પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૧
૧૯૨૯નું તૈયારીનું વર્ષ


વ્યક્તિ આજે કાઠિયાવાડને અને હિંદુસ્તાનને દોરે છે, તેની પાસેથી શીખ્યો છું અને તેની પાસેથી એ શક્તિ મેળવી છે. બારડોલીમાં મારી પોતાની શક્તિથી કાંઈ થયું હોય એવી માન્યતા ઊંડે ઊંડે પણ મારા મનમાં નથી અને ક્યાંય તે છુપાયેલી હોય તો પ્રભુ તે કાઢી નાખે એવી હંમેશાં તેની પાસે મારી માગણી છે. હું તો એક નિમિત્ત માત્ર હતો. આજે કાઠિયાવાડમાં જન્મેલો હોત અને કાઠિયાડમાં જ સેવા કરતો હોત તો શું કરી શક્યો હોત તે નથી કહી શકતો. મારો અને ગાંધીજીનો એવો સંબંધ થઈ ગયો છે કે એમના વિચારમાં અને મારા વિચારમાં કાંઈ ભેદ નથી હોતો, પણ વર્તનમાં તો આકાશપાતાળનો ભેદ પડ્યો છે. તેમના પગ પાસે બેસવા જેવા થવા માટે કેટલા ભવ લેવા પડશે તે પ્રભુ જાણે. પણ તેમની પાસેથી જે વસ્તુ મેળવેલી તે મેં બારડેલીના લોકો આગળ રજૂ કરી. તે વસ્તુ આજે કાઠિયાવાડના લોકોને આપી શકાય ? જેને ત્રિદોષનો વ્યાધિ થયેલ હોય તેને મીઠાઈ આપી શકાય ? કાઠિયાવાડને ત્રિદોષનો વ્યાધિ છે. ત્રિદોષવાળા માણસ લૂગડાં ખેંચે, લવરી કરે, તેને પોતાનું ભાન નથી હોતું. એવા માણસને મીઠાઈ આપવા જઈએ તો તેના પ્રાણ જાય. ડાહ્યો માણસ એવા રોગવાળાને માટે બીજો ઉપાય શેાધે. બ્રિટિશ હિંદમાં રહેવા છતાં, જ્યાં બોલવા ઉપર અંકુશ અહીં કરતાં ઓછો છે એવા વાતાવરણમાં રહેતો હોવા છતાં તમને સાચે જ કહું છું કે જાહેરસભામાં વ્યાખ્યાન કરવાનો મને કંટાળો છે. બહુ બોલવાથી લાભ કરતાં હાનિ વધારે થાય છે. કાઠિયાવાડને આજે જરૂર ઓછું બોલવાની અને શું બોલવું તે શીખવાની છે. . . .
“તમારી પાસે જે ગુણો છે તેમાં કાંઈક વધારો કરું તો જ તમારી સેવા થાય. એટલે તમારી એબો જે દેખાતી હોય તો તે મારે પ્રેમભાવે વર્ણવવી જોઈએ. તમારી જીભની મીઠાશ મારામાં હોત તો તમને પ્રેમભાવે તમારી એબો કહી સંભળાવત. પણ હું તો ખેડૂત રહ્યો. એક ઘાએ બે ટુકડા કરવાની મારી જન્મની ટેવ છે. એટલે તમને કહું છું કે વિવેક અને ખુશામદમાં ભેદ પાડવાની ટેવ પાડો.
“હું વૃદ્ધ નથી, તેમ જુવાને નથી. પણ વૃદ્ધાવસ્થાના અને યુવાવસ્થાના સંગમના તટ ઉપર બેઠેલો છું. મને જુવાનોના ખેલ ખેલવાનું મન થાય છે, પણ વૃદ્ધોનો અનુભવ મને સંયમ પણ શીખવે છે. જુવાનીના ઉત્સાહમાંથી જે પ્રેરણા મેળવું છું તેની સાથે વૃદ્ધાને અનુભવ પણ જોડવા માગુ છું. વૃદ્ધોની હાંસી કરનાર બાપને વારસો ઉડાવી દે છે. આજે બળવાની બૂમો આખા દેશમાં સાંભળું છું. પણ રાડો પાડનારાઓએ બળવો કર્યો નથી જાણ્યો બળવો કરનારા મૂંગા રહે છે. પોતાનું જોશ પોતામાં ભરી રાખે છે. અને વખત આવ્યે જ તે બહાર કાઢે છે. . . .
“મને ઘણા ગાંધીજીનો આંધળો ભક્ત કહે છે. હું ઇચ્છું છું કે સાચે જ અંધભક્ત થવાની મારામા શક્તિ હોય. પણ તે નથી. હું તો સામાન્ય બુદ્ધિનો દાવો કરનારો છું. મારામાં સમજશક્તિ પડેલી છે. મેં જગત પણ