પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૨૯

૧૯૨૯નું તૈયારીનું વર્ષ

બારડોલીમાં સત્યાગ્રહની લડત ચાલતી હતી ત્યારે જ સુરત જિલ્લામાં અને તેની આસપાસનાં દેશી રાજ્યના પ્રદેશમાં મદ્યપાનનિષેધની પ્રવૃત્તિ ચલાવવા માટે એક મંડળ સ્થાપવામાં આવ્યું હતું. સરદાર એના પ્રમુખ હતા અને શ્રી મીઠુબહેન પીટીટ એનાં મંત્રી હતાં.

બારડોલીની લડત વખતે બહેનોમાં તેઓ ફરતાં ત્યારે જ તેઓ જોઈ ગયાં હતાં કે, સુરત જિલ્લા જેવી દારૂતાડીની બદી દેશમાં બીજે નહીં હોય. દારૂનાં પીઠાંના ઘણા માલિકો પારસી ભાઈઓ છે એ પણ એમણે જોયું. તેથી તેમણે આખા સુરત જિલ્લામાં મદ્યપાનનિષેધનું કાર્ય કરવાનો નિશ્ચય કર્યો. તેમના સાહસથી જ આ મંડળ સ્થપાયું હતું.

લડત દરમ્યાન મદ્યપાનનિષેધનું ઘણું કામ થયું અને લડત પૂરી થયા પછી તો જિલ્લાના સઘળા કાર્યકર્તાઓ મુખ્યત્વે આ કામમાં જ રોકાયા. જિલ્લાની રાનીપરજ કોમમાં તથા કોળી કોમમાં આ પ્રવૃત્તિને લીધે નવું જીવન આવ્યું. જેમ જેમ દારૂનિષેધની પ્રવૃત્તિ વધતી ગઈ તેમ તેમ પારસી ખાતેદારો રાનીપરજ લોકો પાસે વેઠ અને સસ્તી મજૂરી કરાવતા તેની સામે પણ વિરોધ થવા માંડ્યો. પારસી ખાતેદારો અકળાવા માંડ્યા અને દારૂ નિષેધનું કામ કરનારા રાનીપરજ કાતકર્તાઓ ઉપર તેમણે હુમલા કરવા માંડ્યા. સરદાર અવારનવાર રાનીપરજની સભાઓમાં જતા પણ આ મારામારીઓનું સાંભળ્યા પછી એ રાંક પ્રજામાં બળ ઉત્પન્ન કરવા માટે તેમણે એમના પ્રદેશમાં વધારે ફરવા માંડ્યું. વડોદરા રાજ્યના કેટલાક અમલદારો દારૂનિષેધ પ્રવૃત્તિની વિરુદ્ધ વલણ રાખી દારૂવાળા પારસીઓને મદદ કરતા તે જોઈ વડોદરા રાજ્યને તેમણે ચેતવણી આપી :

“તમારા રાજ્યની સાથે મારે લડાઈ નથી. મારું લડાઈનું ક્ષેત્ર જુદું જ છે. અંગ્રેજ સરકારની સાથે લડતા હું ક્યારે પરવારીશ એ જ મને ખબર નથી. બ્રિટિશ રાજ્યમાં થયેલી જાગૃતિની અસર વડોદરા ઉપર થયા વિના રહેવાની નથી. એટલે તમે નાહકના લોકોને છંછેડ્યા વિના રહેમથી કામ લેવાનું કરો, અમલદારોને દારૂવાળાઓ સાથે સંતલસમાં કામ કરતા અટકાવો અને દારૂવાળાઓ સાથે અમને અમારો હિસાબ કરી લેવા દો.”

રાનીપરજની રાંકડી પ્રજાને સરદારે સલાહ આપી કે દારૂવાળાઓ માર મારે અથવા બીજો ત્રાસ ગુજારે તો તેમનાથી ન ડરતાં સામા થજો અને તેમને

૪૬૬