પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૮
સરદાર વલ્લભભાઈ


ડર શા સારુ ? તમે અહીં બહાર રહો છો તેના કરતાં તો ત્યાં સુખમાં રહેવાનું છે. તમને અહીં જીવતા રાખવાને કોઈ દવા ન આપે, દૂધ ન આપે. ત્યાં માંદા પડો તો તમને દૂધ મળે, દવા મળે. સારા હશો તો કામ કરી ત્રણ ટંક ખાવાનું પામશો. શા સારુ તમે જમીનદારના ગુલામ બનો ? શા સારુ તમે એને તાબે થાઓ ? તમે તમારું અનાજ પકવો અને સુખે ખાતાં શીખો. … તમારી જમીન ઉપર તમને જમીનદાર ઝાડ ન ઉછેરવા દે, તમારી જમીન બીજાને નામે કરી આપતાં જમીનની કિંમતના પચીસ પચાસ ટકા જેટલી સલામી આપવી પડે, એ કોના ઘરનો ન્યાય ? તમારે વિષે ધારાસભામાં કાયદો થઈ રહ્યો છે એમ સાંભળું છું. એ કાયદા ઉપર જરાય આધાર ન રાખશો. તમે જે કરશો તે જ કાયદો થવાનો છે. માત્ર તાકાત કેળવો, સંગઠન કરો, એકઠા થાઓ. … તમે તમારી માગણીઓ ડાહ્યા નેતાઓ પાસે નક્કી કરાવી તેટલી આપવાની જમીનદારોને ફરજ પાડો. નહીં તો તેમને કહી દો કે તમને કોડી ન મળે અને દાણો અનાજ ન મળે.”

સરદાર આ રીતે આમજનતાને લડતને માટે તૈયાર કરી રહ્યા હતા ત્યાં લાહોર કૉંગ્રેસનું અધિવેશન આવી રહ્યું.