પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
સરદાર વલ્લભભાઈ


આમ તો સરદારે ૧૯૧૯ની લગભગ આખર સુધી વકીલાત કરી ગણાય. પણ ૧૯૧૮ના માર્ચમાં ખેડા સત્યાગ્રહની લડતમાં ઝંપલાવીને ગાંધીજી સાથે નડિયાદ ગયા ત્યારથી જ વકીલાતમાં તેઓ લક્ષ આપી શકતા નહીં. લગભગ ચાર મહિના તો ખેડાની લડતને અંગે એ નડિયાદ રહ્યા. પછી પણ અમદાવાદમાં એમની સાર્વજનિક પ્રવૃત્તિઓ વધતી જ જતી હતી. ૧૯૧૯ના આરંભથી રોલૅટ સત્યાગ્રહની નોબતો વાગવા માંડી. તેને અંગે જે તોફાનો થયાં એમાં પ્રજાને સીધે રસ્તે દોરવામાં અને જે લોકો આફતમાં આવી પડ્યા હતા તેમને માટે રાહતની વ્યવસ્થા કરવામાં એમનો ઘણો વખત જતો. પછી નડિયાદ અને બારેજડી વચ્ચેના પાટા ઉખેડવાના આરોપીઓના કેસ ચલાવવા ખાસ અદાલત નિમાઈ. એના કેસો લગભગ ચારેક મહિના ચાલ્યા. તેમાં ઘણા આરોપીઓએ પોતાના બચાવ માટે સરદારને રોક્યા હતા. અદાલતમાંની વકીલાતનું એ એમનું છેલ્લું કામ. બાકી સ્વરાજ માટે પ્રજાની વકીલાત તો આપણને સ્વરાજય મળ્યું ત્યાં સુધી એમણે કરી જ છે. અને અત્યારે કાંટાળા તાજનો બોજો આપણા મોવડીઓને ઉઠાવવો પડ્યો છે તેમાં મુખ્ય ભાગ લઈને શરીરને ઘસવી રહ્યા છે એ આપણી નજર સામે છે.