પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


અંશે પાર પડી છે ને સરદાર વલ્લભભાઈના ચરિત્રનો પૂર્વભાગ ગુજરાતી પ્રજાની આગળ રજૂ કરતાં મને આનંદ થાય છે.

સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના ચરિત્રની આજની તેમ જ હિંદની ભાવિ પ્રજાને બીજી એક દૃષ્ટિથી પણ જરૂર છે. પંડિત જવાહરલાલે એક ઠેકાણે કહ્યું છે કે જે લોકોએ ગાંધીજીની સાથે રહીને કામ કર્યું છે તે સિવાયના બીજાને માટે અને ભાવિની પ્રજાને માટે ગાંધીજી એક પૌરાણિક કથાના પાત્ર જેવી વ્યક્તિ બની ગયા છે. ગાંધીજી વિષે પંડિત નેહરુએ કહેલી આ વાત તેમની સાથે રહી હિંદની પ્રજાનું ઘડતર કરનાર તથા હિંદની આઝાદીની લડતમાં આગળ પડતો ભાગ લેનાર તેમના સાથીઓમાંના ખુદ પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ, રાજેન્દ્રપ્રસાદ ને ચક્રવતી રાજગોપાલાચાર્ય જેવા પુરુષોની બાબતમાં પણ અમુક અંશે સાચી છે. એથી આ સમર્થ, પ્રભાવશાળી તેમ જ પોતાના જમાનાના ઇતિહાસ પર છાપ મૂકી જનારા બધા પુરુષોનો સાચો પરિચય આપનારાં ચરિત્રો લખાય એ ભાવિ પ્રજાની કેળવણીની દૃષ્ટિથી જરૂરી છે. એમાંના ગાંધીજી, પંડિત જવાહરલાલ, રાજેન્દ્રબાબુ વગેરેએ પોતાનાં લખાણો અને આત્મકથાઓ આપણને આપ્યાં છે. એક સરદાર વલ્લભભાઈ એમાંના એવા પુરુષ છે જેમનાં ખાસ કાંઈ લખાણો આપણી પાસે નથી અને પોતાના મિત્રો આગળ પ્રસંગોપાત્ત એમણે પોતાના જીવનની કાંઈક વાત કરી હશે તે સિવાય બીજું આત્મકથા જેવું એમની પાસેથી આપણને કશું મળ્યું નથી. આથી એમની હયાતી દરમિયાન એમની આંખ તળેથી પસાર થયેલું એમનું ચરિત્ર લખાય એ બહુ જરૂરનું હતું.

વળી, રાજકારણના ક્ષેત્રમાં નીડરતાથી પોતાનો પક્ષ રજૂ કરનાર, ઢીલા લોકોને પોતાના આગ્રહથી તેમ જ પ્રેમથી કાબૂમાં રાખી સીધે રસ્તે દોરનાર, અને અનેક વિરોધીને માત કરનાર આ પુરુષને વિષે સાચી ખોટી અનેક વાતો પણ પ્રચલિત થયેલી છે. તે પરથી સરદાર પટેલનું જે ભ્રામક ચિત્ર લોકમાનસમાં ઊઠે છે તેને સ્થાને તેમના સ્વભાવનું ને ચારિત્ર્યનું સાચું ચિત્ર પ્રજાને મળવું જોઈએ.

ઘણાં લોકો માને છે ને સમજે છે કે સરદાર પટેલે રાજકારણના ક્ષેત્રમાં સફળતા ને સિદ્ધિ પોતાના આપખુદ જોહાકીવાળા સ્વભાવથી અને સામાને માત કરવાને તરેહ તરેહના પેંતરા રચવાની કુશળતાથી મેળવી છે. એને અંગે તરેહ તરેહની વાતો પણ લોકોમાં ફેલાયેલી છે ને ફેલાયા કરે છે. સરદાર પટેલનું આ ચિત્ર કેટલું ખોટું છે અને રાજકારણના ક્ષેત્રમાં એમણે મેળવેલી સફળતા અને પ્રજાના હૃદયમાં એમણે મેળવેલું સ્થાન પ્રજાના હિતને માટે