પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૫
બારડોલી સત્યાગ્રહ


સર અલી ઈમામે પોતાનો મત જાહેર કર્યો કે, બારડોલીમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિનું નિરાકરણ ‘બન્ને પક્ષના પ્રતિનિધિઓવાળી તપાસસમિતિ નિમાય તો જ આવી શકે.’ શ્રી ચિંતામણિનો અભિપ્રાય એટલો જ અસંદિગ્ધ હતો. તેમણે કહ્યું :

“જનસ્વભાવ એટલો આડો અથવા ઊંધબુધિયો ન જ હોય કે આટલા બધા ગરીબ માણસ આવી જબરદસ્ત સરકાર જેની મરજી એ જ કાયદો છે અને જેનો કાયદો ઘણી વાર તેના અવિવેકનો સભ્ય પર્યાય છે, તેની સામે વિના કારણ લડત ઉપાડે, જે લડતમાં તેમને લાભ કશો નથી પણ ગુમાવવાનું સર્વસ્વ છે. . . . તપાસ આપવામાં આવે તે પહેલાં વધારેલું મહેસૂલ ભરી દેવાની સરકાર માગણી કરે છે તે તો એક ફારસ જ છે.”

આથી આગળ વધીને તેમણે જાહેર કર્યું કે, બારડોલી સત્યાગ્રહ ‘કાયદેસર ચળવળ’ના અર્થની અંદર આવી શકે છે અને વિનીત પક્ષના સિદ્ધાંતોથી તે જરાયે અસંગત નથી. સર તેજ બહાદુર સપ્રુએ કહ્યું :

“સરકારની પ્રતિષ્ઠા ખાતર મને તો આવશ્યક જણાય છે કે મહેસૂલના વધારાના સંબંધમાં બારડોલીના લોકોની જે ફરિયાદ છે તેને વિષે જ નહીં, પણ મહેસૂલ વસૂલ કરવા માટે તથા પરિસ્થિતિને પહોંચી વળવા માટે લેવામાં આવેલાં પગલાંના સંબંધમાં જે આક્ષેપો થાય છે તે વિષે પણ તપાસ કરવા એક સ્વતંત્ર સમિતિ નિમાવી જોઈએ.”

વિદુષી બેસન્ટને પણ બારડોલી સત્યાગ્રહના ન્યાયીપણા વિષે કશી શંકા જણાઈ નહીં અને તેમણે લડતને ટેકો આપ્યો.

આખા દેશનાં હિંદી વર્તમાનપત્રો તો સત્યાગ્રહીઓની તરફેણમાં જ હતાં. ઍંગ્લો-ઈન્ડિયન પત્રોમાં મુંબઈના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના અપવાદ સિવાય બીજાં ઘણાંખરાં વર્તમાનપત્રો તટસ્થ અથવા મૌન હતાં. પરંતુ અલ્લાહાબાદના ‘પાયોનિયર’ અને કલકત્તાના ‘સ્ટેટ્સમેને’ નોકરશાહીનો હંમેશાં પક્ષ કરવાની ઍંગ્લો-ઈન્ડિયન પત્રોની બોદી પ્રથા આ વખતે તોડી અને બન્નેએ બારડોલી સત્યાગ્રહને ટેકો આપ્યો. ‘પાયોનિયરે’ લખ્યું :

“મુખ્ય મુદ્દો કબૂલ કરવો જ જોઈએ કે બારડોલીની લડતનો કોઈ પણ નિષ્પક્ષ નિરીક્ષક એ નિર્ણય પર આવ્યા વિના રહી શકે એમ છે જ નહીં કે ન્યાય ખેડૂતોના પક્ષમાં છે. નિષ્પક્ષ ન્યાય સમિતિ આગળ વધારેલા મહેસૂલની તેમની માગણી ન્યાયી અને વાજબી છે.”
૧૩

બારડોલીમાં હવે કટોકટીની સ્થિતિ આવી રહી હતી. લોકોના ઉત્સાહનું પૂર તો વધતું જ જતું હતું. સુરત જિલ્લા પરિષદનો ઉલ્લેખ આગળ આવી