પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એ ફેર અહીં ગુજરાતમાં ચોખ્ખો જોવા મળે છે તેનું બીજું પણ એક મહત્ત્વનું કારણ છે. ગાંધીજીની કાર્યપદ્ધતિનું અસરકારકપણું જેમાં પોતાના પ્રાંતની પ્રજાની જાગૃતિ, કેળવણી તેમ જ તેના ઘડતર માટે તેને અપનાવનારા સમર્થ આગેવાનો ગાંધીજીને હરેકેહરેક પ્રાંતમાંથી આવી મળ્યા. ગુજરાતને સદ્‌ભાગ્યે સત્યાગ્રહની કાર્યપદ્ધતિ વિષેની દૃઢ નિષ્ઠાવાળા, શિષ્યને છાજે એવી નમ્રતાથી એ પદ્ધતિ તેના પ્રણેતા પાસેથી બરાબર શીખી તેનો અમલ કરવાની વૃત્તિવાળો અને એ પદ્ધતિના અમલને માટે જરૂરી કુનેહ, બાહોશી અને વ્યવસ્થાશક્તિવાળો બિલકુલ નીડર અને અત્યંત તેજસ્વી આગેવાન પણ ગાંધીજીને ગુજરાતમાં મળી ગયો. પણ બીજા પ્રાંતોમાંથી ગાંધીજીને આવી મળેલા આગેવાનો વચ્ચે અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે એક મોટો ફેર હતો. તેમણે અંગ્રેજી ને બૅરિસ્ટરીની કેળવણી લીધી હતી અને બૅરિસ્ટરી કરી હતી ખરી પણ તેમનું હાડ ખેડૂતનું છે. ગુજરાતનાં ગામડાંના જીવનનો તેમને બાળપણથી અનુભવ હતો. બલ્કે તેઓ શહેરમાં નહીં પણ પોતાના વતનના ગામડામાં મોટા થયા હતા.

જે બે ગાળાની પ્રજાજાગૃતિના વેગ ને પ્રકારમાં મોટો ફેર હોવાની વાત મેં કરી છે તેમાંનાં પાછલાં બત્રીસ વર્ષના ગાળામાં થયેલી ગુજરાતી બોલનારી પ્રજાની જાગૃતિ અને તેના ઘડતરની કથા જેવી અદ્‌ભુત છે તેવી જ સત્યાગ્રહની કાર્યપદ્ધતિ તેમ જ ગુજરાતના પ્રજાકીય જીવનના વિકાસ ને કાર્ય પદ્ધતિ સમજવા માગનારને માટે બારીકાઈથી અભ્યાસ કરવા જેવી છે. આ સદીની શરૂઆતનાં વર્ષોમાં થયેલી એ જાગૃતિ નિર્માણ કરનારાં બળોનો ભાવિ પેઢીઓને પરિચય થાય તેટલા ખાતર પણ એ ઇતિહાસ સંઘરી રાખવાની જરૂર છે. એ ગાળાના પ્રજાજીવનના વિકાસનો સાંગોપાંગ ઇતિહાસ તો જ્યારે લખાય ત્યારે ખરો; એમાં ભાગ લેનાર પ્રમુખ વ્યક્તિઓનાં ભાષણો, લખાણો તે ચરિત્રોમાંથી પણ એ બળોનો ખ્યાલ આવી શકે તેમ છે.

ગાંધીજીનાં ભાષણો ને લખાણ વ્યવસ્થિત રીતે સંઘરી બહાર પાડવાનું કામ નવજીવન સંસ્થા વર્ષોથી કરે છે. તેમનું સાંગોપાંગ ચરિત્ર લખવાનું કાર્ય પણ નવજીવન તરફથી ભાઈ પ્યારેલાલે હાથ પર લીધું છે. આ જ આશયથી સરદાર વલ્લભભાઈ પટેલનાં ભાષણોના સંગ્રહનો એક ભાગ નવજીવને ગયે વરસે બહાર પાડ્યો છે. તેની સાથે એમનું જીવનચરિત ગુજરાતની પ્રજાની આગળ મૂકવાની મને ખૂબ ઉત્કંઠા હતી. એ માટે સામગ્રી પણ મેં બને ત્યાંથી એકઠી કરી રાખી હતી, પણ એ સામગ્રીને વ્યવસ્થિત ગોઠવી ને બીજી ઘટતી મેળવી એમાંથી સરદારના ચરિત્રનું પુસ્તક તૈયાર કરી આપવાનું શ્રી નરહરિભાઈએ હોંસથી માથે લીધું ત્યાં સુધી મારી એ ઈચ્છા પાર પડી નહોતી. આજે એ અમુક