પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૫
૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ

એટલે ઠરાવ કરતાં પણ આબરૂ અને વિવેકના મુદ્દાને જ મહત્ત્વ આપી તેમણે ઠરાવ રજૂ કર્યો અને દેશને એક વર્ષ પછી સ્વાતંત્ર્યની લડતમાં દોર્યો.

આ કૉંગ્રેસની વઢવાડો અને તકરારમાં એક રમૂજી પ્રસંગ નોંધવા જેવો બન્યો. બારડોલીના સત્યાગ્રહીઓને ધન્યવાદ આપનારો ઠરાવ પ્રમુખ તરફથી જ રજૂ થયો, કારણ તેમાં કોઈના મતભેદનો પ્રશ્ન જ નહોતો. પ્રમુખે ઠરાવ વાંચી સંભળાવ્યો એટલે હજારો પ્રતિનિધિઓ અને પ્રેક્ષકોએ સરદારનાં દર્શનની માગણી કરી. સરદાર બહુ સંકોચ સાથે પોતાને સ્થાને ઊભા થયા. પણ એટલાથી લોકોને સંતોષ ન થયો અને સરદારને વ્યાખ્યાન મંચ પર લાવવામાં આવે એવો તેમણે આગ્રહ ધર્યો. સરદાર ત્યાં જતા નહોતા એટલે છેવટે તેમને ઘસડીને ત્યાં લઈ જઈ ઊભા કરવામાં આવ્યા. અનેક ક્ષણો સુધી તેમના અભિનંદનના અને વિજયના ધ્વનિથી મંડપ ગાજી રહ્યો. સરદારે નીચેનાં બે હિંદી વાક્યોમાં સભાનો આભાર માન્યો :

“બારડોલીકે કિસાનોંકો આપને ધન્યવાદ દિયા ઇસ લિયે મૈં આપકા બહુત આભાર માનતા હું. અગર આપ ઉનકા સચ્ચા ધન્યવાદ કરતે હો તો મૈં ઉમ્મિદ કરતા હૂં કિ આપ બારડોલીકા અનુકરણ કરેંગે.”

પણ વધારે રમૂજ તો મસલત સમિતિની બેઠકમાં થઈ હતી. સરદારને ધન્યવાદ આપનારો જે ઠરાવ ત્યાં રજૂ કરવામાં આવ્યો તેમાં ‘સરદાર વલ્લભભાઈ’ એ શબ્દો હતા. સ્વાતંત્ર્યવાદીઓ સામ્યવાદના સિદ્ધાંતમાં માનનારા કોઈ કોઈ પણ જાતના ઈલ્કાબ તો ન જ સ્વીકારે પણ લોકોએ નવાજેલાં માનવાચક નામો પણ તેમને મંજૂર નહોતાં એટલે તેમણે એવો આગ્રહ કર્યો કે ઠરાવમાં સરદાર વલ્લભભાઈ ને બદલે ‘શ્રી વલ્લભભાઈ’ લખવામાં આવે. સરદાર તે વખતે મસલત સમિતિમાં હાજર નહોતા નહી તો પોતે જ આ સુધારાને ટેકો આપતા. જ્યારે આ સુધારાના ખુશખબર તેમને આપવામાં આવ્યા ત્યારે હર્ષથી તેઓ બોલ્યા : ‘સારું થયું, કૉંગ્રેસે મારી સરદારી છીનવી લીધી !’

‘આમ ’૨૮ની કૉંગ્રેસમાં ’૩૦ની લડતનો પાયો નંખાયો. નેહરુ યોજનાને ઉડાવી દઈ પૂર્ણ સ્વાતંત્ર્યના ઠરાવનો જ આગ્રહ કરનારાને પોતાના ઠરાવની જવાબદારીનો ખ્યાલ કેટલો હશે તે કહેવું કઠણ છે. કારણ સ્વાતંત્ર્યનો ઠરાવ તો કૉંગ્રેસમાં પહેલાં અનેક વાર આવી ચૂક્યો હતો અને ’૨૭ની મદ્રાસની કૉંગ્રેસમાં પસાર પણ થયો હતો. પણ એ ઠરાવ પસાર કરનારાઓએ તેના અમલ માટે ગંભીરપણે કશી યોજના કે કાર્ય કર્યું ન હતું, જ્યારે આ ઠરાવમાં તો ’ર૯ના ડિસેમ્બરની ૩૧મી પહેલાં નેહરુ યોજના પ્રમાણેનું બંધારણ ન મળે તો સીધી લડત આપવાની પ્રતિજ્ઞા હતી. એટલે ગાંધીજી, સરદાર વગેરે એ તૈયારીમાં મચી પડ્યા.