પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૫
૧૯૨૯નું તૈયારીનું વર્ષ


આ શબ્દો અને તેની પહેલાંના ઉતારાના શબ્દો જુદા જુદા ભાષણકર્તાના છે એમ કોઈ ને લાગે ખરું ?

ડિસેમ્બર મહિનામાં સરદારે બિહારના પંદર દિવસનો પ્રવાસ કર્યો. ગાંધીજીના પ્રથમ શિષ્ય તરીકે એમની પાછળ બિહારીઓ ઘેલા થયા. તામિલનાડમાં સરદારને ઓછું માન નહોતું મળ્યું. પણ બિહારનું માન ગાંધીજી પ્રત્યેની ભક્તિના ભણકારારૂપ હતું. ચંપારણમાં જેમ ગાંધીજીએ ઉગાર્યા તેવી જ રીતે ગાંધીજીના આ શિષ્ય તેમને બીજી આફતોમાંથી ઉગારશે એવી શ્રદ્ધાથી હજાર કિસાનોના ટોળાં તેમને સાંભળવા આવતાં. કિસાનોના પરિશ્રમ ઉપર જીવતા અને વિષયવિલાસમાં પૈસા બરબાદ કરતા જમીનદારરો, ગરીબતવંગર વચ્ચે પડેલો મોટો સમુદ્ર, કિસાનની પામરતા, ભીરુતા અને નિરાશા એ બિહારનું એક દુઃખ; જમીનદારોના જાતજાતના જુલમથી કિસાનોને ભોગવવી પડતી વિંટબણાઓ એ બીજું દુઃખ; અને સ્ત્રીઓનો પરદો, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે જ નહીં, પણ સ્ત્રીઓ ને સ્ત્રીઓ વચ્ચે પણ, એ બિહારનું ત્રીજું દુઃખ. આ ત્રણે દુઃખોના નિવારણના ઉપાયો વિષે સરદારને ત્યાં બોલવાનું થયું.

બ્રજકિશોરબાબુ બીમાર હતા અને રાજેન્દ્રબાબુ પણ પથારીવશ હતા. એટલે સરદારના આખા પ્રવાસની વ્યવસ્થા બાબુ અનુગ્રહ નારાયણ સિંહના હાથમાં હતી. પ્રવાસ દરમ્યાન સરદાર વધારેમાં વધારે કિસાનોને મળી શકે એવી યોજના કરવામાં આવી હતી. મોંઘીરમાં પ્રાંતિક પરિષદ રાખવામાં આવી હતી અને તે ઉપરાંત ચંપારણ જિલ્લા પરિષદ, સીતામઢી જિલ્લા પરિષદ તથા ગયા જિલ્લા પરિષદ, એમ ત્રણ જિલ્લા પરિષદો ખાસ સરદારને માટે જ રાખવામાં આવી હતી. આ બધી પરિષદોના પ્રમુખ થવાને સરદારને વિનંતી કરવામાં આવી પણ તેમણે પ્રથમથી જ ના પાડી. એટલે બીજા પ્રમુખ નીમવામાં આવ્યા. પણ તેઓ બે કે ત્રણ મિનિટ જ બોલતા. એક પ્રમુખે કહ્યું :

“અહીં હું પ્રમુખપદે બેઠો છું પણ અહીં બોલવાનો અધિકાર સરદાર વલ્લભભાઈને જ છે. એમણે કંઈક કામ કરી બતાવ્યું છે. આપણે ગાંધીજીને આગ્રહ કરીને સરદારને બિહારમાં ખેંચી લાવ્યા છીએ, અને એમનો સંદેશ આપણે મેળવવાનો છે.”

ચંપારણ જિલ્લા પરિષદના પ્રમુખે કહ્યું :

“આપણે સરદાર પાસેથી સંદેશો મેળવીને તેમની મારફત ગાંધીજીને એટલું કહેવડાવીએ કે અમે ‘ઇન્ડિપેન્ડન્સ’ ‘ડુમિનિયન સ્ટેટસ’માં કશું સમજતા નથી. અમે તો અમારો કેસ તમને બાર વર્ષ ઉપર સોંપ્યો હતો. એ કેસ આજે પણ તમારા જ હાથમાં છે. તમને અમે એટલું કહીએ છીએ કે