પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


બૅરિસ્ટરી

સને ૧૯૧૩ના ફેબ્રુઆરીની ૧૩મી ને ગુરુવારે સરદાર હિંદુસ્તાનને કિનારે મુંબઈ બંદરે ઊતર્યા. બીજે જ દિવસે તેમને અમદાવાદ પહોંચવું હતું. એટલે આવ્યા તે જ દિવસે, મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સર બેસિલ સ્કૉટ ઉપર ચિઠ્ઠી લાવ્યા હતા તે લઈને તેમને મળવા ગયા. સર બેસિલે તેમનું બહુ સારી રીતે સ્વાગત કર્યું અને મુંબઈ રહેવાના હો તો પોતે મદદ કરશે એમ જણાવ્યું. ચિઠ્ઠીમાં પેલા ભાઈએ જણાવ્યું હતું કે આવા માણસને ન્યાય ખાતામાં ઊંચી જગ્યા આપવી જોઈએ. સરદારને નોકરી તો જોઈતી જ ન હતી. અને મુંબઈ રહે તો ત્યાં પ્રેકિટસ જામતાં થોડાં વર્ષ લાગે. ખૂબ મોટું ખર્ચ તો કરી ચૂક્યા હતા તે કારણે પણ એટલી રાહ જોવાની પોતાની આર્થિક સ્થિતિ નથી એમ જણાવ્યું. પેલાએ ગવર્નમેન્ટ લૉ સ્કૂલ (તે વખતે એલએલ. બી.નો અભ્યાસ કરનારાઓને સાંજે સાડાપાંચથી સાડાછ એક જ કલાક ભરવો પડતો એટલે એ કૉલેજ નહીં પણ સ્કૂલ કહેવાતી)માં પ્રોફેસરની જગા અપાવી શકીશ એમ કહ્યું. પણ સરદારને એથી સંતોષ થાય એમ નહોતું. એટલે આભાર માની દિલગીરી દર્શાવી. અમદાવાદમાં પ્રેક્ટિસ મળવાની ખાતરી હતી, બલ્કે કેસો એમની રાહ જોતા હતા. મુંબઈના વકીલ મંડળમાં ઝળકવાની મહત્ત્વાકાંક્ષા નહીં હોય અને અમદાવાદમાં રહે તો લોકોની કાંઈ સેવા કરી શકાશે એવી પણ ઈચ્છા તે વખતે ઊંડે ઊંડે હોય. કોઈ પણ કારણે તેઓ મુંબઈ ન રહ્યા અને અમદાવાદ આવ્યા એમાં ભારતભાગ્યવિધાતાનો હાથ હોવો જ જોઈએ. બે વર્ષ પછી જ ગાંધીજી હિંદુસ્તાનમાં આવીને અમદાવાદમાં વસવાટ કરવાના હતા. સરદાર અમદાવાદમાં હતા તેથી જ ગાંધીજી સાથે એમનો યોગ થયો એમ સાધારણ માનવી બુદ્ધિએ આપણને લાગે.

સરદારને માટે અમદાવાદ આવી જલદી પૈસા કમાવા માંડવાનું બીજું પણ એક કારણ હતું. તેઓ વિલાયતમાં હતા ત્યારે જ વિઠ્ઠલભાઈ જાહેર જીવનમાં પડી ચૂક્યા હતા અને ઉત્તર વિભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ તરફથી મુંબઈની ધારાસભામાં મેમ્બર થયા હતા. વકીલાતનું કામ અને લોકસેવાનું કામ એકી સાથે ન થઈ શકે એટલે વિઠ્ઠલભાઈ એ ધારાસભાના કામમાં પોતાનો બધો વખત આપ્યો અને સરદારે પ્રેક્ટિસ કરી વિઠ્ઠલભાઈનું ખર્ચ પણ ઉપાડી લેવું એમ બે ભાઈઓએ નક્કી કર્યું હતું. સરદારના અગાઉ ટાંકેલા મોડાસાના સને ૧૯૨૧ના ભાષણમાં તેમણે કહ્યું છે :