પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
સરદાર વલ્લભભાઈ


એટલે ખેડા જિલ્લાના ભારે ફોજદારી કેસો ત્યાં આવતા. સેશન્સ કોર્ટ અમદાવાદમાં હોઈ જ્યૂરી અમદાવાદના ગૃહસ્થોની બનતી, પણ ખેડા જિલ્લાના આરોપીઓને તેમના કેસ જ્યૂરી મારફત ચલાવવાનો હક આપવામાં આવ્યો ન હતો. એક ખૂનના આરોપમાં બે ભાઈઓ સામે પ્રથમ દર્શની પુરાવો લગભગ નહીં જેવો હોવા છતાં, એમનો કેસ સેશન્સ કમિટ કરવામાં આવ્યો હતો અને સેશન્સ જજે આરોપીઓની જામીન ઉપર છોડવાની અરજી નામંજૂર કરી હતી. આરોપી તરફથી તરત સરદારને રોકવામાં આવ્યા. કેસના આરંભમાં જ આરોપીઓને જામીન ઉપર છોડવા માટે તેમણે ફરી અરજી કરી અને એ અરજીના સમર્થનમાં દલીલ કરતાં સેશન્સ જજ ઉપર જ આક્રમણ કર્યું. ‘આરોપીઓની જામીનઅરજી શા માટે નામંજૂર કરવામાં આવી ? કારણ પોલીસ તરફથી તેમની રોજની દલીલ કરવામાં આવી કે આરોપીઓ છૂટા હશે તો ફરિયાદ પક્ષના પુરાવામાં ગોલમાલ કરશે; અને આ કેસ ખેડા જિલ્લાનો હોઈને આરોપીઓને ભયાનક માણસો ગણવા જોઈએ. મારે બહુ દિલગીરી સાથે કહેવું પડે છે કે આ કોર્ટમાં ખેડાના કોઈ પણ આરોપીનો વાજબી રીતે ઇન્સાફ તોળાતો નથી. તેની સામે થોડો કાંઈક પુરાવો મળી જાય તો એવા અપૂરતા પુરાવા ઉપર પણ તેને સજા થાય છે, કારણ આરોપી ખેડા જિલ્લાનો છે એટલે એણે પુરાવામાં ગોલમાલ કરી જ હોવી જોઈએ. આ અહીંનો ન્યાય છે ! પુરાવા બરાબર હોય કે ન હોય, ખેડા જિલ્લો ગુનાખોર છે માટે આરોપીને સજા કરવી જ જોઈએ. આ કોર્ટ પણ આ ધોરણ પકડીને જ ચાલે છે એવું દેખાય છે. જો આમ ન હોય તો હું સમજી શકતો નથી કે આવા કેસમાં, જ્યાં આરોપીની સામે પ્રથમ દર્શની પુરાવો જરા પણ નથી ત્યાં કોર્ટે શા માટે એની જામીનઅરજી નામંજૂર કરવી જોઈએ ?’
“સરદાર કેસ ચલાવતા હોય ત્યારે ઘણા વકીલો જોવા બેસતા. એટલે કોર્ટ વકીલોથી ઠઠ ભરાયેલી હતી, ત્યાં સરદારે આ શબ્દો ઉચ્ચાર્યા. પોતાની ઉપરનો સીધો આક્ષેપ સાંભળી જજ પણ સ્તબ્ધ થઈ ગયો. બચાવ પક્ષના બૅરિસ્ટરે પોતાની ઉપર કરેલા આક્ષેપની સત્યતાનું ભાન પણ એના દિલમાં હશે. એણે કહ્યું: ‘મિ. પટેલ, તમે કાંઈક ઉશ્કેરાઈ જઈ ને કોર્ટની સામે આવો ગંભીર આક્ષેપ કરતા લાગો છો. હમણાં આપણે કોર્ટ મુલતવી રાખીએ છીએ. અડધા કલાક પછી મળીશું.’
“જજ ચેમ્બરમાં ગયા અને થોડા જ વખત ઉપર નામંજૂર કરેલી જામીનઅરજી તરત મંજૂર કરી. કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા.”

હવે એમની ઊલટતપાસના એક બે નમૂના આપું. નીચેની વાત તો એમની ઊલટતપાસનો ભોગ થઈ પડેલા એક મુખીએ જ મને કહી છે.

એક બારૈયાનું ખૂન તેના પોતાના જ ઘરમાં થયેલું. જુદા જુદા ગામના બે બારૈયાઓ ઉપર પોલીસે ખૂનનો આરોપ મૂકી કેસ કરેલો અને આ પોલીસપટેલ સાક્ષીમાં ગયેલા. એક બારૈયાએ સરદારને રોકેલા.