પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૫
બારડોલી સત્યાગ્રહ

કરશે તેની ભાંજગડમાં તમારે પડવાની જરૂર નથી. તમે તમારી મેળે તપાસસમિતિ જાહેર થાય પછી જૂનું મહેસૂલ ભરજો.”

મહાદેવભાઈ આગળ કહે છે : આ સફાઈ અમારી સમજ કે બુદ્ધિની બહાર હતી. સરદારની સાથે આ પ્રસંગે સ્વામી આનંદ અને હું હતા. રાત્રે સૂતા પહેલાં સર ચૂનીલાલને કહી દીધું કે આવું કાંઈ લખી આપી શકાય નહીં. પણ કેમે ઊંઘ ના આવે. છેવટે સવારે ચાર વાગ્યા પહેલાં હું ઊઠ્યો, સરદારને જગાડ્યા, અને કહ્યું : ‘મને સર ચૂનીલાલના પેલા ખરડામાં કશું જ લાગતું નથી. તેમાં નથી આપણે બંધાતા, નથી સુરતના સભ્યો બંધાતા. સરકારને નાકનો સવાલ થઈ પડ્યો છે. અને સરકાર માને કે આથી એનું નાક રહે છે તો ભલે એનું નાક રહેતું.’

વલ્લભભાઈ : ‘પણ એમાં જૂઠાણું છે તે ?’

મેં કહ્યું : ‘છેસ્તો, પણ તે સરકારના તરફથી છે.’

વલ્લભભાઈ : ‘આપણે સરકાર પાસે સત્યનો ત્યાગ કરાવીએ છીએ એમ નહીં ?’

મેં કહ્યું : ‘ના, સરકાર સત્યનો ત્યાગ કરે છે અને એમાં એને શ્રેય લાગે છે. એને લાગે તો લાગવા દો. આપણે એને કહીએ કે આમાં સત્યનો ત્યાગ થાય છે.’

વલ્લભભાઈ : ‘ત્યારે તું સર ચૂનીલાલને સાફ સાફ કહેશે કે એ લોકો સત્યનો ત્યાગ કરે છે ? પણ જો તું જાણે ! મને આ લોકોની બાજુમાં ખબર પડતી નથી. એવાં કૂંડાળાં શા સારું કરતા હશે ? બાપુ શું કહેશે ? સ્વામી, તું શું ધારે છે ?’

સરદારની આ ઘડીની તત્ત્વનિષ્ઠા, અમારા જેવા નાનકડા સાથીઓનો પણ અભિપ્રાય જાણવાની ઈચ્છા, અને ‘આપણે જે કરીએ છીએ તે વિષે બાપુ શું ધારશે ?’ એ વિષેની અપાર ચિંતા જોઈને સરદાર મારે માટે જેટલા પૂજ્ય હતા તેથીયે અધિક પૂજ્ય બન્યા. લડત દરમિયાન ઘણી વાર તેઓ કહેતા, ‘આ મુત્સદ્દીઓનાં જૂથમાં હું સીધો ભોળો ખેડૂત ન શોભું, એમની કળા મને ન આવડે,’ એ શબ્દો મને બહુ યાદ આવ્યા. મેં કહ્યું : ‘બાપુ પણ સરકારને આટલો લૂખો લહાવો લેવો હોય તો જરૂર લેવા દે. સરકારને નામ સાથે કામ છે, આપણને કામ સાથે કામ છે.’

સ્વામી કહે : ‘મારો પણ એ જ મત છે.’

છેવટે વલ્લભભાઈ કહે : ‘પણ સુરતના સભ્યો આના ઉપર સહી કરશે ?’

મેં કહ્યું : ‘કરશે, સર ચૂનીલાલ મહેતા કહેતા હતા કે તેમને એ વિષે શંકા નથી.’