પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
મ્યુનિસિપાલિટીમાં રચનાકાર્યનો આરંભ


પાણીના જથા સાથે પાણીની સ્વચ્છતાનો પણ રિપોર્ટમાં વિચાર કર્યો છે. અમદાવાદને નદીની રેતીમાંથી કુદરતી રીતે ગળાઈ ને પાણી મળે છે એમ લોકો માને છે પણ એ પૂરેપૂરું ખરું નથી. ચોમાસામાં કૂવા નદીની રેલમાં ઢંકાઈ જાય છે. રેલ દરમિયાન અને રેલ ઊતરી ગયા પછી પણ એનું પાણી જંતુઓવાળું હોઈ પીવા યોગ્ય હોતું નથી એમ નિષ્ણાતોને પૃથકકરણ કરતાં માલૂમ પડ્યું હતું. વળી પાણી કુદરતી રીતે ગળાયેલું તો ત્યારે જ મળે જ્યારે કૂવો નદીના પ્રવાહથી ઓછામાં ઓછા ૧૫૦ ફીટ દૂર હોય. પણ કૂવા જેમ દૂર રાખવામાં આવે તેમ પાણીનો પુરવઠો ઓછો રહે એટલે કૂવા નદીના પ્રવાહની નજીક લઈ ગયા વિના છૂટકો નહોતો.

સરદારે ખાનગી નિષ્ણાતની સલાહ લીધી હતી. તેમનું કહેવું એમ હતું કે કુદરતી રીતે ગળાયેલું પાણી મેળવવાનો વિચાર જ છોડી દેવા જેવો છે. એ પદ્ધતિ જ ભારે ખર્ચાળ છે. દવાઓથી પાણી સ્વચ્છ કરવાનું રાખશો તો એને માટેના યંત્રની કિંમત આશરે રૂા. ૨૩,૦૦૦ પડશે અને દવાઓ વગેરેનું ચાલુ ખર્ચ રૂા. ૧૩,૦૦૦નું રાખવું પડશે. સરકારના સૅનિટરી એન્જિનિયરનો આના ઉપર અભિપ્રાય લીધો તો તેઓએ પણ આ રીત લાભદાયી હોવાનું જણાવ્યું છે. સ્વચ્છ પાણી મેળવવાની બીજી રીતમાં રૂપિયા દસ લાખનું પ્રારંભિક ખર્ચ અને રૂપિયા સવા લાખનું ચાલુ ખર્ચ કરવું પડે એમ હતું. વળી એ યોજના પ્રમાણે કામ પૂરું થતાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ લાગતાં હતાં, જયારે આમાં છ અઠવાડિયામાં બધી ગોઠવણ કરી શકાય એમ હતું.

રા. સા. હરિલાલભાઈ એ સૂચવ્યું હતું કે એકદમ મોટી ખર્ચાળ યોજના હાથ ધરતાં પહેલાં ઓછામાં ઓછા એક મહિના સુધી સ્થળ પર જ પાણીની શાસ્ત્રીય તપાસ કરાવવી, જેથી કર ભરનારાઓનો આપણે વિશ્વાસ સંપાદન કરી શકીએ અને મોટું ખર્ચ કરવાનું હોય તો તેમનો ટેકો મેળવી શકીએ.

આ બધા સંજોગોને વિચાર કરીને સરદારે એવી સૂચના કરી કે મુંબઈ સરકારના સૅનિટરી બોર્ડને આપણે વિનંતી કરવી કે સૅનિટરી બોર્ડના નિષ્ણાતોને જરૂરી સાધનો સાથે મોકલી આપે. સરકારને એવી પણ વિનંતી કરવી કે પૂના અને કરાંચીના જેવી જ શરતોએ અને ધોરણે પાણી તપાસવા માટે અમદાવાદમાં એક સ્થાયી પ્રયોગશાળા સ્થાપવામાં આવે. આવી લૅબોરેટરીની શહેરને બહુ જ જરૂર હતી.