પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૪
સરદાર વલ્લભભાઈ


ભાષણ વંચાઈ રહ્યા પછી મસલત સમિતિની બેઠક થઈ. ગુજરાતની પરિષદોમાં તો ઠરાવો ઘડવાનાં આવાં કામ સહેજમાં ઊકલી જાય. પણ અહીં તો બાલનીયે ખાલ કાઢનારાં ભેજાં હતાં. પણ સરદાર પોતાના વિનોદથી એ બધાને પહોંચી વળ્યા. મહારાષ્ટ્રના ખરા કાર્યકર્તા વર્ગને તથા લોકોને તો એ બહુ ગમ્યું. એક જણે પૂછ્યું : ‘ખાદીનો કોટ પહેર્યો હોય પણ ધોતિયું મિલનું હોય તો ચાલે કે ?’ સરદારે તરત જવાબ આપ્યો : ‘જે અર્ધી ખાદી પહેરે તે અર્ધો વોટ આપે !’ નિયમિત ખાદી પહેરનાર ક્વચિત્‌ ખાદી ન પહેરે તો ચલાવી લેવાય એવો ઠરાવનો અર્થ કરવાની ચર્ચા ચાલતી હતી તેમાં એક ભાઈએ પૂછ્યું : ‘રોજ ખાદી પહેરતો હોય પણ ક્વચિત્ એટલે આજે ખાદી ન પહેરી હોય તો એ નિયમિત ખાદી પહેરનાર ન ગણાય ? સરદાર કહે : ‘મારી પાસે તો જે સિક્કો મૂકવામાં આવે તેને હું ખખડાવી જોઉં, એ બોદો વાગે તો મારે મન એ બોદો જ છે.’ અસ્પૃશ્યતાના ઠરાવમાં ‘હિંદુ ધર્મ ઉપર જે કલંકરૂપ છે’ એ શબ્દો ઉપર શાસ્ત્ર અને ભાષાના વિદ્વાન મહારાષ્ટ્રીઓએ ખૂબ ઊહાપોહ કરી. એક ભાઈ એ પૂછ્યું : ‘એ હિંદુ ધર્મ ઉપર શી રીતે કલંક કહેવાય ?’ એટલે સરદારે કહ્યું : ‘ત્યારે ઇસ્લામ ઉપર કલંક કહેવાય ? કે ખ્રિસ્તી ધર્મ ઉપર ? તમે એમ કહેતા હો તો એમ લખીએ.’ ધારાસભામાં જનારા નેહરુ રિપોર્ટ અને કોંગ્રેસના કાર્યક્રમનો સ્વીકાર કરનારા હોવા જોઈએ એવી મતલબના ઠરાવનો વિરોધ કરતાં એક ભાઈ કહે : ‘એ ધારાસભાનો કાર્યક્રમ જ શા સારુ જોઈએ ?’ સરદાર કહે: 'તમારે તો નથી જવું ના ? જે જાય તેને માટે આ ઠરાવ છે. જવું હોય તેમને ભલે જવા દો.’ આમ કોઈને ઉડાવીને તો કોઈને રીઝવીને તેમણે કામ સરસ રીતે આટોપ્યું.

ઉપસંહારનું ભાષણ તેમણે ગુજરાતીમાં કર્યું. એ લખેલું નહોતું એટલે સૌને વધારે રસ પડ્યો. તેમણે મુખ્ય વાત એ કરી કે :

“મારો આ ત્રણ દિવસનો અનુભવ બહુ મીઠો થયો છે. મહારાષ્ટ્રને ધારતો હતો તે કરતાં જુદુ જોઉં છું. હું ઘરમાં ઊભો હોઉં એમ લાગે છે. મહારાષ્ટ્રનો ત્યાગ, મહારાષ્ટ્રની તપશ્ચર્યા, મહારાષ્ટ્રની સંસ્કૃતિ, એની સાથે ગુજરાતની વ્યવહાર બુદ્ધિ જોડાવાની જરૂર છે. જ્યારે શિવાજીની જરૂર હતી ત્યારે ભગવાને શિવાજીને મોકલ્યા, લોકમાન્યની જરૂર હતી ત્યારે લોકમાન્ય મળી રહ્યા, આજે આ વાણિયા રાજ્યની સાથે લડી લેવાને વાણિયા નાયકની જરૂર છે. તે ભગવાને ગુજરાતમાં ગાંધીજીને મોકલીને આપણને આપ્યા છે. કહે છે કે એક પક્ષી ઝાડ ઉપર છે અને એક પક્ષી શિખર ઉપર છે; જેને જ્યાં ઊડવું હોય ત્યાં ઊડે, જેને જે માર્ગ લેવો હોય તે લે. એ વાત ખોટી છે. આપણે બધા ખાડામાં પડેલા છીએ. એમાંથી નીકળવાનો એક જ માર્ગ લેવાનો છે. એકબીજાના પગ ખેંચવા જઈશું તો પડવાના છીએ. ગાંધીજીની