પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૨
સરદાર વલ્લભભાઈ


ઠીક ઠીક જોયું છે. એટલે સમજ્યા વિના એક હાથની પોતડી પહેરીને ફરનારાની પાછળ ગાંડો થઈને ફરું એવો હું નથી. મારી પાસે ઘણાને ઠગીને ધનવાન થાઉં એવો ધંધો હતો. પણ તે છોડ્યો કારણ હું એ માણસ પાસે શીખ્યો કે ખેડૂતનું કલ્યાણ એ ધંધો કરીને ન થાય. એ એને માર્ગે જ થાય. તેઓ હિંદુસ્તાનમાં આવ્યા ત્યારથી હું એમની સાથે છું. અને આ ભવમાં તો એમની સાથેના સંબંધ છૂટે એમ નથી. આમ છતાં મારા કામમાંથી એમને દૂર રાખું છું. કારણ આપણે આપણી શક્તિ ખોઈ બેઠેલા છીએ, તે હમેશાં એમના તરફ જોઈને બેસી રહીએ તો આવવાની નથી. હમેશાં દરેક સ્થાને એમની આશા રાખીએ તો આપણું કામ કેમ ચાલે ? મૈસૂરમાં તેઓ માંદા હતા ત્યારે અનેક જણે એમને તાર કરેલા કે પ્રલય-નિવારણના કામ માટે ગુજરાતમાં આવો. એમણે મને તાર કર્યો કે, ‘આવું ?’ મેં એમને લખ્યું કે દસ વર્ષ થયાં તમે ગુજરાતને જે મંત્ર આપ્યો છે તે પચ્યો છે કે નહી તે જોવું હોય તો આવશો નહીં. બારડોલીમાં પણ મારા જેલમાં પુરાયા પછી જ એમને આવવાનું મેં કહેલું.
“આપણામાં તાલીમ અને વ્યવસ્થાની ખામી છે, સિપાઈગીરીની ખામી છે. આપણને હુકમ ઉઠાવવાની ટેવ નથી પડી. આ વ્યક્તિ સ્વાતંત્ર્યના જમાનામાં આપણે સ્વચ્છંદને સ્વતંત્રતા માની બેઠા છીએ. હિંદુસ્તાનનું દુઃખ, કાઠિયાવાડનું દુ:ખ આગેવાનના અભાવનું નથી, આગેવાનો અનેક થઈપડ્યાનું છે, સિપાઈગીરીના અભાવનું છે. કાઠિયાવાડના નવયુવકોને ઈશ્વરએ શક્તિ આપે.”

અત્યાર સુધી સરદારની પ્રવૃત્તિનું ક્ષેત્ર મુખ્યત્વે ગુજરાત જ હતું. નાગપુર ઝંડા સત્યાગ્રહનું સંચાલન તેમણે યશસ્વી રીતે કર્યું હતું. પણ ગુજરાતની આમજનતા સાથે, ખાસ કરીને ખેડૂત વર્ગ સાથે તેઓ જેવા ઓતપ્રોત થઈ ગયા હતા તેવા ઓતપ્રોત થવાનો ત્યાં પ્રસંગ નહોતો આવ્યો. બીજા પ્રાંતોની જનતાને મળવાનો પણ તેમને પ્રસંગ નહોતો આવ્યો. દર વર્ષે કૉંગ્રેસમાં જાય ત્યારે બીજા પ્રાંતના લોકોને મળવાનું થાય, પણ તે પ્રતિનિધિઓને તથા કાર્યકર્તાઓને જ. પણ બારડોલીના વિજયને લીધે બીજા પ્રાંતની જનતા, ખાસ કરીને ખેડૂતો તેમના પ્રત્યે આકર્ષાયા. વળી મુંબઈ ઇલાકામાં આ અરસામાં ઘણા તાલુકાઓમાં, દા. ત. મહારાષ્ટ્રના બાગલાણ, માલેગાંવ, વસઈ પાલગઢ, દેવગઢ વગેરે તાલુકાઓમાં જમીનમહેસૂલમાં વધારો કરવાની પેરવી થઈ રહી હતી. એટલે મે મહિનામાં મહારાષ્ટ્રની રાજકીય પરિષદ થઈ. તેમાં પ્રમુખ તરીકે સરદારની વરણી થઈ. સરદારને થયું કે મહારાષ્ટ્ર એટલે તો ‘પોલિટિશ્યન’ લોકોનું કેન્દ્ર અને તેમની પરિષદનો વ્યાખ્યાનમંચ એટલે તો પંડિતોનો અખાડો, ત્યાં મારું શું ચાલશે ? પણ ગાંધીજીએ કહ્યું કે, ‘તમારે જવું જ જોઈએ,’ એટલે તેમણે પ્રમુખપદનો સ્વીકાર કર્યો.