પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૨
સરદાર વલ્લભભાઈ

ઊંચી રાખવા દમનનીતિના દોર છૂટા મૂકે, હજી વખત વહી ગયો નથી. હું તો સરકારને સત્યનો માર્ગ સ્વીકારવાની વિનંતી કરું છું.”

આમ સરકારે વિકરાળ કાળિકાનું રૂપ ધર્યું હતું. લશ્કરી અમલદારો બારડોલીમાં આવીને લશ્કરી રચના કેવી રીતે થાય તે જોઈ ગયા હતા. લશ્કરનો પડાવ આવે તેને ચોમાસામાં રહેવાને માટે સરસામાન, ટારપોલિન વગેરે સુરતથી બારડોલી ચડવાની વાટ જોવાતી હતી. ગાંધીજીએ પણ લોકોને આટલો બધો તાપ અસહ્ય થઈ પડે તો શું થાય એ પ્રશ્ન પોતાના મન સાથે પૂછીને પોતે જ જવાબ આપ્યો હતો : ‘જો ત્રાસ અસહ્ય થઈ પડે તો લોકોએ જેને પોતાની જમીન માની છે તેનો ત્યાગ કરી હિજરત કરવી જોઈએ. જે ઘરો કે લત્તામાં પ્લેગના ઉંદર પડ્યા હોય કે કેસ થયા હોય છે, તેનો ત્યાગ કરવો એ ડહાપણ છે. જુલમ એક જાતનો પ્લેગ છે. એ જુલમ આપણને ક્રોધ કરાવે અથવા નબળા પાડે એવો સંભવ હોય તો જુલમનું સ્થાન છોડીને ભાગવું એ ડહાપણ છે.’ પણ આપણે જોશું કે ખેડૂતો તો બારડોલીને મોટો અભેદ કિલ્લો બનાવીને તેમાં સુરક્ષિત બેઠા હતા.

બારડોલી બહાર સ્થિતિ જુદી હતી. ગવર્નરની અને અર્લ વિન્ટરટનની ધમકીએ બારડોલી બહાર કેટલાક વર્ગોને ચીડવ્યા હતા તો કેટલાકને ડરાવી દીધા હતા. ગરમ દળે તો ગવર્નરના ભાષણને હર્ષભેર વધાવી લીધું – એ કારણે કે હવે સત્યાગ્રહીઓની ઉત્તમોત્તમ કસોટી થવાનો અને સ્વરાજની મોટી લડતનો અવસર આવશે. આ ઈચ્છા સરદાર શાર્દૂલસિંહ કવીશ્વરે ગાંધીજીને લખેલા એક ખુલ્લા પત્રમાં પ્રકટ પણ કરી દીધી. તેમણે ગાંધીજીને સલાહ આપી કે શ્રી વલ્લભભાઈએ બારડોલી સત્યાગ્રહને મર્યાદિત રાખ્યો છે તે વ્યવહારવિરુદ્ધ લાગે છે, માટે હવે તો આખા દેશમાં સવિનય ભંગની હિલચાલ શરૂ થવી જોઈએ.

બીજી બાજુએ પ્રજાનો અમુક વર્ગ ગભરાઈ ગયો હતો. તેમને થયું કે હવે તો કોણ જાણે કેવો ભયંકર હત્યાકાંડ આવી પડશે. એટલે અત્યાર સુધી જેઓ લડતને ટેકો આપતા હતા અને લોકોની માગણીને વાજબી ગણતા હતા તેઓ પણ ભાવિ વાદળથી ડરી ગયા. આ વર્ગનો મત આગ્રહપૂર્વક જાહેર કરનાર મુંબઈના એક પ્રસિદ્ધ વર્તમાનપત્રના તંત્રી હતા. જેમણે જણાવ્યું કે શ્રી વલ્લભભાઈ પટેલ જણાવે છે કે બારડોલીમાં સવિનય ભંગની વાત જ નથી, છતાં સર લેસ્લી વિલ્સને જે ભય બતાવ્યો છે તે ભય સાચો છે એટલે શ્રી વલ્લભભાઈએ ગવર્નરે આપેલી શરત કબૂલ કરવી.

‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીએ આકળા બનેલા ગરમ વર્ગને અને ડરી ગયેલા નરમ વર્ગને નીચે પ્રમાણે ચેતવણી આપી :