વાત ખૂંચી પણ ખરી. ગાંધીજીએ લખ્યું : ‘શ્રી વિઠ્ઠલભાઈ પટેલનો પત્ર જોઈ કોનું હૃદય નહીં ઊછળે ?’ સાચે જ એ પત્રથી બારડોલીમાં તેમ બહાર ઘણાનાં હૃદય ઊછળ્યાં. મુંબઈના શ્રી નરીમાન અને બાલુભાઈ દેસાઈ, કરાંચીના શ્રી નારણદાસ બેચર તથા હૈદરાબાદના શ્રી જયરામદાસે મુંબઈની ધારાસભામાંથી પોતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં. સુરતની પરિષદમાં શ્રી જયરામદાસે તા. ૧૨મી જૂનને દિવસ બારડોલી દિન તરીકે ઊજવવાની સૂચના કરી હતી અને કૉંગ્રેસના પ્રમુખે તેને વધાવી લીધી હતી. એ દિન આવે તે પહેલાં બારડોલી તાલુકાના ૬૩ પટેલો અને ૧૧ તલાટીઓએ રાજીનામાં આપી દીધાં. જ્યારથી લડત શરૂ થઈ ત્યારથી પટેલ તલાટીઓ ઉપર સરદારના મીઠા પ્રહાર પડ્યાં જ કરતા હતા :

“આ રાજ્યરૂપી ગાડાંને બે પૈડાં છે : એક પટેલ અને બીજો તલાટી. અથવા સરકારની ગાલ્લીના એ બે બળદ છે. રાતદિવસ આ બળદ ખૂબ ફટકા ખાય છે, ગાળો ખાય છે. પણ સરકાર કોઈ કોઈ વાર થોડો ગોળ ચોટાડે છે તે મીઠો લાગે છે એટલે માર અને ગાળ બધું ભૂલી તેઓ ગાડું ખેંચે છે.”

ગાંધીજીએ આ પટેલતલાટીઓને ધન્યવાદ આપ્યા અને જણાવ્યું કે એમનાં જેવાં બલિદાન જ આખરે આપણને સ્વરાજ અપાવશે.