પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એમણે આદરેલી કેવી સાધનાને આભારી છે તે આ ચરિત્રનાં પ્રકરણ સ્પષ્ટ કરે છે.

બીજી એક માન્યતા એવી ફેલાયેલી છે કે સરદાર પટેલ સત્યાગ્રહના સિદ્ધાંતનો કક્કોયે સમજતા નથી ને સમજવા માગતા નથી. ગાંધીજી હિંદમાં આવ્યા તે પછી આ દેશની પ્રજાને ધર્મની વાતોથી ઊંધે રસ્તે ચડાવનાર સાધુઓની જમાતમાંના જ આ કોઈક છે એવી સાશંક દૃષ્ટિથી શરૂઆતમાં ગાંધીજી તરફ જોનાર, પણ પાછળથી એ પુરુષની વાણીમાંથી સત્યનો ને અભયનો રણકાર ઊઠે છે એ જોતાંવેંત તેમની સાથે તેમનાં કામમાં નમ્રભાવે જોડાઈ તેમણે આપેલા પાઠો ધીરજથી વર્ષો સુધી પચાવનાર, તેમની ઇચ્છા ને આદેશોનું ચીવટથી પાલન કરનાર અને સત્યાગ્રહનો મોટાં મોટાં પ્રજાકીય હિતનાં ક્ષેત્રોમાં અમલ કરી બતાવનાર આ સમર્થ લોકનાયકની સત્યાગ્રહની સમજ કેટલી ઊંડી છે તે પણ આ ચરિત્રમાંથી જોવાનું મળે છે.

સરદાર પટેલનાં ભાષણો પરથી તેમના ચારિત્ર્યનાં કેટલાંક લક્ષણો તેમની શૈલી દ્વારા પ્રગટ થાય છે. ખાસ કરીને અન્યાયની ચીડ અને હિંદના નરમ પ્રકૃતિના ખેડૂતને માટેની તેમની ઊંડી લાગણી તેમનાં ભાષણોમાંથી જોવાનાં મળે છે. પણ પ્રજાને સંગઠિત કરવાને માટે જરૂરી વ્યવસ્થાશક્તિ, ઘણા લોકોને સાથે રાખી તેમની પાસે ધારેલું કામ પાર પડાવવા ને તેમને એકઠા રાખવાને જરૂરી બાહોશી અને પ્રેમ, દુ:ખી અને સંકટમાં આવી પડેલાંઓની મદદે દોડી જવાની તાલાવેલી, કોઈ પણ મુદ્દાને પકડી તેને પાર કાઢવાને જરૂરી તીક્ષ્ણ વિચક્ષણ બુદ્ધિ અને એવાં બીજાં સરદાર પટેલમાં રહેલાં લોકનાયકનાં આવશ્યક લક્ષણો આ ચરિત્ર વિના આપણને જોવા કે સમજવાનાં ન મળત.

મોટાં વહીવટી તંત્રો ઊભાં કરવાની, તેમના પર કાબૂ રાખવાની અને તેમને સીધે રસ્તે દોરવાની હથોટી આજના જમાનામાં અત્યંત જરૂરી છે. સરદાર પટેલમાં એ કામ પાર પાડવાની શક્તિ બીજરૂપે પહેલેથી જ હતી એ હકીકત પણ આ ચરિત્રમાંથી આપણને બરાબર જોવાની મળે છે.

પરંતુ એ સૌથીયે વધારે એમનામાં રહેલી તત્વનિષ્ઠા, ગાંધીજી તરફની વફાદારી અને સ્વરાજની પ્રાપ્તિને માટે પ્રજાને લડતોને રસ્તે કેળવી તાકાતવાળા બનાવવાની આકાંક્ષાનું દર્શન આ પ્રકરણો આપણને સ્પષ્ટપણે કરાવે છે.

આ પ્રકરણો વાંચી જનાર સૌ કોઈ જોઈ શકશે કે સરદાર પટેલમાં સૂતી પડેલી બીજરૂપ શક્તિઓને જગાડી પ્રજાની કેળવણીને તેમ જ સેવાને માર્ગે વાળનાર ગાંધીજી છે એમ સરદાર પોતે અનેક સ્થળોએ સ્વીકારે છે. પરંતુ