પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૬
સરદાર વલ્લભભાઈ



‘ઇન્ડિપેન્ડસ’ કે ‘ડુમિનિયન સ્ટેટસ’ વિષે અમને કશું ન પૂછતાં અમને તમારો હુકમ મોકલજો. એ હુકમ પાળવાને માટે અમે તૈયાર છેઠા છીએ.”

સરદારે આ પરિષદોમાં અને બીજી સભાઓમાં દોઢ દોઢ કલાક ભાષણો કર્યાં. તેમનાં હિંદી ભાષણોમાં ગુજરાતી શબ્દો પણ આવે, કેટલાક શબ્દો લોકો નહીં પણ સમજતા હોય, પણ તેનો ભાવ તેમની આંખમાંથી તેઓ પકડી લેતા હતા. ત્રણેક ઠેકાણે તો બ્રજકિશોરબાબુને માંદા માંદા પણ સભામાં આવવાનું મન થઈ ગયું. સરદારનાં ભાષણો સાંભળી તેઓ બોલ્યા: ‘અમારા ખેડૂતોને આ જ જોઈતું હતું. નિર્ભયતાનો મંત્ર તમે જે રીતે આપો છો તે રીતે ભાગ્યે જ બીજા કોઈ આપી શકે. મને તો લાગે છે અમારી કિસાન આલમને સળગાવીને જ અહીંથી તમે જશો.’ તેમનાં ભાષણોમાંથી થોડાં ફકરા અહીં ઉતારીશું :

“ચંપારણનો ઇતિહાસ હિંદુસ્તાનના સ્વાતંત્ર્યના ઇતિહાસમાં પહેલું અને અમૂલ્ય પ્રકરણ રોકશે. એ ઇતિહાસના રચનારા તમે ડરપોક શેના હો ? પણ તમારે ત્યાં સત્યાગ્રહ થઈ ગયો છે એમ તમારાં મોં નથી બતાવતાં. એ સત્યાગ્રહનાં પરિણામો તો મોજૂદ છે. ગળીવાળા ગોરાઓનું પગલું અહીં રહ્યું નથી. અને તેમણે નાખેલા અયોગ્ય કરવેરાનું પણ નામનિશાન રહ્યું નથી. છતાં તમારામાંથી ડર ગયો હોય એમ જણાતું નથી. બળદ મોટરથી ભડકે તેમ તમે સરકારના અને જમીનદારના માણસથી ભડકો છો. સરકારનાં અને જમીનદારનાં માણસને બે માથાં કે ચાર હાથ છે શું ? ડરવાનું તે તમારે હોય કે એને હોય ? તમે તો જગતના અન્નદાતા છો. તમારા જેટલા પવિત્ર જગતમાં કોણ છે ? તમે નિર્દોષ છો એમ હું નથી કહેતો. પણ જગતમાં ઓછામાં ઓછા પાપી મનુષ્ય જે પોતાના પરસેવાની રોટી ખાય છે તે છો. તમે તો તમારા પરસેવાની રોટી પૂરી ખાધા વિના પારકાનાં પેટ ભરો છો. તમે ન હો તો જગત એક ઘડીભર નભી ન શકે, અને જગત ન નભે તો જમીનદાર તો નભે જ શાનો ? ”

પરદા વિષે બોલતાં એક સ્થળે કહ્યું :

“ગાંધીજી તમને આશીર્વાદ આપે છે. હું તમને ગાળો આપવા આવ્યો છું. તમને શરમ નથી કે તમારી સ્ત્રીઓને પરદામાં રાખીને તમે પોતે જ અર્ધાંગવાયુથી પીડાઓ છો ? એ સ્ત્રીઓ કોણ છે ? તમારી માં, બહેન, પત્ની. એમને પરદામાં રાખીને તમે માનો છે કે તમે એમના શિયળની રક્ષા કરી શકશો ? એમનો એવડો અવિશ્વાસ શો ? કે તમારી ગુલામી તેઓ બહાર આવીને જુએ તેથી તમે ભડકો છો ? તમે એને ગુલામ પશુડી જેવી રાખી છે, એટલે એની ઓલાદ તમે પણ ગુલામ પશુ જેવા રહ્યા છો. બારડોલીમાં મેં લોકોને કહેલું કે તમારાં બૈરાંને મને મળવાની અને વાતો કરવાની છૂટ ન આપો તો મારે સત્યાગ્રહ નથી કરાવવો. બૈરાં સમજી ગયાં. સભામાં આવવા લાગ્યાં અને થોડા વખત પછી તો સભામાં પુરુષો જેટલી જ સ્ત્રીઓ