પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૭
૧૯૨૯નું તૈયારીનું વર્ષ


આવતી હતી. ઘેર જઈને તમારાં બૈરાંને હું કહું છું તે સંભળાવજો અને કહેજો કે ગુજરાતથી એક ખેડૂત આવ્યો હતો તે વાત કરતો હતો કે તમે બહાર ન નીકળો તો આપણે માટે કદી સુખ નથી. મારું જો ચાલતું હોય તો બધી બહેનોને કહું કે આવા બીકણ અને બાયલાઓની સ્ત્રીઓ બનવા કરતાં એમને છેડો ફાડી આપો.”

‘ક્રાન્તિની જય’ ના પોકાર કરનારા યુવકોને કહ્યું :

“એક વાર ક્રાન્તિ કરો, પછી જય બોલાવો. જે વસ્તુ નથી તેની જય શી બોલાવવી ? હા, એક ક્રાન્તિની જય બોલાવાય. તમારે ત્યાં ચંપારણમાં ‘રેવોલ્યુશન’ થયું હતું. એ રેવોલ્યુશનથી તમે દેશવિદેશમાં જાણીતા થયા. એનો અર્થ પણ ખેડૂતો સમજે. એટલે તમારે નવા રાષ્ટ્રધ્વનિની જરૂર હોય તો બોલોને ‘ચંપારણના સત્યાગ્રહનોને જય.’ એ ધ્વનિ ખેડૂતોને જેવા હલાવશે તેવો બીજો કોઈ ધ્વનિ નહીં હલાવી શકે. અને તમે ક્રાન્તિ, ક્રાન્તિ શું કરો છો ? તમે તમારા જીવનમાં તો ક્રાન્તિ કરી નથી. જૂના વહેમો અને રીતરિવાજોને તમે વળગી રહેલા છો. પડદો તોડવાની તો તમારી હિંમત નથી. ચાલુ શાળાઓ અને કૉલેજોમાં જઈને તમારે ક્રાન્તિ કરવી છે, તે શી રીતે થવાની છે ? ‘મહાત્મા ગાંધીજીકી જય’ના ધ્વનિમાં જે ક્રાન્તિની જય સંભળાય છે તેવી બીજા કયા ધ્વનિમાં સંભળાય છે ? કારણ, મહાત્માજી ક્રાન્તિનો અવતાર છે.”

સરદારના જે સંદેશાથી ત્યાંના જમીનદારો ગભરાટમાં પડ્યા તે તો આ હતો. તેમાં ખરો ક્રાન્તિનો ધ્વનિ હતો :

“તમારી અને સરકારની વચ્ચે આ દલાલો ક્યાંથી આવીને બેઠા છે ? એમના બાપદાદા જમીન ખેડવા ગયા હતા કે રળવા ગયા હતા ? કોણે એમના હક યાવચ્ચંદ્રદિવાકરૌ સાબિત કરી આપ્યા છે ? એ સરકારને અમુક જ રકમ આપ્યાં કરે અને તમારી પાસેથી લેવાનું મહેસૂલ વધાર્યે જ જાય, એ કોના ઘરનો કાયદો છે ? શા સારુ તમે એ કાયદાને માનો છે ? શા સારુ તમારા પેટનો ખાડો પુરાય નહીં ત્યાં સુધી તમે એને કશું આપવાને તૈયાર થાઓ છો ? તમે તમારા ખાવા પૂરતું જોઈએ એટલું જ અનાજ પકવીને બેસી રહોને, એટલે એ લોકોને ખબર પડી જશે. જ્યાં જ્યાં અન્યાય લાગે ત્યાં ત્યાં સામે થાઓ. તમારા નેતાઓ સાથે વાતો કરો, સંગઠન કરો, એક થાઓ અને દરેક અન્યાયી કર આપવાની ના પાડો. બારડોલીના ખેડૂત પાસે બીજી તાકાત નહોતી. ‘ના’ પાડીને બેસી રહેવાની તેમનામાં તાકાત હતી. તેમને મરણનો ડર નહોતો, જમીન જવાનો ડર નહોતો, જેલ જવાનો ડર નહોતો. શા સારુ તમે મરણથી ડરો ? જમીનદાર અમર થઈને આવ્યો છે ? એક વાર મરવું છે તે મરવું છે. પણ તેની કૂંચી નથી સરકારના હાથમાં કે નથી જમીનદારના હાથમાં. કેવળ ઈશ્વરના જ હાથમાં છે. અને જેલનો