પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૨
સરદાર વલ્લભભાઈ


તામિલનાડથી પાછા ફરતાં બે દિવસ પણ કર્ણાટકમાં રોકાઈને જવાનો શ્રી ગંગાધરરાવ દેશપાંડેનો બહુ આગ્રહ હતો. તેમણે કર્ણાટકમાં ખેડૂત સંઘો સ્થાપવા માંડ્યા હતા અને તે કામમાં સરદારની મદદ તેઓ ઇચ્છતા હતા. ધારવાડથી બેલગામ સુધીના બે દિવસના પ્રવાસમાં તેમણે દસ સભાઓ ગોઠવી હતી. આવી સભાઓમાં કર્ણાટકની સાથે મહારાષ્ટ્રની પણ એક કુટેવનું મહાદેવભાઈ એ સરસ વર્ણન કર્યું છે. ગમે તેવી સભા હોય પણ પ્રમુખની દરખાસ્ત મૂકનાર અને તેને ટેકો આપનાર, એ જ પ્રમાણે વ્યાખ્યાતાના આભારની દરખાસ્ત મૂકનાર અને ટેકો આપનાર અને અંતે પ્રમુખના આભારની દરખાસ્ત મૂકનાર અને ટેકો આપનાર એમ ઓછામાં ઓછા છ જણ તો સ્થાનિક બોલનારા થાય, આ બધું સાંગોપાંગ થવું જોઈએ. એની સાથે પાછું માનપત્ર હોય. તે કાનડીમાં વંચાય, તેથી સંતોષ કેમ થાય ? જેને માનપત્ર આપવાનું હોય તેને માટે અંગ્રેજી કર્યું હોય. અને અંગ્રેજી કરી આપનારને એ અંગ્રેજીમાં વાંચવાની હોંસ થાય. વળી મહારાષ્ટ્રી શ્રોતાઓ માટે મરાઠી કર્યું હોય તે પણ ત્યાં વંચાય. હારતોરા દરેક મંડળે જુદા જુદા આપવાના હોય. કોણ પહેલું હાર પહેરાવે તેની હુંસાતુંસી થાય. હાર પહેરાવતી વખતે મહેમાનને કહેવામાં આવે : ‘આ હાર કૉંગ્રેસ કમિટી તરફથી, આ હાર યુવક સંઘ તરફથી’ વગેરે. આખા દિવસનો એક જ કાર્યક્રમ હોય તે તો આ બધું ચાલે. પણ અહીં તો બે દિવસમાં દસ સભાઓ કરવાની હતી. કોને ટાળવાનું કે ટૂંકાવવાનું કહી શકાય ? આનો પાર નહીં આવે એમ જોઈ સરદારે લગામ પોતાના હાથમાં લીધી. એક સ્થળે બે મંડળો ઝઘડો કરતાં હતાં કે પહેલાં સરદાર અમારે ત્યાં આવીને માનપત્ર લે. સરદારને ખબર પડી એટલે તેમણે મોટરમાં બેઠે બેઠે જ કહી દીધું : ‘જાહેરસભામાં આવો, બધાં માનપત્ર ત્યાં લઈશ.’ યુવકોએ મોટરને ઘેરી વળીને ‘સત્યાગ્રહ’ આરંભ્યો. સરદાર મોટરમાંથી ઊતરી પડવા જતા હતા ત્યાં તો મોટરના પગથિયા ઉપર ઊભા રહી એક જણે માનપત્ર ઝટ ઝટ વાંચી નાખ્યું અને હાર તથા માનપત્ર એમના ઉપર ફેંક્યાં. એમ સૌથી પહેલું માનપત્ર આપવાનો લહાવો એણે લીધો ! બીજે સ્થળે આવી જ પડાપડી અને ‘સત્યાગ્રહ’ પાનસોપારી માટે થયો. સરદારે કોઈની પણ પાનસોપારી લેવાની ના પાડી અને ભાષણ આપવાની પણ ના પાડી. એટલું જ કહ્યું કે, ‘તમે જ્યારે લડી ઝઘડીને પરવારો ત્યારે મને ભાષણ આપવા બોલાવજો. ત્યાં સુધી તમે સત્યાગ્રહ વિષે કશું સાંભળવાને લાયક નથી.’

પણ ગામડાંમાં ખેડૂતોની સભાઓ ઉત્તમ થઈ. દરેક ઠેકાણે સરકારી અમલદારોને ભય છોડવાની; જપ્તી, જેલ વગેરેનો ભય છોડવાની અને પરદેશી કાપડ, દારૂતાડી અને અદાલતો છોડવાની વાત કરી. એક સભામાં સરદારે