પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
સરદાર વલ્લભભાઈ


મારે ને મ્યુનિસિપાલિટીને શો સંબંધ ?” એમ કહીને ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટ એમની આગળ ધર્યો.

શિવાભાઈએ ઠંડે પેટે જવાબ આપ્યો : “You can use your good offices with the municipality.‌ — મ્યુનિસિપાલિટી ઉપર તમે તમારી લાગવગ વાપરી શકો.”

આ ઉપરથી કમિશનર સમજ્યા કે મ્યુનિસિપલ એન્જિનિયરની નિમણૂકમાં પોતે જે ભાગ ભજવ્યો હતો તેના ઉપર આ ટકોર છે. તેઓ ફરી બોલ્યા કે, “મ્યુનિસિપાલિટી સાથે મારે કશી નિસ્બત નથી.”

શિવાભાઈએ જવાબ વાળ્યો : “કાંઈ નહીં તો મ્યુનિસિપાલિટીના સરકારનિયુક્ત સભ્યો ઉપર તો તમે અસર પાડી શકો.”

એટલે એ તો બરાબર છંછેડાયા. મ્યુનિસિપલ ઍકટ આગળ ધરીને ગુસ્સામાં બોલ્યા : “The Act speaks of ‘the Municipality’. It makes no distinction between the elected and nominated sections of the municipality. If you have any grievance go to the Municipal Hall. Don't let the municipal committee have peace till you get what you want. Beat drums there. If you still do not get water, go to their houses and burn them. — કાયદામાં ‘મ્યુનિસિપાલિટી’ શબ્દ છે. એમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલિટી અને સરકારનિયુક્ત મ્યુનિસિપાલિટી એવો કશો ભેદ કરવામાં આવ્યો નથી. એટલે તમારી કાંઈ પણ ફરિયાદ હોય તો મ્યુનિસિપલ હૉલમાં જાઓ. તમે માગો છો એ મળે નહીં ત્યાં સુધી મ્યુનિસિપલ કમિટીને પગ વાળીને બેસવા ન દો. ત્યાં ઢોલ પીટો, અને તેમ છતાં પાણી ન મળે તો મેમ્બરોને ઘેર જાઓ અને એમનાં ઘર ફૂંકી મૂકો”

આમ મુલાકાત પૂરી થઈ. સેક્રેટરીઓએ ઘેર આવી પોતાના મિત્રોને સઘળી હકીકત કહી સંભળાવી.

બીજે દિવસે સભાના સેક્રેટરી તરીકે દાદાસાહેબ મ્યુનિસિપાલિટીના પ્રમુખ સર રમણભાઈને મળવા ગયા. તેમની પાસે એક બાજુએ રા. સા. હરિલાલભાઈ મૅનેજિંગ કમિટીના ચૅરમૅન તરીકે અને બીજી બાજુએ સરદાર, સૅનિટરી કમિટીના ચેરમેન તરીકે, બેઠા હતા. જાહેર સભાનો ઠરાવ એમની આગળ દાદાસાહેબે રજૂ કર્યો ત્યારે સરદારે પ્રમુખ પાસેથી બેએક સવાલ પૂછવાની રજા લઈ દાદાસાહેબને પૂછ્યું :