પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૫
૧૯૨૯નું તૈયારીનું વર્ષ


શિખામણને તો તમે સાધુની શિખામણ કહી નાખી દો છો. હું સાધુ નથી. હું તો વહેવાર સમજનારો છું. કાંઈ મફત ઘરબાર છોડી, ઉલાળિયો કરીને બેસું એવો નથી. હું તો ઍસેમ્બલીના પ્રમુખને પણ કહું છું કે શા સારુ ત્યાં નકામા પાણી વલાવો છો ? અહીં આવો, ને ગામડામાં બેસી કામ કરો. આપણે સરકારના સાંધેસાંધા ઢીલા કરી નાખીએ. ત્યાં પાર્લમેન્ટરી પ્રોસીજર વાંચીને ઍસેંમ્બલીની આગળ દસ ટાઈપ પાનાનું રૂલિંગ વાંચો અને પેલો હડેડાટ કરતો આવીને ઊભો રહે ને કહે, તમારું રૂલિંગ તમારી પાસે રહ્યું, મારે તો કાયદો કરવો છે. તેમાં તમારું કશું નહીં ચાલે.”

હિંસા કરવી હોય તો તેમાં પણ છૂટાંછવાયાં ખૂન કર્યે કે બૉમ્બના ધડાકા કર્યે સફળતા ન મળે. હિંસાને સફળ કરવા માટે તો યોજના અને વ્યવસ્થા જોઈએ. એ ભેદ ઉપરાંત, ખરો સવાલ તો કાયરપણાનો અને બહાદુરીનો છે એ સમજાવ્યું :

“શ્રી જયરામદાસે એક રસ્તો બૉમ્બનો છે અને બીજો અહિંસાનો છે, એમ કહ્યું. પણ એ બરાબર નથી. એક રસ્તો હિંસાનો અને બીજો અહિંસાનો છે. હિંસાને સફળ કરવા માટે પણ યોજના જોઈએ, વ્યવસ્થા જોઈએ. આપણી પાસે એવી યોજનાપૂર્વકની હિંસા કરવાનાં સાધન કે શક્તિ ક્યાં છે ? જો એ શક્તિ ને સાધન હોત તો તમે એવા ભોળા નથી કે ગાંધીજીનું માનીને બેસી રહેત. ગાંધીજીએ હિંદુ-મુસલમાનની એકતાની વાત કરીને લોકોને ફસાવ્યા એમ ઘણા કહે છે. હું કહું છું કે જેઓ મુસલમાનોને હાથે માર ખાય છે તેઓ પોતાનું કાયરપણું ઢાંકવાનું એવું શોધવાની ખાતર ગાંધીજીનું નામ લે છે. ગાંધીજીએ કોઈને બાયલા થવાની કે ભાગવાની સલાહ આપી નથી. તેમણે તો છાતી કાઢીને મરી જવાની અથવા દુશ્મનનો મુકાબલો કરી તેને મારવાની વાત કરી છે. તમારામાં તાકાત હોય તો લડીને પુરવાર કરી આપો. હા, પીઠ પાછળ કોઈ ને ઘા કરીને મારો એ બહાદુરીનું કામ નથી.”

છેવટે, કલકત્તા કૉંગ્રેસના ઠરાવનો અમલ કરવા માટે દેશને સવિનય કાયદાભંગ માટે તૈયાર કરવા પાછળ આખું વર્ષ તૈયારી કરવી જોઈતી હતી તેને બદલે એક તરફથી ધારાસભાઓની ચૂંટણીઓના વંટોળમાં દેશને સપડાવ્યો અને બીજી તરફથી ‘પૂર્ણ સ્વાતંત્ર્ય’ અને ‘ડોમિનિયન સ્ટેટસ’ના ઝઘડામાં દેશને ભેરવ્યો એ કમનસીબ બીના છે, એમ જણાવીને સલાહ આપી કે :

આજે તો ‘ઇન્ડિપેન્ડન્સ’ કે ‘ડુમિનિયન સ્ટેટસ’ બેમાંથી એકે મળે તેમ નથી. તે એ કેમ મળતું નથી એનાં કારણ શોધો છો. આપણે મેડા ઉપર ચડવું છે. તો ઝટ ચડવાનો પ્રયત્ન કરવાને બદલે અર્ધે સુધી ચડવું છે કે ઠેઠ ચડવું છે એની તકરાર શા સારુ કરો છો ? અર્ધે તો ચડો. પછી જેને આગળ જવું હોય તેને આગળ જવા દેજો. આપણા અધીરા જુવાનોની